T20 મુંબઈ 2025 ટુર્નામેન્ટ હવે સમાપ્ત થઈ ગઈ છે ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ શ્રેયસ ઐયર અને સૂર્યકુમાર યાદવ પણ આ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળ્યા હતા. શ્રેયસ ઐયરની ટીમ મુંબઈ ફાલ્કન્સ આ વખતે ફાઈનલમાં પહોંચી હતી પરંતુ ફાઈનલમાં મુંબઈ ફાલ્કન્સને મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સે મેચ જીતીને ટાઈટલ પર કબજો કર્યો હતો. હાર બાદ પણ શ્રેયસ ઐયરની ટીમને લાખો રૂપિયા મળ્યા હતા.
રોહિત શર્માએ ઐયરને ચેક આપ્યો
આ મેચમાં મુંબઈ ફાલ્કન્સને 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈ ફાલ્કન્સનો કેપ્ટન શ્રેયસ ઐયર મેચમાં ફ્લોપ સાબિત થયો અને બેટિંગ કરતી વખતે માત્ર 12 રન બનાવ્યા હતા. ફાઈનલમાં હાર બાદ મુંબઈ ફાલ્કન્સને 50 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું. વનડે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ ચેક પોતાના હાથે કેપ્ટન શ્રેયસ ઐયરને સોંપ્યો હતો.
શ્રેયસ ઐયરે કહી આ વાત
ફાઈનલમાં હાર બાદ મુંબઈ ફાલ્કન્સના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું હતું કે, ‘તે ખૂબ જ વ્યસ્ત હોય છે. જ્યારે તમે હારો છો ત્યારે તમારા મનનમાં ઘણું બધુ ચાલતું રહે છે. મેચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોય છે અને જ્યારે તમે બધાની સામે હારનો સામનો કરો છો. આખું સ્ટેડિયમ ઉત્સાહથી ભરેલું હતું. ફેન્સે આવવા અને ટેકો આપવા બદલ ખૂબ ખૂબ આભાર. અમે ઘણું શીખ્યા છીએ. ફાઈનલ હાર્યા પછી નિરાશ થવું સામાન્ય છે.’
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ફાલ્કન્સે 20 ઓવરમાં 157 રન બનાવ્યા હતા. મુંબઈ ફાલ્કન્સ માટે મયુરેશ ટંડેલે સૌથી વધુ 50 રન બનાવ્યા. આ પછી મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સે 19.2 ઓવરમાં 158 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. મુંબઈ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સ માટે ચિન્મય રાજેશે સૌથી વધુ 53 રન બનાવ્યા હતા.