- ગંગા સ્વર્ગલોકથી ઊતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયિની કહેવામાં આવે છે
મોક્ષદાયિની ગંગાનું સ્વર્ગ પરથી પૃથ્વી પર અવતરણનું પાવન પર્વ એટલે ગંગા દશહરા (દશેરા). ગંગા ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક અને કુદરતની મૂલ્યવાન સંપદા પણ છે. પતિતપાવની ગંગાનું મૂલ્ય શબ્દોમાં જેટલું આંકીએ તેટલું ઓછું છે. પૃથ્વી પર અવતરિત થઈને સૌને સુખ, સમૃદ્ધિ અને શીતળતા આપનાર ગંગા માત્ર પૃથ્વીને હરિયાળી નથી કરતી, પણ ધાર્મિક દૃષ્ટિએ પણ તેની મહત્તા અનેરી છે. ગંગાની મહત્તાનું પ્રમાણ વાલ્મીકિનાં કાવ્ય, બુદ્ધ-મહાવીરના વિહાર અને કબીરની વાણી, તુલસીની રચના વગેરેમાં જોવા મળે છે.
જીવમાત્રના કલ્યાણ હેતુ જેઠ વદ દસમના શુભ દિવસે સ્વર્ગ પરથી પૃથ્વી પર ગંગાનું અવતરણ થયું. ગંગાનું આપણી ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિક દૃષ્ટિએ અનેરું મહત્ત્વ છે. તુલસીદાસે ગંગા નદીના કિનારે જ એક કુટિર બાંધીને રામચરિત માનસની રચના કરી હતી. તુલસીદાસના ગંગાપ્રેમને લીધે જ બનારસના ગંગાઘાટને તુલસીદાસ ઘાટ કહેવામાં આવે છે. ભર્તૃહરિ, આદિ શંકરાચાર્ય, કવિ રહીમે પણ ગંગાનાં ગુણગાન ગાયાં છે. કવિ કાલિદાસે લખ્યું છે કે, `ગંગા વિના હિમાલયની કલ્પના જ ન કરી શકાય.’ રઘુવંશમમાં નદીના અલૌકિક સૌંદર્ય પર સાત ઉપમા આપી છે. બાણભટ્ટે પણ ગંગા નદીની યશગાથા ગાઈ છે.
શ્રીમદ્ ભગવદ્ પુરાણ, મહાભારત, રામાયણ વગેરે મહાન ગ્રંથોમાં પણ ગંગાનો મહિમા ગાવામાં આવ્યો છે.
ગંગા અવતરણની કથા
ગંગા અવતરણનો ઉદ્દેશ જ માનવજાતના ઉદ્વાર માટે થયો હતો. અયોધ્યાના રાજા સગરે એક વાર અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું હતું અને ઘોડાને ભ્રમણ કરવા માટે છોડી દીધો. ઘોડાની રક્ષા કરવા માટે તેમણે તેમના 60 હજાર પુત્રોને પણ સાથે મોકલ્યા ત્યારે ઈન્દ્રદેવે એક ષડ્યંત્ર રચ્યું અને તેમણે સગરના અશ્વમેધના ઘોડાને પકડાવીને કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો ત્યારે સાઠ હજાર પુત્રો અશ્વને શોધતાં શોધતાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચે છે, રાજા ઈન્દ્રએ આ 60 હજાર પુત્રોને બાળીને ભસ્મ કરી નાંખ્યા ત્યારે સગર રાજાએ તેમના પૌત્ર અંશુમાનને અશ્વની અને પુત્રોની ભાળ મેળવવા માટે મોકલ્યો. તે અશ્વની શોધમાં કપિલ મુનિના આશ્રમમાં પહોંચી ગયો અને તેણે પોતાના અશ્વમેધના ઘોડાને ત્યાં ચરતો જોયો. તેણે સગર રાજાના પુત્રો વિશે પૂછ્યું તો જાણવા મળ્યું કે તેઓ તો બળીને ભસ્મ થઈ ગયા છે. કપિલ મુનિએ કહ્યું કે પતિતપાવની મોક્ષદાયિની ગંગા જ આ 60 હજાર પુત્રોનો ઉદ્ધાર કરી શકશે.
