ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
સમસ્ત જૈન સમાજ દ્વારા જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન
બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો એમ તમામને આવરી લેતા અનેકવિધ કાર્યક્રમો વિશાળ ધર્મયાત્રા – સ્વામી વાત્સલ્ય – વેશભુષા, રંગોળી અને ચિત્ર સ્પર્ધા તથા પ્રભુજીનું પારણું, ફલોટ સુશોભન – લક્કી ડ્રો યોજાશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી 31 માર્ચ -2026 નાં રોજ જૈનમ સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ દિવસે ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાં આ ઉજવણીમાં જોડાવવાની છે ત્યારે જન્મ કલ્યાણકનાં દિવસે આયોજીત ધર્મયાત્રામાં આ વખતે ધર્મયાત્રાનાં અધ્યક્ષ તરીકે જૈન શ્રેષ્ઠીવર્ય જીતુભાઈ બેનાણી સ્થાન શોભાવશે. વિવિધ પ્રકારનાં સંદેશાઓ પાઠવતા ફલોટસ આ વખતે નિહાળવા મળશે, આ ઉપરાંત ધર્મયાત્રામાં પ્રભુજીનો શુઘ્ધ ચાંદીનો રથ, બાઇક સાથે યુવક-યુવતિઓ, કળશધારી બહેનો, સુશોભીત કાર, ધર્મ ધ્વજ સાથે વિવિધ શ્રીસંઘનાં હોદેદારો, રાસ મંડળી, બેન્ડ સહિતનાં આકર્ષણો જોવા મળશે.
આ સમગ્ર આયોજનમાં જૈનમ પરિવારને વિશેષ અનુમોદના મળી રહી છે જેમાં મુખ્યત્વે જીતુભાઈ બેનાણી (અમીધારા ડેવલોપર્સ), રાજકોટ જૈન તપગચ્છ સંધ – દાદા વાડી દેરાસર, એક ગુરુભકત પરિવાર, એક સુશ્રાવક પરિવાર, હિતેશભાઈ દોશી, હરેશભાઈ વોરા, જીતુભાઈ દેસાઈ, હિતેશભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ શેઠ, એચ.જે. ઈન્ડસ્ટ્રીઝ, પ્રદિપભાઈ વોરા, મધુબેન પ્રમોદભાઈ દેસાઈ, મનસુખલાલ જીવરાજભાઈ શાહ ભાડલાવાળા ટ્રસ્ટ વિગેરેનો મુખ્ય સહયોગ પ્રાપ્ત થયો છે.
જન્મ કલ્યાણકનાં દિવસે જૈન સમાજનાં બાળકો, યુવાનો, મહિલાઓ, વડીલો એમ તમામ ઉંમરનાં શ્રાવકોની સાથે અનેક એવા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. જેમાં જૈનેતરો પણ ભાગ લઈ શકે. ભગવાન મહાવીર સ્વામીનાં કલ્યાણકની ઉજવણી માત્ર એક દિવસ પુરતી જ સિમીત ન રહેતા ઉત્સાહનો માહોલ અને ભકિતમય વાતાવરણ બને તેવા શુભ હેતુથી ઉજવણીની પહેલા પણ અનેકવિધ કાર્યક્રમોની હારમાળ સર્જવામાં આવી છે.
બાળકોની પદયાત્રા આગામી તા.29-3-2026 ને રવિવારનાં રોજ સવારે 9.00 કલાકે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક)થી પ્રસ્થાન થશે જે ત્યાંથી એલ.આઈ.સી. બિલ્ડીંગ, મહીલા કોલેજ અન્ડર બ્રિજ, કાલાવડ રોડ, ઈન્દુબાઇ મહાસતીજી ચોક થઈ નાલંદા તીર્થધામ ખાતે પૂર્ણ થશે. સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા ફલેગ ઓફ કરાવી આ બાળકોની પદયાત્રાનો પ્રારંભ કરાવશે. પદયાત્રાનાં રૂટમાં અનેક જગ્યાએ જૈન સમાજનાં અગ્રણીઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે તેમના વધામણાં કરવામાં આવશે.
શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે બપોરે 4 થી 7 દરમ્યાન જૈન અને જૈનેતરો તમામ માટે એક ઓપન રાજકોટ રંગોળી સ્પધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન મહાવીરનાં જીવન પ્રસંગોને સ્પર્ધકો દ્વારા ચિત્ર સ્વરૂપે કંડારવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ મોટી સંખ્યામાં રજીસ્ટે્રશન થઈ રહયા છે, અને અનેક કલાકારો પોતાની કળાને રવિવારે લોકો સમક્ષ પ્રસ્તુત કરશે. આ સ્પર્ધામાં વિજેતા થનારને રોકડ પુરસ્કાર, સન્માન પત્ર આપવામાં આવશે. વિજેતા સ્પર્ધકોને મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનાં દિવસે ઈનામોથી નવાજવામાં આવશે. સાંજે 5.00 કલાકે શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ખાતે તમામ સમાજનાં બાળકો માટે વિવિધ ઉંમર પ્રમાણેની કેટેગરીમાં ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ આ સ્પર્ધાને ખૂબ બહોળો પ્રતિસાદ મળ્યો હતો. બપોરના તડકામાં પણ ખૂબ મોટી સંખ્યામાં બાળકો ઉમટી પડયા હતા. આ વખતે રવિવારની રજાનાં દિવસે આ સ્પર્ધા યોજાતી હોય ખૂબ જ મોટી સંખ્યામાં ભૂલકાઓ ચિત્ર સ્પર્ધામાં પોતાના ચિત્ર થકી ભગવાન મહાવીરનાં વિવિધ જીવન પ્રસંગો અને પાત્રોને ચિત્રનાં સ્વરૂપમાં કાગળ ઉપર ઉતારશે.
રવિવારે આયોજીત ચિત્ર તથા રંગોળી સ્પર્ધામાં બનેલી કૃતિઓને તમામ લોકો નિહાળી શકે તથા ભગવાનનાં વિવિધ રૂપોનાં દર્શનનો લાભ લઈ શકે તે માટે સ્પધર્કો દ્વારા બનાવેલ રંગોળી તથા ચિત્રોને એક પ્રદર્શનીનાં સ્વરૂપમાં ગોઠવવામાં આવશે. તા.29, 30 અને 31 એમ ત્રણ દિવસ શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્ષ, રાજકોટ ખાતે સવારે 8.00 થી રાત્રે 10.00 આ ચિત્રો અને રંગોળી નિહાળવાનો લાભ તમામ લોકો લઈ શકશે.
તા.30-3-2026 ને સોમવાર રોજ જૈન સમાજનાં બહેનો દ્વારા સમાજમાં ભગવાન મહાવીરનાં જન્મ કલ્યાણકની ઉજવણી માટે જાગૃતી અને ઉત્સાહનો સંચાર થાય તે માટે સમાજની બહેનો અને દિકરીઓ દ્વારા સાંજે 5.00 કલાકે મહાવીર સ્વામી ચોક (એસ્ટ્રોન ચોક)થી સરદારનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, માલવીયા ચોક, ત્રિકોણબાગ થઈ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર-શાસ્ત્રી મેદાન સુધી એક સ્કુટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમવાર થનારા આ આયોજન ને લઈને સમાજનાં બહેનો અને દિકરીઓમાં ખૂબ ઉત્સાહ પ્રર્વતિ રહયો છે.
તા.31 માર્ચનાં ને મંગળવારનાં રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનાં દિવસે સવારે બાળકોની પ્રિય એવી વેશભુષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં જૈન સમાજનાં બાળકો ભગવાન મહાવીર તથા તેમના જીવન પ્રસંગ સાથે જોડાયેલા વિવિધ પાત્રો બનીને આ સ્પર્ધામાં જોડાશે. રંગબેરંગી વસ્ત્રો, વિવિધ અસ્ત્રો-શસ્ત્રો અને અલગ અલગ વેશભુષામાં બાળકો સમગ્ર વાતાવરણને મહાવીરમય બનાવશે. આ સ્પર્ધામાં જોડાયેલા પાત્રોને નિહાળવા એક લ્હાવો છે. ભુપેન્દ્ર રોડ ખાતે દર વર્ષે યોજાતા સ્થળ એવા ફેડરલ બેંક, રાજશ્રી સિનેમા સામે પ્રભુજીનું પારણું યોજવાનું છે અને જેના દર્શનનો અને પારણું ઝુલાવવાનો લાભ લેવા સમાજનાં તમામ લોકોને અનુરોધ છે.
