- જડતી સ્ક્વોડના જેલરે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
- અગાઉ પણ જેલમાંથી મોબાઈલ, બીડી, સીગારેટ, ગુટકા જેવી પ્રતીબંધીત વસ્તુઓ મળી આવી હતી
- જેલમાં મોબાઈલ ઘુસાડવામાં કોઈ જેલ કર્મી સામેલ છે કે કેમ? તેનું સત્ય બહાર આવે તેવી શકયતા છે
સુરેન્દ્રનગર સબ જેલમાં અમદાવાદ જડતી સ્કવોડની ટીમે આકસ્મીક ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલના બેરેક નં. 3માં રહેલ ટીવીમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. ટીમે મોબાઈલ કબજે કરી શહેરના એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સુરેન્દ્રનગર સબ જેલમાં પૈસા ફેંકો અને સુવિધા મેળવોની વાત નવી નથી. અગાઉ પણ જેલમાંથી મોબાઈલ, બીડી, સીગારેટ, ગુટકા જેવી પ્રતીબંધીત વસ્તુઓ મળી આવી હતી. આ બાબતે અનેકવાર પોલીસ ફરિયાદ પણ થઈ છે. પરંતુ એક પણ ફરિયાદમાં કોઈ તથ્ય બહાર આવતુ નથી. જેલના કર્મીઓના સહયોગ વગર આ વસ્તુઓ અંદર પહોંચે જ નહી તે વાત પણ જગજાહેર છે. હજુ ગત માસે તા. 8 એપ્રીલના રોજ જ જેલની ગટરની કુંડીમાંથી 6 મોબાઈલ મળી આવ્યા હતા. ત્યારે ફરીવાર જેલમાંથી પ્રતીબંધીત મોબાઈલ મળી આવ્યા છે. એ ડીવીઝન પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ અમદાવાદ જડતી સ્કવોડના જેલર ડી.આર.કરંગીયા સહિતનાઓએ સોમવારે સુરેન્દ્રનગર સબ જેલમાં આકસ્મીક ચેકીંગ હાથ ધર્યુ હતુ. જેમાં જેલની બેરેક નં. 3માં તપાસ કરવામાં આવી હતી. અને બેરેકમાં રહેલ સેન્સુઈ કંપનીનું ટીવી ખોલીને જોતા તેમાંથી મોબાઈલ મળી આવ્યો હતો. બેરેકમાં કુલ 39 કેદીઓ છે. ત્યારે આ મોબાઈલ કોનો છે તેમ પુછતા કોઈએ જવાબ આપ્યો ન હતો. આથી અજાણ્યા શખ્સ સામે એ ડીવીઝન પોલીસ મથકે કેદી અધીનીયમ મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે. જેની વધુ તપાસ પીએસઆઈ ડી.એસ.ચૌહાણ ચલાવી રહ્યા છે. હાલ આ મોબાઈલ એફએસએલમાં મોકલવામાં આવ્યો છે. જેમાં જેલના કયા કેદીઓએ આ મોબાઈલનો કયારે ઉપયોગ કર્યો છે, જેલમાં મોબાઈલ ઘુસાડવામાં કોઈ જેલ કર્મી સામેલ છે કે કેમ? તેનું સત્ય બહાર આવે તેવી શકયતા છે.


