ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે ઈંગ્લેન્ડ સામે કેપ્ટન તરીકે રમતો જોવા મળશે. સૂર્યકુમારે આજે ક્રિકેટની દુનિયામાં એક અલગ ઓળખ બનાવી છે. તેની કારકિર્દી દર્શાવે છે કે સખત મહેનત દ્વારા સફળતા મેળવી શકાય છે. પણ શું તમે જાણો છો કે એક સમયે સૂર્યકુમાર યાદવ બેડમિન્ટનમાં કારકિર્દી બનાવવા માંગતા હતા?
આજે તેને T20 ફોર્મેટમાં પોતાની શાનદાર બેટિંગના કારણે વિશ્વ ક્રિકેટમાં એક અલગ ઓળખ બનાવી છે. તમને જણાવી દઈએ કે બેડમિન્ટનથી ક્રિકેટ સુધીની આ સફર પૂર્ણ કરીને સૂર્યકુમાર ભારતીય ફેન્સના દિલ પર કેવી રીતે રાજ કરી રહ્યો છે.
બાળપણથી જ રમતગમતનો શોખીન
સૂર્યકુમાર યાદવનો જન્મ 14 સપ્ટેમ્બર 1990ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતા અશોક કુમાર યાદવ BARC માં ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. સૂર્યકુમારના પરિવારને રમતગમત સાથે કોઈ ખાસ જોડાણ ન હતું, પરંતુ તેને પોતે રમતગમત પ્રત્યે ઊંડો લગાવ હતો. તેને બાળપણથી જ ક્રિકેટ અને બેડમિન્ટન રમવાનો શોખ હતો. પરંતુ રમતગમતમાં તેમનો રસ ફક્ત શોખ પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ તેને બંને રમતોમાં સારા લેવલે પ્રદર્શન કર્યું. પરંતુ જીવનમાં એક એવો સમય આવ્યો જ્યારે સૂર્યકુમારને પોતાના કરિયર માટે ક્રિકેટ અને બેડમિન્ટન વચ્ચે પસંદગી કરવી પડી. તેને ક્રિકેટ પસંદ કર્યું અને આજે તે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતીય ટીમનો કેપ્ટન છે.
પત્ની દેવીશાએ કર્યો સપોર્ટ..
સૂર્યકુમાર યાદવની ક્રિકેટ સફર સરળ ન હતી. તેને ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે ખૂબ મહેનત કરી છે. ઘણા વર્ષોથી ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં, તેને ભારતીય ટીમમાં તક મળી રહી ન હતી. સૂર્યકુમારે મુંબઈની સ્થાનિક ટીમ માટે રણજી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ધીમે ધીમે પોતાની છાપ છોડી દીધી. પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવું તેમના માટે એક મોટો પડકાર હતો. સખત મહેનત અને ધીરજ હોવા છતાં, એક સમય એવો આવ્યો જ્યારે સૂર્યકુમારને લાગવા લાગ્યું કે કદાચ તે ક્યારેય ભારતીય ટીમનો ભાગ બની શકશે નહીં. આ સમય દરમિયાન તેમની પત્ની દેવીશા શેટ્ટી તેને પ્રોત્સાહન અને સપોર્ટ કરતી. સૂર્યકુમારની સફળતામાં તેની પત્ની દેવીશાનો મહત્વનો ફાળો રહ્યો છે.
31 વર્ષની ઉંમરે મળી તક
સૂર્યકુમાર યાદવે 31 વર્ષની ઉંમરે, 2021 માં ભારતીય ક્રિકેટ ટીમ માટે ઈંગ્લેન્ડ સામે પોતાની પહેલી T20 મેચ રમી હતી. આ ઉંમરે જ્યારે ઘણા ખેલાડીઓ તેમની કરિયરના અંતિમ તબક્કામાં હોય છે, ત્યારે સૂર્યકુમારે ક્રિકેટમાં એક નવી શરૂઆત કરી. તેનું ડેબ્યૂ મોડું થયું, પરંતુ ત્યારબાદ તેને ક્યારેય પાછળ વળીને જોયું નહીં. પોતાની પહેલી જ મેચમાં તેને બતાવ્યું કે તે ભારતીય ટીમનો મહત્વપૂર્ણ ભાગ બનવા માટે તૈયાર છે.
સૂર્યકુમાર યાદવે T20 ફોર્મેટમાં પોતાની આક્રમક બેટિંગથી બધાનું દિલ જીતી લીધું છે. તેની ખાસિયત એ છે કે તે મેદાનના બધા જ ભાગોમાં શોટ રમી શકે છે, જે બોલરો માટે સમસ્યાઓ ઉભી કરે છે. ટૂંક સમયમાં, સૂર્યકુમાર T20 ક્રિકેટમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાંના એક બની ગયો.
આવું છે આંતરરાષ્ટ્રીય કરિયર
સૂર્યકુમાર યાદવે અત્યાર સુધીમાં ભારત માટે 71 T20 મેચ રમી છે, જેમાં તેને 68 ઈનિંગ્સમાં 42.66 ની સરેરાશથી 2432 રન બનાવ્યા છે. જેમાં 4 સદી અને 20 અડધી સદીનો સમાવેશ થાય છે. સૂર્યકુમારની બેટિંગની સૌથી મોટી તાકાત તેની ફિનિશિંગ ક્ષમતા અને મેદાનની આસપાસ શોટ રમવાની ક્ષમતા છે, જેના કારણે ક્રિકેટ ફેન્સ તેમને ટીમ ઈન્ડિયાના ‘મિસ્ટર 360’ કહે છે.
ODI ક્રિકેટમાં તેનું પ્રદર્શન એટલું સારું રહ્યું નથી. તેને ૩૭ વનડેમાં 25.76 ની સરેરાશથી 773 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદીનો સમાવેશ થાય છે. સૂર્યકુમારે અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં ફક્ત એક જ મેચ રમી છે, જેમાં તેને 8 રન બનાવ્યા છે. તેને હજુ સુધી વનડે અને ટેસ્ટ ક્રિકેટમાં પોતાને સાબિત કર્યું નથી, પરંતુ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે.
IPL કારકિર્દીમાં ઘણું યોગદાન
સૂર્યકુમાર યાદવની T20 આંતરરાષ્ટ્રીય સફળતાનું એક મુખ્ય કારણ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રહ્યું છે. તેનું IPL કરિયર 2011 માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) થી શરૂ થઈ હતી, પરંતુ શરૂઆતના બે વર્ષમાં તેને ઘણી તકો મળી ન હતી. આ પછી, સૂર્યકુમારે 2014 માં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સાથે કરાર કર્યો, જ્યાં તેને ઘણી તકો મળી. કોલકાતા તરફથી રમતી વખતે, તેને કેટલીક શાનદાર ઈનિંગ્સ રમી અને પોતાની ઓળખ બનાવી.
2018 માં સૂર્યકુમાર યાદવ ફરીથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો અને અહીંથી તેનું કરિયર નવી ઊંચાઈએ પહોંચ્યું. તેને મુંબઈ ઈન્ડિયન્સ માટે સતત સારું પ્રદર્શન કર્યું અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. અત્યાર સુધીમાં, તેને 150 આઈપીએલ મેચોમાં 32.38 ની સરેરાશથી 3594 રન બનાવ્યા છે, જેમાં 2 સદી અને 24 અડધી સદીનો સમાવેશ થાય છે. આજે, સૂર્યકુમાર યાદવની બેટિંગ કુશળતા આખી દુનિયામાં ઓળખાય છે.


