- સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે ભોગાવા નદીના પુલ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો પરેશાન
- સુરેન્દ્રનગરમાં બપોરે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
- સાંજ સુધી ધ્રાંગધ્રા-લખતરને બાદ કરતા 8 તાલુકાઓમાં વરસાદ નોંધાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી ચોમાસુ માહોલ જામ્યો છે. શનિવારે જિલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ છવાયો હતો. જયારે સાંજ સુધીમાં ચોટીલામાં 1 ઈંચથી વધુ અને વઢવાણ-સાયલા તાલુકામાં પોણો ઈંચ વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રા અને લખતર તાલુકાને બાદ કરતા દરેક તાલુકામાં વરસાદ નોંધાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે સતત બીજા દિવસે ઝાલાવાડમાં ચોમાસુ જામ્યુ હોય તેમ સવારથી આકાશમાં સુર્યનારાયણના દર્શન થયા ન હતા અને બપોર પછી જિલ્લામાં વરસાદનું આગમન થયુ હતુ. જેમાં ચોટીલા તાલુકામાં બપોરના રથી સાંજના 6 દરમિયાન 29 મીમી એટલે કે, 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
જયારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરમાં 23 અને સાયલામાં 20 મીમી દિવસ દરમીયાન નોંધાયો છે. વરસાદી વાતાવરણ અને વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરેન્દ્રનગર શહેરમાં આવેલ જોરદાર વરસાદી ઝાપટાને લીધે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા.
જેમાં તાજેતરમાં નવા બનેલા જિલ્લા પંચાયત પાસેના ભોગાવા નદીના પુલ પર વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. વરસાદી ઝાપટા અને ધીમી ધારના વરસાદથી ખેડુતોમાં આનંદ ફેલાયો હતો. ઝાલાવાડમાં આજે તા. 30મી જુનના રોજ પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદથી આગાહી વ્યકત કરી છે.
ખેંગારિયા સીમમાં વીજળી પડી એક ખેડૂત દાઝતા સારવાર હેઠળ.
વિરમગામઃવિરમગામ પંથકમાં શનિવારે વરસાદ વરસતા નળકાંઠા વિસ્તારના ખેંગારીયા ગામની સીમમાં વીજળી પડતા ભાઈમલભાઈ લાલજીભાઈ નામના ખેડુતને ઝાર લાગતા ગંભીર દાઝી ગયા હતા.ખેડુતને તાબળ તોબ વિરમગામ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાઈમલભાઇ બપોરે ખેતરે ચાલતા જઈ રહ્યા હતા ગાજવીજ સાથે વરસાદ થતા જોત જોતામાં કડાકા સાથે તેમનાથી થોડે દુર આકાશ માંથી વીજળી પડી હતી.જેની ઝાર ખેડુતને લાગી હતી.સદનસીબે બીજા એક કુટુંબી ખેતરમાં ટ્રેકટર હંકારતા હતા જેમનો બચાવ થયો હતો અને દાઝી ગયેલા ભાઈમલભાઈને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.


