સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે રહેતા ખેડુતની જમીનના ભાગ પડયા હતા. જેમાં જમીન હજુ કાકાના ખાતે હતી.
ત્યારે આ જમીન નામે કરાવવા બાબતે ચાલતી તકરારમાં ખેડુતને ધાબા પરથી ધક્કો મારી સગા કાકા અને પિતરાઈ ભાઈએ મોત નીપજાવ્યાની ઘટના બની છે. બનાવની મૃતકની પત્નીએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા અને કૌટુંબીક દિયર સામે ફરિયાદ નોંધાવી છે.
જર, જમીન અને જોરૂ..આ ત્રણેય કજીયાના છોરૂ ઉકિત સાર્થક ઠરતી હોય તેમ સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે જમીન મામલે હત્યાનો બનાવ બન્યો છે. જેમાં યુવાનને તેના કાકા અને પિતરાઈ ભાઈએ ધાબા પરથી ધક્કો મારી મોત નીપજાવ્યુ છે. મળતી માહીતી મુજબ સાયલા તાલુકાના ચોરવીરા (થાન) ગામે રહેતા મુનાભાઈ વહાણભાઈ મારૂણીયા ખેતી કરે છે. તેઓને સંતાનમાં ર દિકરા અને 1 દિકરી છે. તેમના પિતા વહાણભાઈ મારૂણીયાના ભાગે 12 વીઘા જમીન આવેલી છે. આ જમીન ગામની સીમમાં આવેલી છે. પરંતુ આ જમીન હાલ મુનાભાઈના કાકા રવજી પોપટભાઈ મારૂણીયાના ખાતે છે. આથી મુનાભાઈ અવારનવાર તેમના કાકાને પિતા વહાણભાઈ હયાત છે ત્યાં સુધી આ જમીન વહાણભાઈના નામે કરી આપવાનું કહેતા હતા. જેમાં રવજી અને તેનો દિકરો અનુ આ જમીન ખાતે કરવાની વાત હવે કરતો નહી, અને અપશબ્દો કહી નહીતર જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપતા હતા. તા. 7-12ના રોજ બપોરે મુનાભાઈ તેમના પત્ની કીરણબેન સાથે વાડીએ વાવેતર કરેલ ઘઉંમાં પાણી વાળતા હતા. જેમાં મુનાભાઈના મોબાઈલ ફોનમાં રવજીનો ફોન આવ્યો હતો અને અત્યારે ઘરે આવ આપણે જમીનની વાત કરી લઈએ તેમ કહ્યુ હતુ.
સાંજના 4 કલાક સુધી મુનાભાઈ પરત આવ્યા ન હતા. જેમાં કીરણબેને ફોન કરવા છતાં મુનાભાઈએ ફોન ઉપાડયો ન હતો. બાદમાં સાંજે 7-30 કલાકે મુનાભાઈનો નાનો ભાઈ રઘાભાઈ મારૂણીયા ઘરે આવતા કીરણબેને વાત કરતા રઘાભાઈ તેના કાકા રવજીના ઘરે ગયા હતા. જયાં મુનાભાઈ રવજીના મકાનના ઘરના ફળીયામાં ખાટલામાં માથુ નાંખી બેઠા હતા. આથી રઘાભાઈએ પુછતા મુનાભાઈએ જણાવ્યુ કે, રવજીકાકાએ જમીનની વાત કરવા મને બોલાવ્યો હતો. અને તેના મકાનના ધાબા પર રવજી તથા અનુ સાથે તેઓ જમીનની વાત કરતા હતા. જેમાં જમીન નામે કરી દેવાની વાત કરતા બન્ને ઉશ્કેરાયા હતા અને અપશબ્દો કહેવા લાગ્યા હતા. જેમાં મુનાભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા બન્ને પિતા-પુત્રે મુનાભાઈને ધાબા ઉપરથી ધક્કો મારી દીધો હતો. જેમાં માથામાં ભાગે મુનાભાઈને વાગેલ હતુ. બીજા દિવસે તા. 8-10ના રોજ મુનાભાઈને ઈકો કારમાં સારવાર માટે સુરેન્દ્રનગર શહેર ખાતેની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ લઈ જવાયા હતા.
જેમાં તબીબોએ માથામાં બે જગ્યાએ હેમરેજ હોવાનું કહી ઓપરેશન કર્યુ હતુ. પરંતુ સારવાર કારગત ન નીવડતા તા. 9-12ના રોજ વહેલી સવારે 4-30 કલાકે મુનાભાઈનું અવસાન થયુ હતુ. આથી મૃતકને પીએમ કરાવવા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે કીરણબેન મુનાભાઈ મારૂણીયાએ સાયલા પોલીસ મથકે કાકાજી સસરા રવજી પોપટભાઈ મારૂણીયા અને કૌટુંબીક દિયર અનુ રવજીભાઈ મારૂણીયા સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ સાયલા ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી.ચુડાસમા ચલાવી રહ્યા છે.


