- મહિલાઓની કલેક્ટર કચેરી અને પાલિકા ખાતે લેખિતમાં રજૂઆત
- પૂરતા ફોર્સથી પાણી ન આવતા પરિવારો પૈસા ખર્ચી ટેન્કર મંગાવવા મજબૂર
- લોકોએ પાણીની રજૂઆત માટે પાલિકા કચેરીએ આવી હલ્લાબોલ કર્યો હતો
સુરેન્દ્રનગરના રતનપરમાં આવેલ દેવનંદન રેસિડેન્સી સહિત આસપાસની સોસાયટીમાં પીવાનું પાણી પુરતા ફોર્સથી ન આવતા પરીવારોને અધુરૂ પાણી મળે છે. આથી પરીવારોને પૈસા ખર્ચીને ટેન્કર મંગાવવા પડે છે. સમસ્યાથી ત્રસ્ત થયેલી મહિલાઓ શુક્રવારે પાલિકા કચેરી અને કલેકટર કચેરીએ રજૂઆત કરવા દોડી ગઈ હતી અને પુરતુ પાણી આપવા માંગ કરી હતી.
સુરેન્દ્રનગર-વઢવાણ સંયુકત પાલિકા વિસ્તારમાં ધોળીધજા ડેમ થકી પાણી વિતરણ થાય છે. આ ડેમ હાલ ઉનાળામાં પણ હીલોળા લઈ રહ્યો હોવા છતાં શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીની કારમી પરિસ્થિતિ છે. હજુ થોડા દિવસ પહેલા જ વઢવાણની સુડવેલ સોસાયટી, બજરંગ પાર્ક, સી.યુ.શાહ નગરના લોકોએ પાણીની રજૂઆત માટે પાલિકા કચેરીએ આવી હલ્લાબોલ કર્યો હતો. ત્યારે શુક્રવારે રતનપરની સોસાયટીની મહિલાઓ પાલીકા કચેરી અને કલેકટર કચેરીમાં રજૂઆત કરવા દોડી આવી હતી. રતનપરની દેવનંદન સોસાયટી, ધર્મ દર્શન સોસાયટી, નીલકંઠ પાર્ક સહિતના વિસ્તારોમાં છેલ્લા ર માસથી પીવાનું પાણી આવતુ નથી. અગાઉ જયારે પાણી આવતુ હતુ ત્યારે પુરતા ફોર્સથી આવતુ ન હતુ. આથી રહીશોને ના છુટકે પૈસા ખર્ચીને પીવાના પાણીના ટેન્કરો મંગાવવા પડી રહ્યા છે. સામાન્ય પરીવારો હોઈ આ ખર્ચો તેઓને પોષાતો નથી. આથી આ વિસ્તારના કે.એન.રાજદેવ, શંભુ ઘાટલીયા, અલકાબેન પરમાર, મનીશાબેન ડોડીયા, જીજ્ઞાબેન ખાંદલા સહિતનાઓએ કલેકટર કચેરી અને પાલિકા કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી પુરતુ પાણી આપવા માંગ કરી છે.


