ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની યજમાની હેઠળ શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 9 માર્ચે રમાવાની છે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. પરંતુ આ પહેલા પણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી એક મોટા સમાચાર આવી રહ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બીસીસીઆઈએ ખેલાડીઓને એક સારા સમાચાર આપ્યા છે. ભારતીય બોર્ડે ખેલાડીઓને ટુર્નામેન્ટ દરમિયાન તેમના પરિવારને તેમની સાથે રાખવાની મંજૂરી આપી છે. પરંતુ સાથે જ એક શરત પણ રાખી છે. BCCIના આ નવા નિર્ણયો સાથે બીસીસીઆઈનો ફેમિલી નિયમ તૂટી ગયો છે. જે થોડા સમય પહેલા જ બનાવાયો છે.
BCCIનો પારિવારિક નિયમ શું છે?
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં કારમી હાર બાદ BCCI એ સમીક્ષા બેઠક યોજી હતી. જે બાદ કેટલાક કડક નિયમો બનાવ્યા હતા. આનાથી ભારતીય ક્રિકેટરો વિદેશી પ્રવાસ દરમિયાન તેમના પરિવાર સાથે વિતાવી શકતા સમયનો ઘટાડો થયો હતો. પરંતુ હવે નવા નિયમો મુજબ જો કોઈ ટુર્નામેન્ટ 45 દિવસ કે તેથી વધુ સમયની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે ફક્ત 14 દિવસ માટે જ રહેવાની મંજૂરી આપવામાં આવશે, અને જો પ્રવાસ ઓછા દિવસનો હોય તો 7 દિવસ હોઇ શકે. એટલે કે નવા નિયમો મુજબ આખી ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓની પત્ની તેમની સાથે રહી શકતી નથી. પરિવાર માત્ર 2 સપ્તાહ સુધી જ સાથે રહી શકશે.
પરિવાર એક જ મેચમાં સાથે હશે
પરંતુ હવે BCCI એ પોતાનો જ નિયમ તોડી નાખ્યો છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખેલાડીઓને તેમના માતાપિતા અથવા પત્નીઓને સાથે લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, BCCI એ આ પરવાનગી ફક્ત એક મેચ માટે આપી છે. જોકે, ટીમ બોન્ડિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ખેલાડીઓ કોઈપણ વિક્ષેપ વિના સાથે રહે તેની ખાતરી કરવામાં આવશે.
ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ એક મેચ માટે ખેલાડીઓએ પોતાના પરિવારને સાથે લઈ જવા માટે બોર્ડ પાસેથી પૂર્વ પરવાનગી લેવી પડશે. ખેલાડીઓએ બોર્ડને તેમની પસંદગીની મેચ વિશે જણાવવું પડશે કે તેઓ તેમના પરિવારને કઈ મેચમાં સાથે લઈ જવા માંગે છે અને તે મુજબ ખેલાડીને પરવાનગી આપવામાં આવશે.
દુબઇમાં રમાશે મેચ
ઉલ્લેખનીય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પહેલો મુકાબલો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 19 ફેબ્રુઆરીએ કરાચીમાં રમાશે. જ્યારે ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે. આ કારણે આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ યોજાઈ રહી છે.
ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમનો બીજો મુકાબલો 23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં પોતાની છેલ્લી એટલે કે ત્રીજી મેચ ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ 2 માર્ચે રમાશે.


