લોકો બે રીતે દુઃખી થઈ શકે છે. સામાન્ય રીતે લોકો શારીરિક દુઃખ અને માનસિક દુઃખ એ રીતે વિચારે છે. શારીરિક દુઃખ અલગ અલગ કારણોથી થઈ શકે છે, પણ માણસોનું 90% દુઃખ માનસિક છે, જેનું કારણ આપણી અંદર છે. લોકો રોજ પોતાના માટે દુઃખ બનાવે છે – ગુસ્સો, ડર, નફરત, ઈર્ષ્યા, અસુરક્ષા અને બીજી ઘણી વસ્તુઓનું દુઃખ. આ જ દુનિયામાં સૌથી વધારે દુઃખ છે.
દુઃખનું કારણ
માણસો કેમ દુઃખી છે? ચાલો આપણે દુઃખના કારણને સમજીએ. આજે સવારે શું તમે જોયું કે સૂર્ય કેટલી સુંદર રીતે ઊગ્યો? ફૂલો ખીલ્યાં, તારામંડળો બહુ સરસ રીતે કામ કરી રહ્યાં છે. બધું વ્યવસ્થિત છે. આખું બ્રહ્માંડ આજે બહુ સરસ રીતે ચાલી રહ્યું છે, પણ તમારા મગજમાં ફરતો એક નાનકડો વિચારનો કીડો જોઈને તમને લાગે છે કે આજનો દિવસ ખરાબ છે. દુઃખ મૂળભૂત રીતે એટલા માટે થઈ રહ્યું છે, કેમ કે મોટાભાગના માણસોએ આ જીવન શું છે તેનો દૃષ્ટિકોણ ગુમાવી દીધો છે. તેમની માનસિક પ્રક્રિયા અસ્તિત્વની પ્રક્રિયા કરતાં ઘણી મોટી થઈ ગઈ છે અથવા સીધી રીતે કહીએ, તો તમે તમારી નાનકડી રચનાને સર્જનહારની રચના કરતાં ઘણી વધારે મહત્ત્વની બનાવી દીધી છે. આ જ બધાં દુઃખનું મૂળ કારણ છે. આપણે અહીં જીવિત હોવાનો મતલબ શું છે તેની પૂરેપૂરી સમજ ગુમાવી દીધી છે. તમારા મગજમાં ચાલતો એક વિચાર કે તમારી અંદરની એક લાગણી અત્યારે તમારા અનુભવની પ્રકૃતિ નક્કી કરે છે. આખી સૃષ્ટિ બહુ સરસ રીતે ચાલી રહી છે, પણ બસ એક વિચાર કે લાગણી બધું બગાડી શકે છે અને તમારા વિચાર અને લાગણીને કદાચ તમારા જીવનની સીમિત વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા ન હોય એવું પણ બને. તમે જેને `મારું મન’ કહો છો તે વાસ્તવમાં તમારું નથી. તમારી પાસે તમારું પોતાનું મન નથી. પ્લીઝ આને ધ્યાનથી જુઓ. તમે જેને `મારું મન’ કહો છો તે બસ સમાજની કચરાપેટી છે. તમારી પાસેથી પસાર થતો દરેક વ્યક્તિ તમારા મગજમાં કંઈક નાખે છે. કોની પાસેથી લેવું અને કોની પાસેથી ન લેવું તેની તમારી પાસે ખરેખર કોઈ પસંદગી નથી. જો તમે કહો કે, `મને આ વ્યક્તિ નથી ગમતી’, તો તમે તે વ્યક્તિ પાસેથી બીજા કોઈ કરતાં વધારે લેશો. જો તમે જાણો કે તેને કેવી રીતે સંભાળવું અને વાપરવું, તો આ કચરો ઉપયોગી છે.
માનસિકથી અસ્તિત્વગત તરફ
જ્યારે આપણે આધ્યાત્મિક પ્રક્રિયાની વાત કરીએ છીએ, ત્યારે આપણે માનસિકથી અસ્તિત્વગત તરફ જવાની વાત કરીએ છીએ. જીવન એ અહીં જે સૃષ્ટિ છે તેના વિશે છે. તેને સંપૂર્ણ રીતે જાણવા અને તે જેમ છે તેવી રીતે અનુભવવા વિશે છે. તમે જેમ ઈચ્છો તેમ તેને વિકૃત કરવા વિશે નહિ. જો તમે અસ્તિત્વની વાસ્તવિકતામાં જવા માંગો છો, તો ખૂબ સરળ શબ્દોમાં કહીએ, તો તમારે બસ એ જોવું પડશે કે તમે જે વિચારો છો તે મહત્ત્વનું નથી, તમે જે લાગણી અનુભવો છો તે મહત્ત્વની નથી. તમે જે વિચારો છો તેને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી. જીવન સાથે તેની કોઈ મોટી સુસંગતતા નથી. તે બસ જે તમે બીજે ક્યાંકથી એકત્ર કર્યું છે તેને લઈને થઈ રહેલી બકબક છે. જો તમને લાગે કે તે મહત્ત્વનું છે, તો તમે ક્યારેય તેનાથી આગળ નહિ જુઓ. તમે જેને મહત્ત્વનું માનો છો તેની દિશામાં તમારું ધ્યાન કુદરતી રીતે વહે છે. જો તમારા વિચાર અને લાગણી મહત્ત્વના છે, તો કુદરતી રીતે તમારું આખું ધ્યાન ત્યાં જ હશે, પણ તે એક માનસિક વાસ્તવિકતા છે. તેને અસ્તિત્વગત વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.
દુઃખ આપણા પર વરસાવવામાં નથી આવતું, તે બનાવવામાં આવે છે અને બનાવવાનું કારખાનું તમારા મનમાં છે. તે કારખાનું બંધ કરવાનો સમય આવી ગયો છે.


