- શહેરમાં કટલરીની દુકાન ચલાવતો પતિ બનાવ બાદથી જ ગાયબ થતા ચકચાર
- આંગળિયાત પુત્રને લઈને આવેલી પત્ની સાથે પતિને અવારનવાર ઝઘડા થતા હતા
- માતા-પુત્રની લાશને પીએમ માટે મોકલી, પોલીસે ગાયબ પતિની શોધખોળ આદરી
લીંબડીની ભીમનાથ સોસાયટીમાં રહેતા વેપારી શાક માર્કેટ પાસે કટલેરીની દુકાન ચલાવે છે. તેમને પ્રથમ પત્ની સાથે છુટાછેડા થતા સુરતની મહિલા સાથે બીજા લગ્ન કર્યા હતા. જેઓ આંગળિયાત પુત્ર સાથે લાવ્યા હતા. ત્યારે મંગળવારના રોજ સવારના સમયે ઘરના ઉપરના માળે રૂમમાં માતા-પુત્રની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને બંનેની લાશને પીએમ માટે મોકલી આપી હતી. બનાવ બાદથી જ વેપારી લાપત્તા છે. ત્યારે હાલ પોલીસ તેને શોધી રહી છે. બીજી તરફ આ કેસમાં ડબલ મર્ડરની આશંકા સેવાઈ રહી છે.
ચકચારી બનાવ અંગેની વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ લીંબડીના ભલગામડા ગેટ પાસે ભીમનાથ સોસાયટી આવેલી છે. જેમાં રહેતા ચીરાગ જગદીશભાઈ લાદોલા પટેલના લગ્ન અગાઉ પરપ્રાંતીય યુવતી સાથે થયા હતા. લગ્નબાદ બન્નેને મનમેળ ન આવતા 6 માસમાં જ છુટાછેડા થયા હતા. બાદમાં ચીરાગના લગ્ન સુરતના સોનલબેન બારોટ સાથે થયા હતા. જેઓ તેમની સાથે આંગળીયાત પુત્ર કિશનને સાથે લઈને આવ્યા હતા. લગ્ન બાદ ચીરાગ અને સોનલબેનને સંતાનમાં ઋચીત નામના પુત્રનો જન્મ થયો હતો. સુખેથી ચાલતા સંસારમાં છેલ્લા થોડા વર્ષોથી ખટરાગ ઉભો થયો હતો. અને પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતી હતી. ઘરના ઉપરના માળે ચીરાગ તેમના પત્ની સોનલબેન અને બાળકો સાથે રહેતા હતા. જયારે તેમના માતા-પિતા નીચે રહેતા હતા. મંગળવારે સવારના સમયે સોનલબેન અને આંગળીયાત પુત્ર કીશનની લાશ ઘરના રૂમમાંથી મળી આવી હતી. બનાવની જાણ થતા પીઆઈ એચ.જી.પુવારની સુચનાથી પીએસઆઈ એન.જી.મહેશ્વરી,મીતુલભાઈ પટેલ, નવઘણભાઈ દોમડા, ચંદુભાઈ બાવળીયા, સુરેશભાઈ પટેલ સહિતનાઓ દોડી ગયા હતા અને તપાસ આદરી હતી. બનાવ બાદથી જ પતિ ચીરાગ લાપત્તા હોવાની જાણ થતા પોલીસની એક ટીમ તેમની શોધમાં લાગી ગઈ હતી. બીજી તરફ મૃતક સોનલબેન અને કીશનની લાશને પીએમ માટે લીંબડી સરકારી દવાખાને લઈ જવાઈ હતી. જયાં મૃતકના પીયરપક્ષના પણ દોડી આવ્યા હતા. આ અંગેની જાણ થતા જિલ્લા પોલીસ વડા ડો. ગીરીશ પંડયા પણ લીંબડી દોડી ગયા હતા. અને મૃતકના ઘરે તથા હોસ્પિટલે જઈ જાત તપાસ કરી હતી. હાલ પોલીસ આ કેસમાં ફરાર પતીને શોધી રહી છે. જેના મળી આવ્યા બાદ જ દુધનું દુધ અને પાણીનું પાણી થશે. પરંતુ લીંબડી પંથકમાં હાલ આ ડબલ મર્ડર હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.
1) મૃતક સોનલબેન અને કિશન સાથે ચિરાગ પટેલ.
2) ભીમનાથ સોસાયટીમાં આવેલ મૃતકનું ઘર.
3) લીંબડી હોસ્પિટલમા રહેલ માતા-પુત્રની લાશ.
છ માસ પહેલાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા ચિરાગ હરિદ્વાર જતો રહ્યો હતો
મૃતક સોનલબેન અને તેમના પતિ ચીરાગ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. છ માસ પહેલા પણ બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચિરાગ ઘરેથી નાસી જઈને હરિદ્વાર જતો રહ્યો હતો. ત્યારબાદ પરિવાર તેમની શોધખોળ કરતો હતો. બે માસ પછી લીંબડી શહેરના અમુક વ્યક્તિઓ હરિદ્વાર દર્શને જતા ચિરાગ મળી આવ્યો હતો અને પરિવારજને તે અંગેની જાણ થતા ચિરાગને પરત લઈ આવ્યા હતા.
ગળું દાબીને કે ગૂંગળાવીને માતા-પુત્રનું મોત નિપજાવ્યાની આશંકા
બનાવના સ્થળે કોઈ હથિયાર કે મૃતકના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા નથી. આ ઉપરાંત રૂમમાં કોઈ લોહીના ડાઘ પણ નથી. આથી બન્નેનું ગળુ દબાવીને કે ગુંગળાવીને મોતને ઘાટ ઉતારાયા હોવાની પણ આશંકા સેવાઈ રહી છે.
પરિવારજનોનો લાશ સ્વીકારવાનો નનૈયો
બનાવની જાણ થતા જ મૃતક સોનલબેનના પીયરપક્ષના લોકો લીંબડી દોડી આવ્યા હતા. લીંબડી હોસ્પિટલ ખાતે માતા-પુત્રની લાશને પીએમ માટે લઈ જવાઈ હતી. જયાં પરિવારજનોએ જમાઈ ચીરાગ પટેલ પર હત્યાનો આક્ષેપ કરીને હાલ લાશને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે અને જિલ્લા પોલીસ વડા સહિતનાઓ તેમને સમજાવી રહ્યા હતા.


