- મારા વાહનને રોડ પરથી હટાવશો તો જાનથી મારી નાંખીશ
- બે મહિલા સહિત 3 સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
- વાહન સાઈડમાં લેવા બાબતે બોલાચાલી કરી
સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર આવેલા જયોતીનગરમાં રહેતા બે ભાઈઓને રસ્તા પરથી વાહન સાઈડમાં લેવા બાબતે બોલાચાલી કરી બે મહિલાઓ સહિત 3 શખ્સોએ લાકડીઓ વડે માર મારી ઈજા પહોંચાડી હતી. બનાવની સુરેન્દ્રનગર શહેરના બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર શહેરના 80 ફુટ રોડ પર આવેલ જયોતીનગરમાં રહેતા 30 વર્ષીય ભાવેશભાઈ ભકતીરામજી બારોલીયા મંડપ સર્વીસનું કામ કરે છે. તા. 28મીના રોજ તેઓ મંડપનું કામ પુર્ણ કરી કાર લઈને ઘરે આવતા હતા. ત્યારે ઘર પાસે વિરેન્દ્રસીંહ ઉર્ફે મુનો જાડેજાનું બાઈક રસ્તા પર પડયુ હતુ. આથી ભાવેશભાઈએ બાઈક સાઈડમાં મુકયુ હતુ. થોડીવાર બાદ વિરેન્દ્રસીંહ અને તેમના માતા કૈલાસબેન ભાવેશભાઈના ઘર પાસે આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. આથી ભાવેશભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા બન્નેએ ઉશ્કેરાઈ જઈ ભાવેશભાઈની કારને નુકશાન કરવાનું કહી લાકડીઓ લઈને આવ્યા હતા. આથી ભાવેશભાઈ અને તેમના ભાઈ દિલીપભાઈએ નુકશાન ન કરવાનું કહેતા વિરેન્દ્રસીંહ, માતા કૈલાસબેન અને બહેન પુજાબેને ઉશ્કેરાઈ જઈ બન્ને ભાઈઓને લાકડીઓ વડે માર મારી ઈજા પહોંચાડી હતી અને હવે મારા વાહનને રોડ પરથી હટાવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ બનાવમાં ઈજાગ્રસ્ત ભાવેશભાઈ અને દિલીપભાઈને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીએસઆઈ એસ.પી.ઝાલા ચલાવી રહ્યા છે.