તા.31 માર્ચનાં ને મંગળવારનાં રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકનાં દિવસે ચૌધરી હાઈસ્કુલ સામે આવેલ શ્રી મણીયાર દેરાસર ખાતે પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોનાં વિશેષ આશિર્વચન અને જૈન સમાજનાં આગેવાનો, સમાજ શ્રેષ્ઠીઓ, સંઘપતીઓની ઉપસ્થિતીમાં રાજકોટનો સમગ્ર જૈન સમાજ પોતાની એકતાને ઉજાગર કરતી મહામેદની સાથે એક ભવ્ય ધર્મયાત્રાનું પ્રસ્થાન થશે. આ ધર્મયાત્રામાં ભગવાન મહાવીર શુઘ્ધ ચાંદીનાં રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નિકળશે. જેમના દર્શનનો લાભ સમગ્ર રૂટમાં લાખોની સંખ્યામાં ઉપસ્થિત પ્રજાજનો લેશે. આ ચાંદીનાં રથને પૂજાની જોડમાં સજ્જ આવા ભયંકર તડકામાં ઉઘાડા પગે ચાલીને ભગવાનનાં નંદી બનીને યુવાનો રથને ખેંચશે. સમગ્ર રૂટમાં ઠેર ઠેર સમાજનાં વિવિધ જ્ઞાતિનાં એટલે કે અઢારેય આલમનાં પ્રતિનીધીઓ ભગવાન મહાવીરનાં અક્ષતથી વધામણાં કરશે પ્રભુજીનાં રથની આગળ લાલ બાંધણીની સાડીની વેશભુષામાં સજ્જ કળશધારી બહેનો ભગવાનનાં સામૈયા કરશે. અનેકવિધ સંદેશાઓ અને જીવંત પાત્રો સાથેનાં ઉપદેશ આપતા ફલોટ જેની સંખ્યા 24 તીર્થંકરો પ્રમાણે 24 ફલોટ રહેવાની છે તેવા દર્શનિય ફલોટ આ ધર્મયાત્રામાં જોડાશે. ધર્મયાત્રાનાં પ્રારંભે ધર્મધ્વજ સાથે યુવાનો અને ત્યારબાદ બાઇકમાં સાફામાં સજ્જ યુવાનો આ યાત્રામાં જોડાશે. નવકારનાં નવ પદ ઉપર થી પ્રેરીત નવ સ્ટેજ જે સમગ્ર યાત્રાનાં રૂટનાં અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવેલ છે ત્યાં યાત્રા પહોંચે ત્યારે બાળકો દ્વારા આ યાત્રાનું અદકેરું સ્વાગત કરવામાં આવશે. આ યાત્રામાં શ્રાવકો દ્વારા ઠેર ઠેર વિવિધ ભકિતનાં સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજ સમાચાર કોર્પોરેટ હાઉસ ખાતે સાંજ સમાચાર પરિવાર, સરકીટ હાઉસ ગેઈટ ખાતે શ્રી મદ્ર રાજચંદ્ર પરિવાર, મોટી ટાંકી ચોક ખાતે નેમીનાથ વિતરાગ યુવક મંડળ, એવરસાઈન હોટલ સામે શ્રી સદર સ્થા. જૈન સંધ, લીમડા ચોક ખાતે પંચનાથ મંદિર ટ્રસ્ટ, ત્રિકોણ બાગ ખાતે સુખડીયા કંદોઈ સમાજ, બાપુનાં બાવલા પાસે જેએસજી રાજકોટ એલીટ, શિરોમણી કોમ્પલેક્ષ પાસે પ્રશાંતભાઈ તથા ભાવિકભાઈ, રાજેશ્રીસિનેમા પાસે શ્રી સ્થાનકવાસી પ્રતિક્રમણ મંડળ, સ્વામી નારાયણ મંદિર સામે શ્રી માણીભદ્ર વિર આસ્થા મંડળ વિગેરે દ્વારા સરબત જીરા સોડા, શેરડીનાં રસ જેવી ભકિતનો આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા વિરાણી પૌષધશાળા ખાતે સમાપન થશે.
