કડક કાર્યવાહીથી ખનીજ માફીયાઓના આર્થિક હિત જોખમાયા : માજી ધારાસભ્ય
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખનીજ ચોરી અને રાજકીય દબાણને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. ચોટીલાના માજી ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, સ્થાનિક ખનીજ માફિયાઓ અને કેટલાક રાજકીય પદાધિકારીઓ મળીને પ્રાંત અધિકારી હરેશ મકવાણાની બદલી કરાવવા માટેનો તખ્તો તૈયાર કરી રહ્યા છે.
ખનીજ ચોરી પર લગામ લગાવતા માફિયાઓ ફફડ્યા આક્ષેપ મુજબ, પ્રાંત અધિકારી હરેશ મકવાણાએ પદ સંભાળ્યા બાદ ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ચાલતી ખનીજ ચોરી પર કડક લગામ લગાવી છે. તેમની પ્રામાણિકતા અને કડક કાર્યવાહીને કારણે ખનીજ માફિયાઓના આર્થિક હિતો જોખમાયા છે, જેના કારણે તેઓ અધિકારીને માર્ગમાંથી હટાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
હપ્તાખોરીની પોલ ખોલી
ઋત્વિક મકવાણાએ હપ્તાખોરીની પોલ ખોલતા જણાવ્યું કે, અગાઉ કાર્બોસેલની ચોરી કરનારા તત્વો દર મહિને એકથી દોઢ લાખ રૂપિયાનો હપ્તો આપતા હતા. પરંતુ હવે પ્રાંત અધિકારીની બદલી કરાવવાના આશયથી આ હપ્તાની રકમ વધારીને બે લાખ રૂપિયા સુધી બાંધવામાં આવશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય ઓથ હેઠળ ખનીજ ચોરો ફરીથી સક્રિય થવા માંગે છે.
અંગત સ્વાર્થ માટે વહિવટી તંત્ર ઉપર દબાણ
ભૂમાફિયાઓને ખુલ્લો દોર આપવાનો પ્રયાસ માજી ધારાસભ્યએ વધુમાં ઉમેર્યું કે, જો ઈમાનદાર અધિકારીની બદલી કરવામાં આવશે તો ભૂમાફિયાઓ અને ખનીજ ચોરોને ફરીથી મેદાન મોકળું મળી જશે. રાજકીય આગેવાનો અને તેમના મળતીયાઓ પોતાના અંગત સ્વાર્થ માટે વહીવટી તંત્ર પર દબાણ લાવી રહ્યા છે.


