- યોગેશ ચુડગર
સવિતાબા બપોરે પરવારી આડાં પડવા જતાં હતાં કે સરલા આવીને કાગળ આપી ગઈ. હતો તો માત્ર પોસ્ટકાર્ડ. પણ તેમાંના દાણાદાર મોતી જેવા અક્ષરો જોયા, એટલે કાગળ વાંચવાની ઈચ્છા રોકી શક્યાં નહીં. સરલા આશ્રમની પટાવાળી હતી, પણ બધાં તેને પોતાના સ્નેહી-સંબંધીની માફક જ રાખતાં હતાં. અને કેમ ના રાખે ? તેને માટે તો આ બધા જ તેની દુનિયા હતી. બધા જ આશ્રમવાસીઓને સાચાં લોહીનાં જે સંબંધીઓ હતાં, તેમણે તો તેમને તોડીને ઘરની બહાર કાઢી મૂક્યાં હતાં. આ વૃધ્ધાશ્રમમાં ધકેલી દીધાં હતાં. અહીં રહેવા આવેલાં બધાં જ ક્યાં એકબીજાનાં સગા છે ? અરે.. આંખની પણ ઓળખાણ નહોતી, અહીં આવતાં પહેલાં તો..? રસ્તે મળ્યાં હોય તો વાત કરવાની તો બાજુમાં રહી, પણ માથુંયે હલાવતાં નહોતાં-એકબીજાને જોઈને.. તે બધાં અહીં આવીને એકબીજાનાં પરમસ્નેહી અને અંગત સંબંધી બની ગયાં છે.
જ્યારે જેમની સાથે લોહીનો સંબંધ હતો, તેઓ તો અજાણ્યાં બની ગયાં છે… અરે.. સામે મળવાની વાત તો બાજુ પર રહી પણ ફોન કરવા પણ તૈયાર નથી. અને જો અહીંથી ફોન કર્યો હોય તો રીંગો જ વાગ્યા કરે.. જો કોઈનો મોબાઈલ નંબર હોય તો મોબાઈલ સ્વીચ-ઓફ જ આવે. એવામાં બીચારી સરલા હતી તો આશ્રમની પટાવાળી પણ ઘરનાં ના કરે એટલી સેવા કરે છે એ – અહીં રહેતાં બધાંયની.. પેલા બાર નંબરવાળા મનસુખકાકાને છેલ્લે છેલ્લે તો ઝાડા-પેશાબનું પણ ભાન રહ્યું નહોતું. અરે..ચાદરો બગાડતાં. તેમના પોતાનાં કપડાં પણ બગાડતાં, પણ આ સરલાએ ક્યારેય મોં મચકોડ્યું નથી. ઉપરથી કહેતી..એમાં શું ? અહીં રહેતાં બધાંયે મારાં માવતર જેવાં જ છે ને ? અને મા-બાપની સેવા કરીએ તો પાપ કપાય અને પૂણ્ય મળે.. હવે એ અભણ બાઈને કોણ સમજાવે કે જેને આ કામ કરવાનું છે, તે તો કરતાં નથી. ભલે પૂણ્ય ના મળે, પાપનું પોટલું માથે લઈને જવું પડે, તો પણ વાંધો નહી..પણ એ વળી ડોસા ડગરાંની ગંદકી કોણ સાફ કરે?
એ મનસુખકાકા મરી ગયા, ત્યારે આશ્રમના સંચાલક કનુભાઈએ તેમના દીકરાને ફોન કર્યો, તો તેણે જે જવાબ આપ્યો – આપણને તે એમ થાય કે આવાં દીકરા હોય તેનાં કરતાં તો વાંઝિયા રહેવું સારું. મનસુખકાકાના દીકરાએ તે ફોનમાં કનુભાઈને કહયું, ‘તમે મારા બાપાનાં ક્રિયાકરમ કરી નાંખજો, જે ખર્ચો થાય તે હું આપી દઈશ, અને ઉપરથી તમારા આશ્રમમાં એક રૂમ પણ બંધાવી આપીશ, જેના ઉપર મારા બાપાનું નામ લખાવીશ કે મનસુખલાલના સ્મરણાર્થે તેમના સુપુત્ર તરફથી…’
બોલો.. શું જમાનો આવ્યો છે ?? સવિતાબાએ એક નિસાસો નાંખ્યો, કે તેઓએ સારી અગમચેતી વાપરી, તેમનો દીકરો અને વહુ તેમની સાથે એવું વર્તન કરે કે જેના કારણે તેમને સમાજમાં નીચું જોવું પડે, પોતાની કૂખ લાજે, પોતાના સંસ્કાર લાજે. તેનાં કરતાં તેમને પૂર આવતાં પહેલાં જ અગમચેતી મળી ગઈ, કે હવે આ દીકરો અને વહુ તેમને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકશે. એટલે તેઓ જાતે જ આશ્રમમાં દાખલ થઈ ગયા. વહુ તો ખુશખુશાલ થઈ ગઈ હતી. ખાલી દેખાડો કરવા અને સમાજમાં પોતાનું સારું દેખાડવા જ ગતકડાં કાઢતી હતી, કે ‘બા તમે ના જશો, તમારા વિના અમને ગમશે નહીં. આ મુન્ની તો તમારી કેટલી હેવાઈ થઈ ગઈ છે?’
