- ધ્રાંગધ્રા નગરપાલિકાની તપાસમાં ફાયર સેફટી સાધનો બંધ કે સરકારી નિયમો મુજબ ન હોવાનું ખૂલતા કાર્યવાહી હાથ ધરી
- સુરેન્દ્રનગરમાં ફાયરનાં સાધનો કામ ન કરવા, NOC એક્સપાયર જેવી બાબતોની ચકાસણી થશે
- બહુમાળી ઈમારતો, હોસ્પિટલ, શાળાઓ, થિયેટર-મોલમાં તપાસ હાથ ધરાશે
સુરેન્દ્રનગર નગરપાલિકા વિસ્તારમાં રાજકોટની દુર્ઘટના બાદ તંત્ર સફાળુ જાગ્યુ છે. ઉચ્ચકક્ષાએથી થયેલ આદેશ બાદ પાલિકાની ટીમે પણ શહેરમાં બહુમાળી ઈમારતો, હોસ્પિટલો, શાળાઓ, થિયેટર-મોલમાં ફાયર એનઓસીની તપાસ આરંભી છે. જેમાં ફાયર સીસ્ટમ ન લગાવેલી હોય અને એનઓસી ન લીધી હોવા તેવા લોકોને તુરંત ફાયર સેફટીના સાધનો વસાવી લેવા તાકીદ કરાઈ છે. બીજી તરફ ધ્રાંગધ્રા શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની સલામતી જળવાઇ રહે એ માટે ફાયર સેફટીના ચેકીંગ સમયે સાત જેટલી હોસ્પિટલોમાં ફાયર સેફટી અમુક જગ્યાએ બંધ કે ન હોવાનુ સામે આવતા રીજિયોનલ ફાયર ઓફીસર અમદાવાદ દ્વારા નોટીસો પાઠવી ખુલાસા મંગાવી ફાયર સેફટી સાધનો વસાવી સર્ટી.મેળવી લેવાનો લેખિતમાં આદેશ કરતા હોસ્પિટલ સાથે અમુક સ્કૂલ સંચાલકોમાં પણ ફફળાટ વ્યાપી ગયેલ છે.
રાજકોટ ટીઆરબી ગેમઝોનમાં થયેલ આગની દુર્ઘટના બાદ સમગ્ર રાજયની સાથે ઝાલાવાડમાં પણ તંત્ર જાગ્યુ છે. અને શહેરની હાઈરાઈઝ બિલ્ડીંગ, હોસ્પિટલ, શાળાઓ, થિયેટર, મોલમાં ફાયર સેફટીના સાધનો અને ફાયર એનઓસી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચીફ ઓફીસર સાગર રાડીયાની સુચના અને પાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડયાના માર્ગદર્શનથી ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતની ટીમ દ્વારા સુરેન્દ્રનગરની હોસ્પિટલ, શાળાઓ, હાઈરાઈઝ ઈમારતો, થિયેટર-મોલમાં તપાસ કરવામાં આવી રહી છે. પાલિકાની ટીમના જણાવાયા મુજબ મોટાભાગે તો આ સ્થળોએ ફાયર સીસ્ટમ લગાવેલી જ છે. પરંતુ આ ફાયર સીસ્ટમ બરોબર કામ કરે છે કે કે, આગ લાગે તો પાણી સંગ્રહની ક્ષમતા, એન્ટ્રી અને એકઝીસ્ટના રસ્તાઓ, ફાયર એનઓસી વગેરે બાબતે અમારી ટીમો તપાસ કરી રહી છે. જેમાં ફાયર સીસ્ટમ બરોબર કામ ન કરતી હોય તો તેને વર્કીંગ મોડમાં લાવવા સુચના અપાય છે. આ ઉપરાંત જો ફાયર એનઓસી એકસપાયર થઈ ગઈ હોય તો તેને રિન્યુ કરાવવા જણાવવામાં આવી રહ્યુ છે. જો મિલકતોના માલિકો આ અંગેની ગંભીરતા દાખવીને કાર્યવાહી નહીં કરે તો તેમની મિલકતો આગામી દિવસોમાં સીલ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ મિલકતોના માલિકોને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વીસ હેઠળ રીજિયોનલ ફાયર ઓફીસર, અમદાવાદ તરફથી નોટીસો પણ આપવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે નગરપાલિકા પુરતુ ચેકીંગ કરી રહી છે.