અંશુમાને ગંગાને ધરતી પર ઉતારવા માટે આકરું તપ શરૂ કર્યું, પણ ગંગા માતા પ્રસન્ન ન થયાં. ત્યારબાદ તેમના પુત્ર દિલીપે તપ કર્યું તો પણ ગંગા માતા પ્રસન્ન ન થયાં. ત્યારબાદ દિલીપના ધર્માત્મા પુત્ર ભગીરથે ગંગા માતાને રીઝવવા માટે આકરું તપ કર્યું અને ગંગા માતા પ્રસન્ન થયાં, પરંતુ ગંગાનો પ્રવાહ એટલો વેગીલો હતો કે જો પૃથ્વી પર પ્રવાહને ઝીલનાર કોઈ ન હોય તો ગંગા પૃથ્વીનું પડ તોડીને પાતાળમાં સમાઈ જાય અને પછી તે માનવજાતની ઉદ્ધારક ન બની શકે ત્યારે ભગીરથે ભગવાન શંકરને ગંગાને પોતાની જટામાં ઝીલવા માટે તપ કરીને પ્રસન્ન કર્યા અને શંકર ભગવાને જટામાં ગંગાને ઝીલી, તેથી શિવને ગંગાધરાય કે ગંગેશ્વર પણ કહેવાય છે.
ગંગા સ્વર્ગલોકથી ઊતરી હોવાથી તેને પાપમાંથી મુક્તિ અપાવનાર અને મોક્ષદાયિની કહેવામાં આવે છે, તેથી ગંગા નદીમાં સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. તેમાં પણ ગંગા દશહરાના પર્વ પર તો ગંગાસ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ પર્વ પર લાખોની સંખ્યામાં ભાવિકો ગંગા નદીમાં ડૂબકી લગાવે છે અને મોક્ષની યાચના કરે છે.
કેવી રીતે કરશો ગંગા માતાનું પૂજન?
સ્વચ્છ, પવિત્ર કપડાં ધારણ કરીને સંકલ્પ સાથે દસ વખત ગંગામાં કે અન્ય પવિત્ર નદીમાં ડૂબકી લગાવો, પછી પિતૃતર્પણ કરો છે અને ઘી લગાવેલા કાળા, તલ નદીના જળમાં અર્પણ કરો. ત્યારબાદ માટી કે ધાતુની બનેલી ગંગા માતાની મૂર્તિનું ષોડ્શોપચારે પૂજન કરો, ત્યારબાદ સૂર્ય, શિવ, બ્રહ્મા, રાજા ભગીરથનું પણ ષોડ્શોપચારે પૂજન કરો. પૂજામાં જે પણ સામગ્રી લો તેનો આંક દસ રાખવો. આ રીતે દસ દીપક, દસ ફૂલ, દસ નૈવેદ્ય, દસ પાન, દસ બ્રાહ્મણને દાન આપો. તેમાં પણ જ્યોતિષશાસ્ત્ર મુજબ સોળ મુઠ્ઠી તલ દાનમાં આપવાથી વધારે લાભ થાય છે. તદુપરાંત લોટમાંથી કે માટીમાંથી માછલી બનાવીને તેને જળમાં પ્રવાહિત કરી દેવાનું પણ વિધાન છે. પૂજા કર્યા બાદ દીપકને પણ જળમાં પ્રવાહિત કરી દો. ધર્મગ્રંથો અનુસાર ગંગાદશેરાના દિવસે જે વ્યક્તિ વિધિવિધાન સાથે અને ભાવપૂર્વક ગંગા માતાનું પૂજન કરે છે તેમની બધી જ મનોકામના પૂર્ણ થાય છે અને મોક્ષના અધિકારી બને છે. મનુષ્યને મુક્તિ અપાવનાર ગંગા અતુલ્ય અને અણમોલ છે.