ચંપાનગરીના રાજા દધિવાહન અને કાંચનપુરના રાજા કરકંડુ વચ્ચે એક નાના અમથા કારણે ભયંકર યુદ્ધનાં મંડાણ થઈ ગયાં. આમ જુઓ તો ઝઘડાનું કારણ સાવ સામાન્ય હતું.
કરકંડુ રાજા પાસે એક બ્રાહ્મણ આવેલો. એણે પોતાના વતનમાં એક ગામ માંગેલું. એ ગામ દધિવાહન રાજાના શાસનમાં હતું. એમણે પત્ર લખીને આપેલો, પણ દધિવાહન રાજાએ એ પત્ર અમાન્ય કર્યો. ગામ આપેલું નહીં.
આટલું નાનું કારણ એમાં તો વાત વણસી ગઈ. બેય રાજાઓ લડાઈ કરવા તૈયાર થઈ ગયા. બંને પક્ષે મોટા સૈન્યનો જમાવડો કરી દીધો છે. જો આ યુદ્ધ થશે તો અસંખ્ય માણસોનો સંહાર થઈ જશે. ગમે તે ભોગે પણ આ યુદ્ધને રોકવું જોઈએ, પણ કોઈની હિંમત નથી કે આ યુદ્ધને રોકી શકે.
એક શ્વેત વસ્ત્રધારી સાધ્વીજી આવા યુદ્ધના મેદાનમાં એકલા આગળ વધી રહ્યાં છે. આ સાધ્વીજીને જોઈને કેટલાક લોકો કહે છે કે, આવા સમયે એમણે અહીં શા માટે આવવું જોઈએ? તો કેટલાક વળી એવું પણ વિચારે છે કે યુદ્ધના ભયનું નિવારણ આવાં શ્રામણ-શ્રામણીજીઓ જ કરી શકે.
પણ એ શ્રામણીજીને આવી કોઈ ચિંતા હતી નહીં. એમણે જ્યારથી આ વાત સાંભળી ત્યારથી આ ચિંતા હતી કે આ યુદ્ધ કેમ ટાળવું?
ઘણાં બધાં મનોમંથનો પછી એમણે આ નિર્ણય કર્યો છે. યુદ્ધના મેદાનમાં ગયા સિવાય હવે મારી પાસે બીજો કોઈ ઉપાય નથી રહ્યો.
પોતાના ઈષ્ટદેવનું મનમાં સ્મરણ કરતાં એ સાધ્વીજી દધિવાહન રાજાની સામે આવીને ઊભાં રહ્યાં. દધિવાહન રાજાએ સાધ્વીજીને આવકાર આપ્યો અને સેવકને બોલાવીને આજ્ઞા આપી કે આ સાધ્વીજીની જે ઈચ્છા હોય તે આપવામાં આવે.
સાધ્વીજીએ કહ્યું, `મારી અપેક્ષા સંતોષવા માટે સેવક કદાચ સક્ષમ નહીં હોય. એના માટે તો આપ જ યોગ્ય છો.’ અત્યારે યુદ્ધની તૈયારી છે એટલે આપને જે આવશ્યક હોય તે જણાવો.
અરિહંત પરમાત્મા આપણને વારંવાર કહી રહ્યા છે કે આવાં યુદ્ધ આપણાં હિત માટે હોતાં નથી અને જો આપણા અહિત માટે થતાં હોય એવાં યુદ્ધો કરવાં આપણે શા માટે પ્રયાસ કરવો જોઈએ?
આપની વાત સાચી છે, પણ અમે એટલા બધા આગળ વધી ગયા છીએ કે હવે આ યુદ્ધ અટકાવી શકાય એમ નથી.
આ યુદ્ધ અટકાવ્યા સિવાય ચાલે એમ નથી. જાણો છો આપ? એનું શું કારણ છે? સાધ્વીજીએ રાજાની સામે વેધક નજરોથી જોયું. આપ જાણો છો કે આપ કોની સાથે યુદ્ધ કરવા ચાહો છો? એમણે બીજો પ્રશ્ન કરીને સામેથી પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરી.
જે મારી સામે યુદ્ધ કરવા ચાહે એને આપવું તો પડે જ ને!
સામેવાળો નાદાન હોય એટલે આપણે પણ નાદાન બનવાનું? રાજાનો કોઈ પ્રત્યુત્તર ન આવ્યો ત્યારે સાધ્વીજીએ રાજાને પ્રશ્ન કર્યો, આપ જાણો છો આ કોણ છે?
રાજા કરકંડુ કાંચનપુર નરેશ છે, એટલું હું જાણું છું. રાજા કરકંડુનો આ સિવાય કોઈ પરિચય તમને છે? હવે દધિવાહન રાજા વિચારમાં પડ્યા. `કેમ એ કોણ છે?’ એ બીજો કોઈ નહીં પણ આપનો જ પુત્ર છે. સાધ્વીજીએ રહસ્યોદ્ઘાટન કર્યું.
