- તમામ અધિકારીઓને સહઆરોપી તરીકે દર્શાવવા માગણી કરાઈ
- રાજકોટ શહેરના ચકચારી અગ્નિકાંડમાં સીટ દ્વારા ઉચ્ચ સરકારી અધિકારીઓને બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે
- સીટ દ્વારા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું તથા બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ
રાજકોટ ગેમઝોનમાં સર્જાયેલા અગ્નીકાંડ મામલે સુરેન્દ્રનગરના સર્વ સમાજે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ. તેમજ આવેદનપત્રમાં અધિકારીઓને આ કેસમાં સહ આરોપી તરીકે દર્શાવવા માંગ કરી છે.
રાજકોટના ટીઆરબી ગેમ ઝોનના અગ્નીકાંડથી માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશ હચમચી ગયો છે. ત્યારે સરકાર દ્વારા આ કેસમાં સીટને તપાસ સોંપાઈ છે. પરંતુ સીટ દ્વારા અધિકારીઓને છાવરવામાં આવી રહ્યા હોવાનું તથા બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર સર્વ સમાજ દ્વારા કરાયો છે. શહેરના હેન્ડલુમ ચોકથી કલેકટર કચેરી સુધી શુક્રવારે સવારે મૌન રેલી યોજાઈ હતી. જેમાં ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રૂદ્રદત્તસીંહ ઝાલા, વિશુભા ઝાલા, ઋત્વીકભાઈ મકવાણા, પ્રતીકસીંહ રાણા, રમેશચંદ્ર ખોખરા, હર્ષદભાઈ છાંટબાર, ચંદ્રેશભાઈ શાહ, જીતુભાઈ ત્રિવેદી, રાજુબાપુ સહિત મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો જોડાયા હતા. અને મૌન રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવાયા મુજબ આ બનાવમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ કલેકટર, રાજકોટ ડીસીપી, તે વિસ્તારના પીઆઈ, પીએસઆઈ, ટાઉન પ્લાનીંગ ઓફીસર, ચીફ ઓફીસર, ફાયર ઓફીસરને પણ સહ આરોપીઓ તરીકે દર્શાવવા માંગણી કરાઈ છે.


