- રસ્તાઓ ઊબડખાબડ, ખુલ્લી ગટર, દૂષિત પાણી વિગેરે સમસ્યાઓથી સ્થાનિકોમાં ભારે રોષ
- બોડાણા સર્કલ પાસે ગટરો ખુલ્લી બેન્કના છ્સ્ જવાનો રસ્તો બંધ
- જી ડી ભટ્ટ હાઈસ્કુલ વિસ્તારમાં ઉભરાતી ગટરો, જાહેર માર્ગ પર પાણી ફરી વળ્યા
યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં આઠ -દસમાંથી વહીવટદાર શાસન છે. નગરપાલિકાના વહીવટદારનો વહીવટ ખાડે ગયો છે. યાત્રાધામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ વર્તાઇ રહ્યો છે. નગરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તા બિસમાર, ઉભરાતી ગટરો, ઠેર ઠેર ગંદકી, કચરો, દુષિત પાણી વિગેરે સમસ્યાથી નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. દર્શનાર્થે આવતાં યાત્રાળુઓ નગરની સમસ્યાથી હેરાન પરેશાન થઇ જાય છે. સરકાર દ્વારા યાત્રાધામ વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવા છતાં પાલિકાના વહીવટકર્તાઓની ઘોર બેદરકારીના કારણે યાત્રાળુઓ અને નગરજનોને હાલાકીનો સામનો કરવો પડે છે. જિલ્લા કલેકટર યાત્રાધામ વિકાસ પ્રત્યે ધ્યાન આપવામાં આવે અને યાત્રાળુઓને સુવિધા પ્રાપ્ત થાય તેવી માગ છે.
ડાકોર નગરમાં 30 હજાર ઉપરાંત નગરજનો રહે છે. અને રણછોડરાયજી મંદિરમાં વાર તહેવાર અને પૂનમના દિવસે વૈષ્ણવો અને યાત્રાળુઓનો મહેરામણ ઊમટી પડે છે. સરકાર દ્વારા યાત્રાધામ ડાકોરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. તેમજ નગરપાલિકાને યાત્રાધામ નગરને લઇને વિકાસ અર્થે કરોડોની ગ્રાન્ટ આપવામાં આવે છે. તેમ છતાં યાત્રાધામ નગર પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. નગરના તમામ રસ્તાઓ ઉબડ ખાબડ , મંદિર વિસ્તાર તરફ જોડતાં માર્ગો ઉપર ઠેર ઠેર ખાડા, ગંદકી, કચરાના ઢગ અને ગટર લાઇનની સાફ સફાઇના અભાવે ઠેર ઠેર ઉભરાઇ ગટરો, ખુલ્લી ગટરો વિગેરે સમસ્યાઓથી ઘેરાયેલું છે. તેમછતાં નગરપાલિકાના વહીવટીદાર ઘોર નિંદ્રા હોય તેમ છે. નગરમાં આ સમસ્યાના ઉકેલ માટે વહીવટદાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને લઇને મંદિરમાં દર્શનાર્થે આવતાં દર્શનાર્થીઓ,વૈષ્ણવો,નગરજનો ત્રાહીમામ પોકારી ગયા છે. મંદિરની સામે આવેલ પવિત્ર ગોમતી તળાવની પણ સમયાંતરે સાફસફાઇના અભાવે ગંદકીનો ઉપદ્રવ થઇ ગયો છે. જેથી યાત્રાળુઓ પવિત્ર ગોમતી તળાવનું પાણી આચમન કે માથે ચઢાવી શકતાં નથી. ગટરનું ગંદુ પાણી ગોમતી તળાવમાં ઠલવાય છે.જેને લઇને યાત્રાળુઓની આસ્થા પર ઠેસ પહોંચે છે. નગરપાલિકાના વહીવટીદારની અણઆવડત અને ઘોર બેદરકારીના કારણે યાત્રાધામ ની સ્થિતિ ખૂબ ખરાબ થઇ ગઇ છે. આગામી ફાગણી મેળાને લઇને લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવે છે. જેને લઇને તાજેતરમાં જિલ્લા કલેકટર દ્વારા સમગ્ર નગરનું નિરીક્ષણ કર્યું હતું. કલેકટર દ્વારા વહીવટીદાર અને ચીફઓફિસરને જરૂરી સુચના આપી હતી. તેમછતાં આ સુચનાઓને વહીવટદાર અને સીઓ ધોળીને પી ગયા છે. રવિવારે ખુલ્લી ગટરમાં એક બાઇક ખાબકતાં અકસ્માત સર્જાયો હતો. જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે ધ્યાન આપીને ફાગણી પૂનમ પહેલા નગરની તમામ સમસ્યાઓને દૂર કરી દેવામાં આવે તેવી નગરજનોની માગ છે.