હેં! શું બોલો છો? યુદ્ધ અટકાવવા માટે તમારે આવું અસત્ય બોલવાનું?
હું પંચમહાવ્રતધારી શ્રામણીજી છું. અસત્ય બોલવાની મને કોઈ જરૂર નથી, પણ આખો ઈતિહાસ સાંભળવા તો તમને સમય હોવો જોઈએ. તો આખી વાત નિવેદન કરી શકાય.
રાજા વિચારમાં પડી ગયો. આ શ્રામણીજી શું વાત કરે છે! રાજાણે સાધ્વીજીને કહ્યું, શ્રામણીજી આપ આપની વાત કરો. થોડીવાર યુદ્ધવિરામ થશે.
શ્રામણીજીએ પોતાની વાત ચાલુ કરી. આપને કદાચ યાદ હશે, આપની પદ્માવતી નામે એક પટરાણી હતી. સગર્ભાવસ્થામાં એકવાર એમને એવો મનોરથ થયેલો કે મારે હાથી ઉપર બેસીને વનવિહાર કરવો છે. એક હાથી ઉપર બેસાડીને વનવિહાર માટે આપ એને લઈને ગયા. થોડે ગયા પછી હાથી તો દોડવા જ લાગેલો. એને રોકવાનો ઘણો પ્રયાસ તમે કરેલો, પણ એ રોકાયો નહીં. ત્યારે આપે નિર્ણય કરેલો ઝાડની વડવાઈ પકડીને ઝાડ ઉપર ચડી જવું અને તમે ઝાડ ઉપર ચઢી ગયા. પદ્માવતી એમ કરી શક્યાં નહીં. હાથી ઘણો દૂર નીકળી ગયો. ભયંકર અરણ્યમાં જઈ પહોંચ્યો. આ વાત આપને યાદ આવે છેને?
હા હા, હવે મને આ બધું યાદ આવે છે, પણ પછી મારી પદ્માવતીનું શું થયું? એ મને ખબર નથી.
આપને ખબર નથી, પણ મને ખબર છે અને એ વાત કરવા માટે જ અત્યારે હું આપની પાસે આવી છું.
પદ્માવતીને લઈને હાથી અરણ્યમાં ગયો. અચાનક એક જગ્યાએ થોભ્યો. પદ્માવતી નીચે ઊતરી. આસપાસ નજર કરી તો ઝાડ સિવાય કંઈ દેખાય નહીં. એને ડર લાગ્યો હવે મારે ક્યાં જવું? આ કયો પ્રદેશ છે એ પણ કંઈ સમજાય નહીં. વિમાસણમાં બેઠી છે. આંખોમાંથી આંસુની ધારા વહે છે. અરણ્યમાં એની ભાળ લેવાવાળું કોઈ છે નહીં, શું કરવું?
એ સમયે એક શ્રામણીજીઓનું વૃંદ એના જોવામાં આવ્યું. પદ્માવતી એમની પાસે પહોંચી. સગર્ભાવસ્થાની વાત છુપાવીને પોતાની સ્થિતિનું એમની સમક્ષ નિવેદન કર્યું. વડીલ સાધ્વીજીએ પદ્માવતીની વિનંતીનો સ્વીકાર કર્યો. થોડા સમયમાં શરીરે ચાડી ખાધી. વડીલ સાધ્વીજીએ પૂછ્યું ત્યારે વાસ્તવિક વાતનો સ્વીકાર કર્યો અને કહ્યું, આ વાત એટલા માટે મારે છુપાવવી પડી કે કદાચ આવી સ્થિતિમાં આપ મારો સ્વીકાર ન કરો તો?
થોડા સમય માટે એને નિર્જન સ્થાનમાં રાખી. એક દંપતી ત્યાં આવેલું. એમણે એ બાળકનો સ્વીકાર કર્યો. પદ્માવતી ફરીને શ્રામણીજી પાસે ચાલી ગઈ. બાળક મોટું થતું ગયું. નાનપણથી એને શરીરે ચળ આવતી. આખો દિવસ એ શરીર ખંજવાળ્યા કરતો એથી એનું નામ કરકંડુ પડેલું. એક દિવસ મિત્રો સાથે રમતો હતો. એ સમયે કોઈ બે જ્ઞાની સાધુ ભગવંતો પસાર થતા હતા. એમાંથી એક મહાત્માએ બીજાને કહ્યું, આ છોડને દૂર રહીને જે ગ્રહણ કરશે એ થોડા જ સમયમાં રાજા બનશે.
મિત્રો સાથે રમતા કરકંડુએ આ વાત સાંભળી. એ છોડની પાસે ગયો. એક છોકરાઓ એ છોડને ઉખાડી દીધો. કરકંડુએ એ છોડ યુક્તિપૂર્વક લઈ લીધો. કરકંડુ ત્યાંથી રવાના થઈ ગયો. ચાલતાં ચાલતાં એ કાંચનપુર પહોંચ્યો.