સવિતાબાને તો તે વખતે એવું થઈ ગયું હતું કે તેના મોંઢે જ ચોપડાવી દે કે તમારી ધણી-ધણીયાણીની બધી જ વાતો મેં સાંભળી લીધી છે. તમે મને આ ઘરમાંથી કાઢવાના પેંતરા કરો છો, તે હું બધુંય જાણું છું અને સમજું છું. પણ આવું કહેવાનો કોઈ અર્થ નહોતો. તેનાથી તેમનું આશ્રમમાં જવાનું અટકી જવાનું નહોતું. પછી શું કામ ભૂંડા થવું ? અને સવિતાબાની વિચારસરણી પણ એ જ પ્રકારની હતી. ક્યારેય કોઈને ખાસ શબ્દ કહયો નહોતો.. પણ વહુને તેમણે દીકરીની જેમ રાખી હતી..પણ વહુ તેમને માની જેમ રાખી ના શકી..અને આ મુન્ની..હા.. કદાચ આ પોસ્ટકાર્ડ મુન્નીનો જ હતો. તેમણે ચશ્મા કાઢ્યાં અને કાગળ વાંચવા માંડયા.
પરમ પૂજ્ય બા,
સાદર સાષ્ટાંગ પ્રણામ..’ વાહ..ખરું લખતી થઈ ગઈ છેને મારી મુન્ની તો.. મનોમન બબડયા, ‘હા.. પણ હવે તો મોટી થઈ ગઈ હશેને ? ભણતી હશે, તે સ્કૂલમાં આવુ બધું લખવાનું તેને શીખવાડતા જ હશેને ?’ પછી આગળ વાંચવા માંડયાં, ‘તમે મજામાં હશો, અને તમારા આશીર્વાદથી હું પણ અહીં મજામાં છું, નવમા ધોરણમાં ભણું છું. નાની ટીંકુડી પણ ત્રીજા ધોરણમાં ભણે છે. તમે મને ખૂબ જ યાદ આવો છો; તમારા વિના ગમતું પણ નથી. કાયમ તમારી સાથે સૂતી’તી, તમે કેવી સરસ વાર્તાઓ કહેતા હતાં..
પણ તમારા ગયાં પછી મમ્મી મને એકલી જ સૂવડાવે છે.. તમે ગયાં ત્યારે હું સમજણી નહોતી, મને ભાન નહોતું કે તમે હવે પાછાં આવવાના નથી.. બાકી મમ્મી કે પપ્પા તો કોણ જાણે તમને યાદ કરતાં જ નથી. હું વારેઘડીએ પપ્પાને ફરિયાદ કરું છું કે મારે બાને જોવા છે, મળવું છે. મને તેમને મળવા લઈ જાવ. જો કે પપ્પા ના નથી પાડતા, પણ લાવતાં પણ નથી…
આ કાગળ તો મેં ખાસ એટલા માટે લખ્યો છે, કે પેલાં બાજુવાળા જશુફોઈની નીશા સત્યાવીસ વરસની થઈ ગઈ, તોય તેનું ઠેકાણું નથી પડતું. બા, તમને તો ખબર છે ને કે જશુફોઈ તેમના સ્વભાવને કારણે એકના એક દીકરાથી જુદાં રહે છે..અને એટલે જ એમની નીશાનું ઠેકાણું પડતું નથી. જ્યાં છોકરી ગમે છે, ત્યાં છોકરાનાં માબાપ એમ કહીને ના પાડી દે છે કે, એ છોકરીમાં સંસ્કારની આશા ન રખાય. તેની મા જ દીકરા સાથે રહી ના શકતી હોય, તો તેની છોકરીમાં કેવા સંસ્કાર હોય? આમ નીશાનો વિવાહ ક્યાંય થતો નથી..
…તો બા હું મોટી થઈશ અને મારો વિવાહ કરવાનો આવશે, ત્યારે છોકરાવાળાં એવું નહીં કહે કે એની દાદીમાને તો આશ્રમમાં મૂકી આવ્યાં છે, પછી એ છોકરીમાં જ્ઞાના સંસ્કાર હોય.. ?’
‘ના..ના.. બેટા તું તો સંસ્કારનો સાગર છે. હું જાતે આવીને કહીશ કે મારી મુન્નીના મા-બાપે મને નથી કાઢી મૂકી, હું તો જાતે જ આશ્રમમાં આવી છું.” સવિતાબા બબડયા. મુન્નીએ લખેલી વાત જાણે સાચેસાચ બની ગઈ હોય તેમ તેઓ ડરી ગયા. કેટલી સમજુ થઈ ગઈ છે મારી મુન્ની..? સવિતાબાની આંખમાં ઝળઝળીયા આવી ગયા. તેની માને તો તેમની જરાયે લાગણી થતી નહોતી..