અનેક સમસ્યાના કારણે યાત્રાળુઓ યાત્રાધામની છાપ સારી લઇને જતાં નથી
સ્થાનિક ગોપાલભાઇ શાહે જણાવ્યું હતું કે, નગરપાલિકાના વહીવટદારની ઘોર બેદરકારીના કારણે નગરજનો અને યાત્રાળુઓને વિવિધ સમસ્યાના કારણે હાલાકી ભોગવવી પડે છે. બિસમાર રસ્તા , ઉભરાતી ગટર , જાહેર શૌચાલયની સુવિધાનો અભાવ વિગેરે સમસ્યાથી યાત્રાળુઓ પણ ત્રાહીમામ પોકારી જાય છે. સમસ્યાના કારણે યાત્રાળુઓ યાત્રાધામ નગરની છાપ સારી લઇને જતાં નથી.
નગરમાં એકપણ રસ્તા સારો નથી અને દૂષિત પાણી
ડાકોર યમુનાકુંજ સોસાયટીના અશોકભાઇ પટેલે જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા જિલ્લા કલેકટર તથા તેમની ટીમ દ્વારા ફાગણી પૂનમની તૈયારીઓના ભાગરૂપે યાત્રાધામના રસ્તાથી માંડીને તમામ વિસ્તારોનું નિરક્ષણ કરવામાં આવ્યું હતું . તેમછતાં પાલિકાના વહીવટદાર દ્વારા નગરની વિવિધ સમસ્યાઓના ઉકેલ માટે કોઇ પગલા ભરવામાં આવ્યા નથી. નગરમાં એકપણ રસ્તો સારો નથી, ગટર ઉભરાઇ છે તેમજ પીવાનું દુષિત પાણીને લઇને રોગચાળો ફાટી નીકળવાની દહેશત પ્રવર્તી રહી છે. વિકાસ માટેની કરોડોની ગ્રાન્ટ ક્યાં જાય છે તે પણ એક સવાલ છે. નગરમાં કોઇ વિકાસ નથી દેખાતો.
યાત્રાધામ ડાકોર વિકાસના કામોમાં શૂન્ય છે
સ્થાનિક રાજુભાઇ શાહે જણાવ્યું હતું કે, યાત્રાધામ ડાકોર વિકાસના કામોમાં શૂન્ય છે. નગરના રસ્તાઓ બિસમાર , ઠેર ઠેર ખાડા , ઉભરાતી ગટર અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ થઇ ગયો છે. જેથી રોગચાળો ફાટી નિકળવાની દહેશત નગરજનોમાં પ્રવર્તી રહી છે.
વહીવટદાર ફોન ઉપાડતાં નથી, સીઓ કહે સમસ્યા હલ કરી દઇશું
ડાકોર નગરપાલિકાના વહીવટદાર મામલતદારનો ફોન ઉપર વારંવાર સંપર્ક કરવા છતાં તેઓએ ફોન ઉપાડતાં ન હતાં અને ચીફઓફિસર વાય.જે. ગણાત્રાએ કહ્યું હતું કે નગરમાં વિવિધ સમસ્યાનું નિરાકરણ થઇ જશે તે માટે પાલિકાના જે તે વિભાગને સુચના આપી દીધી છે. તેમ કહીને ફોન મૂકી દીધો હતો.