ધર્મયાત્રા પૂર્ણ થયે વિરાણી પૌષધશાળા જૈન મોટા સંઘ ખાતે ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ ધર્મસભામાં અનેકવિધ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત જૈન સમાજને આશિર્વચન પાઠવશે. તથા ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિતે પ્રેરીત સંબોધન પાઠવશે. આ તકે જૈન સમાજનાં આગેવાનો દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવશે. આ ધર્મસભામાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વેશભુષા સ્પર્ધા, ફલોટ સુશોભન સ્પર્ધાનાં વિજેતાના નામ જાહેર કરી તેમને ઈનામોથી પ્રોત્સાહીત કરવામાં આવશે. આ ઉપરાંત લક્કી ડ્રો ભાગ્યશાળી વિજેતાઓને પણ પ્રભાવના કરવામાં આવશે. ધર્મસભા પૂર્ણ થયે શ્રી સરદારનગર યુવક મંડળનાં યુવાનો સુંદર વ્યવસ્થા થકી દરેકને પ્રભાવનાનો લાભ આપશે.
ગત વર્ષની માફક આ વર્ષે આખો સમાજ ધર્મસભા બાદ જયણા વિધી પૂર્વક બનાવેલ ગૌતમ પ્રસાદનો લ્હાવો લેજે. આ ગૌતમ પ્રસાદમાં દાતા તરીકે શ્રી રૂષભભાઈ ચંદ્રકાંતભાઈ શેઠ, માતુશ્રી કાંતાબેન રમણીકલાલ દેસાઈ, માતુશ્રી ચંદ્રાબેન નટવરલાલ શાહ, માતુશ્રી તારામતીબેન ઈશ્વરભાઈ દોશી, માતુશ્રી લીલમબેન નગીનદાસ ગોડા, માતુશ્રી રસિલાબેન ચિમનલાલ માટલીયા, માતુશ્રી ગુલાબબેન અનિલભાઈ મહેતા તથા શ્રીમતિ વિભાબેન હિતેશભાઈ મહેતા, માતુશ્રી ચંપાબેન દલીચંદભાઈ શેઠ, માતુશ્રી હિરાલક્ષ્મીબેન જે. કોઠારી, માતુશ્રી વસંતપ્રભાબેન હસમુખભાઈ વસા, માતુશ્રી સગુણાબેન દિલીપભાઈ ઉદાણી, શ્રીમતિ સુધાબેન જયેશભાઈ શાહ, માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ, માતુશ્રી લીલાવંતીબેન વસંતરાય શાહ, માતુશ્રી ભાવનાબેન નવિનચંદ્ર અજમેરા, માતુશ્રી દમયંતિબેન ભોગીલાલ દોશી, માતુશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ, માતુશ્રી મધુબેન જીતેન્દ્રભાઈ દોશી, શ્રીમતિ જ્યોતિબેન પ્રદીપભાઈ શાહ, માતુશ્રી દક્ષાબેન ભોગીલાલ બખાઈ, સ્વ.નવિનચંદ્ર લીલાધર મહેતા, શ્રીમતી મીનાબેન પ્રવિણભાઈ કોઠારી, શ્રી ભાવનાબેન હસમુખભાઈ શાહ, શ્રીમતી સાધનાબેન જીતેન્દ્રભાઈ મારવાડી તથા સંઘવી શકુંતલાબેન મોહનલાલજી ખીવસરા, દોશી ઈલેકટ્રીક ડેકોરેશન, માતુશ્રી કલાવંતીબેન ભુપતલાલ માઉં, શ્રી ખારા પરિવાર, માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર, શ્રી ઈન્દુભાઈ ભીમજીભાઈ બદાણી, માતુશ્રી શારદાબેન રતિલાલ દોશી, શ્રી દિપકભાઈ મહેતા – રીકોન કવાર્ટઝ વિગેરેએ લાભ લીધેલ છે. તેમ ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા જૈનમ પરિવારનાં શૈલેષભાઈ માઉં, કૌશીકભાઈ કોઠારી, હીતેશભાઈ મણીઆર, ચિરાગભાઈ સંઘવી, પારસભાઈ વખારીયા, ધર્મેશભાઈ બખાઈ તથા પારસભાઈ શેઠ, હિતેશભાઇ મહેતાએ જણાવ્યું છે.