સવિતાબા મુન્નીના કાગળ વિશે વિચારતાં હતાં, કેટલી સમજુ છે આ છોકરી ? વાત તો તેની સાચી જ છે ને ? તેના વિવાહ વેળાએ છોકરાંના મા-બાપ એમ જ વિચારે ને કે આવી છોકરી આપણાં ઘરમાં આવશે તો આપણને વૃધ્ધાશ્રમનો રસ્તો બતાવશે.. એવી છોકરીને ક્યા મા-બાપ વહુ તરીકે લાવવા તૈયાર થાય?
મુન્નીના લગ્નને તો હજુ ઘણી બધી વાર છે, પણ શું મારી મુન્નીનાં પણ મને આશ્રમમાં મોકલી દીધી છે. માત્ર એ કારણસર લગ્ન નહીં થાય? ના.. ના.. વિચારતાં વિચારતાં જ સવિતાબા ધૂજી ઊઠ્યાં. આખરે મુન્ની એમનાં ખોળામાં રમીને જ ઉછરી છે ને? તો શું કરવું? પાછી ઘેર જતી રહું? મુન્નીનાં લગ્ન પતી જાય પછી જો જીવતી હોઈશ તો પાછી આવતી રહીશ… પણ દીકરો-વહુ મને રાખશે ખરાં? જો તગેડી મૂકે તો? બાવાનાં બેય બગડે, એવો ઘાટ થાય.. શું કરવું? સવિતાબાને સમજ નહોતી પડતી કે આવા સંજોગોમાં શું કરવુ? મુન્નીની માયા તેમને ઘર તરફ ખેંચતી હતી, તો દીકરા વહુનો તિરસ્કાર ઘરથી વિમુખ કરતો હતો.
પાછું મુન્નીનો કાગળ આવ્યો’તો, એવું કહેવાય નહીં, નહીં તો એની મા જ એની વલે કરી દે.. આ અસમંજસમાં સવિતાબાએ ત્રણ દિવસ તો ઉજાગરો કરીને ખેંચી કાઢયા. કદાચ જસુફોઈનો કેસ જોઈને મુન્નીના મા-બાપનાં દિલમાં પણ કદાચ રામ જાગી ઊઠે અને તેમને તેડવા આવી પણ જાય પણ ના.. એ લોકો કાંઈ એટલું લાંબુ વિચારી શકે તેટલા હોંશિયાર નહોતા, અને પોતે પીછેહઠ કરે..
સવિતાબા મનોમન મૂંઝાતા હતા કે શું કરવું? પણ તેમની રૂમવાળાં મંજુબેને જ તેમને રસ્તો બતાવ્યો કે આશ્રમ ખાલી કરીને નહીં જવાનું, મુન્નીને અને નાની ટીકુને જોવાના બહાને ચાર-પાંચ દિવસની રજા લઈને જવાનું, જો ઘરમાં ગોઠી જાય, દીકરો—વહુ રાખવા તૈયાર હોય, તો આવીને આશ્રમનો રૂમ ખાલી કરી દેવાનો. સવિતાબાને આ વાત જચી ગઈ, પણ બે દિવસ તો વિચાર કરવામાં કાઢ્યાં. પછી એ તો એક દિવસ થઈ ગયા તૈયાર. મુન્નીને બહુ ભાવતી ડેરી મિલ્ક ચોકલેટો લીધી; નાની ટીંકુડી માટે રમકડાં લીધાં. બિસ્કીટના બે પેકેટ લીધાં અને ઉપડ્યાં ઘેર. તેમને આવેલાં જોઈ મુન્નીની માએ ‘આવો’ તો કહ્યું, પણ મોં મચકોડીને.. મુન્ની તો તેમને બાઝી જ પડી અને નાની ટીંકુડી તેમના ખોળામાં બેસી બિસ્કીટ ખાવા માંડી. મુન્નીએ પણ તેમના હાથમાંથી ચોકલેટ ખેંચી લીધી અને બાના ચહેરા ઉપર હાથ ફેરવતાં ફેરવતાં બોલી, ‘બા, તમે શા માટે અહીં આવ્યા, આ લોકો તમને..’પણ તેની માને આવેલી જોઈને મુન્ની ચૂપ થઈ ગઈ.
સવિતાબા બંને દીકરીઓને ચૂમી તેમને વહાલ કરવા લાગ્યા. થોડીક જ વારમાં તે ઊભા થઈ ગયા અને દરવાજામાંથી બહાર નીકળી ગયાં. પછી તો એ ભલા અને એમનો આશ્રમ ભલો. આશ્રમ જ તેમના જીવનનો આશ્રય હતો; એ સત્યનો તેમને ખ્યાલ આવી ગયો હતો.