કાંચનપુર નરેશ એ જ દિવસે પરલોકવાસી બનેલા. કોને રાજા બનાવવો? આ પ્રશ્ન આવ્યો. મંત્રીમંડળે નિર્ણય કરેલો. પંચ દીવ્ય કરવામાં આવે અને કુલદેવતા તથા ક્ષેત્રદેવતા જેના ઉપર કળશ ઢોળે એ હાથીની સૂંઢમાં કળશ પકડાવીને એને ચાલતો કરે તો સ્વેચ્છાએ એને જે દિશામાં જવું હોય એ દિશામાં જ જવા દેવાનો. નગરજનો એમની પાછળ ચાલે. એમ કરતાં હાથી કરકંડુ જ્યાં સૂતો હતો ત્યાં આવીને એના ઉપર કળશથી અભિષેક કર્યો ને એ રાજા થયો.
આ બધી આપને કેવી રીતે ખબર પડી? રાજાએ ખાત્રી કરવા પૂછ્યું.
આ બધી મને એટલા માટે ખબર પડી કે જે પદ્માવતી હતીને એ હું જ છું અને આ આપનો જ પુત્ર છે. આપ હવે મારી વાતનો સ્વીકાર કરો.
હું આપની વાતનો સ્વીકાર કરું, પણ એ સ્વીકાર કરશે? એને પણ હું જ સમજાવીશ. સાધ્વીજી એ જ રીતે કરકંડુ પાસે પહોંચ્યાં. એની પાસે જઈને પણ એનો ઈતિહાસ બતાવ્યો. તું કોની સાથે યુદ્ધના મેદાનમાં ઊતર્યો છે? ચાંડાલ પુત્ર છે કે ક્ષત્રિય પુત્ર એની તને ખબર છે? અને આખો ઈતિહાસ એને પણ સમજાવ્યો. એ પોતાના પિતાને મળવા હવે અધીરો બન્યો છે.
સામેની છાવણીમાં દધિવાહન રાજા પણ એની નજર નોંધી રાખેલી છે કે કરકંડુ શું કરી રહ્યો છે? એને પોતાના તરફ આવતો જોયો એ જ સમયે એ પણ એની સામે ચાલ્યો. જે યુદ્ધના મેદાનમાં રામશેરો તણખા વેરવાની હતી અને જે મેદાન રક્તથી ભીનું થવાનું હતું એ જ મેદાન પિતા-પુત્રના મિલનથી પાવન બન્યું અને ઉભયના હર્ષાશ્રુથી એ ભૂમિ ભીની બની. સૈનિકો સ્તબ્ધ બની ગયા. આ કેવું યુદ્ધ છે જ્યાં વિના શસ્ત્રોએ યુદ્ધ લડાયું અને એમાં ઉભયપક્ષનો વિજય થયો. જો આવાં યુદ્ધો થાય તો સાચા અર્થમાં જગતનો ઉદ્ધાર થઈ જાય.
દધિવાહને પોતાનું રાજ્ય પુત્રને સોંપીને એમણે સંયમ જીવનનો સ્વીકાર કર્યો. કરકંડુ રાજ્યનું સારી રીતે પાલન કરે છે. એક દિવસની ઘટના છે. એમની ગૌશાળામાં નવા જન્મેલા એક વાછરડાને એમણે જોયું. સરસ મજાની મસૃણ કાયા, દૂધ જેવું સફેદ શરીર. રાજા કરકંડુએ એના શરીર ઉપર હાથ ફેરવીને સેવકોને આજ્ઞા કરી આને સારી રીતે સાચવજો.
કાયા હૃષ્ટપુષ્ટ. એણે રાજ્યનાં કાર્યો પણ ઘણાં કરેલાં છે. એ જ્યારે વૃદ્ધ થયો ત્યારે આસપાસના બળદો એને શિંગડાં મારવા લાગેલા, પણ એ કંઈ કરી શકતો ન હતો. એ જોઈને કરકંડુ રાજાને વૈરાગ્ય જાગે છે. એક સમયની રૂપાળી- હૃષ્ટપુષ્ટ કાયા પણ જ્યારે સમય બદલાય છે ત્યારે એ કદરૂપી બને છે અને સાવ નિસ્તેજ પણ થાય છે. શું મારી પણ આજ દશા થવાની? આવા વિચાર સાથે એમને વૈરાગ્ય જાગે છે. એ જ સમયે એ સાધુ બની જાય છે અને પોતાના જીવનને ધન્ય બનાવે છે. અંતે મોક્ષમાં જાય છે.
આપણે પણ આપણી કાયાના મમત્વનો ત્યાગ કરીને આત્મકલ્યાણ કરીએ એ જ આશા.