પૌરાણિક કથાઓ અનુસાર કૂર્મ અવતારમાં ભગવાનના કાચબારૂપી અવતારનાં દર્શન થાય છે. કૂર્મ અવતારનો સંબંધ સમુદ્રમંથનના પ્રયોજન સાથે જોડાયેલો છે. ધર્મગ્રંથોમાં વર્ણિત કથાઓ અનુસાર દૈત્યરાજ બલિના શાસનમાં અસુર-દૈત્યો ખૂબ જ શક્તિશાળી બની ગયા હતા અને તેમને દૈત્યગુરુ શુક્રાચાર્યની મહાશક્તિ પણ મળેલી હતી.
દેવતા તેમનું કંઈ જ અહિત કરી શકતા નહોતા, કારણ કે એકવાર પોતાના ઘમંડમાં ચૂર દેવરાજ ઈન્દ્રને કોઈ કારણસર નારાજ થઈને મહર્ષિ દુર્વાસાએ શાપ આપીને શ્રીહીન કરી દીધા હતા. જેના કારણે ઈન્દ્ર શક્તિહીન થઈ ગયા હતા. આ જ અવસરનો લાભ લઈને દૈત્યરાજ બલિએ ત્રણ લોકો પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી લીધું અને ઈન્દ્ર સહિત દેવતાગણ ભટકવા લાગ્યા.
દેવતાઓ બ્રહ્માજી પાસે જઈને પ્રાર્થના કરે છે કે તેઓ તેમને આ સંકટમાંથી બહાર કાઢે ત્યારે બ્રહ્માજી સંકટમાંથી મુક્તિ માટે દેવતાઓ સહિત ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને પોતાની વિપદા સંભળાવી. દેવગણોની વિપદા સાંભળીને ભગવાન વિષ્ણુ તેમને દૈત્યો સાથે મળીને સમુદ્રમંથન કરવાની સલાહ આપે છે, જેથી ક્ષીર સાગરનું મંથન કરીને દેવતાઓ તેમાંથી નીકળનારા અમૃતનું પાન કરી શકે અને અમૃત પીને તેઓ અમર બની જાય. તેનાથી તેમનામાં દૈત્યોનો સામનો કરવાનું સામર્થ્ય આવશે.
ભગવાન વિષ્ણુના આદેશ અનુસાર ઈન્દ્ર દૈત્યો સાથે મળીને સમુદ્રમંથન કરવા માટે તૈયાર થઈ ગયા. સમુદ્રમંથન કરવા માટે મંદરાચલ પર્વતને મથાની તથા નાગરાજ વાસુકિને દોરડું બનાવ્યા. મંદરાચલને ઉખાડીને સમુદ્રમાં નાખવામાં આવ્યો તો તે ડૂબવા લાગ્યો. ત્યારે ભગવાન વિષ્ણુ કૂર્મ અવતાર એટલે કે કચ્છપ અવતાર લઈને સમુદ્રમાં આવીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ઉઠાવી લે છે. સમસ્ત લોકપાલ દિકપાલ તેમની કૂર્મ આકૃતિમાં સ્થિત થઈ જાય છે અને ભગવાન કૂર્મની વિશાળ પીઠ પર મંદરાચલ ઝડપથી ફરવા લાગે છે. આ રીતે સમુદ્રમંથન થઈ શક્યું. સમુદ્રમંથન દરમિયાન નીકળેલું અમૃત પીને દેવતાઓ અમર થઈ ગયા અને દાનવોનો સામનો કરી શક્યા.
કૂર્મ જયંતીનું મહત્ત્વ
વૈશાખી પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુએ કૂર્મનું રૂપ ધારણ કર્યું હતું, તેથી તે દિવસ કૂર્મ જયંતી તરીકે મનાવાય છે. શાસ્ત્રોએ આ દિવસનું ઘણું મહત્ત્વ જણાવ્યું છે. આ દિવસે નિર્માણસંબંધી કાર્ય શરૂ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે યોગમાયા સ્તંભિત શક્તિની સાથે કૂર્મમાં નિવાસ કરે છે. કૂર્મ જયંતીના અવસરે ઘરનો વાસ્તુદોષ પણ દૂર કરી શકાય છે. નવું ઘર, ભૂમિ વગેરેના પૂજન માટે કૂર્મ જયંતી શ્રેષ્ઠ રહે છે.
કૂર્મ વ્રત-મંત્ર
કૂર્મ જયંતીના દિવસે સ્નાનાદિ કાર્યથી પરવારીને ઘરના મંદિરમાં અથવા બાજઠ પર ભગવાન વિષ્ણુના કૂર્મ સ્વરૂપની મૂર્તિ કે તસવીર મૂકવી. ધૂપ-દીપ કરીને આરતી ઉતારવી તથા ભોગ ધરાવવો. એકટાણું અથવા આખા દિવસનો ઉપવાસ કરવો. સાંજે ફરીથી વિધિવત્ પૂજન કરવું. રાત્રિ જાગરણ કરીને ભજન-કીર્તનમાં સમય વ્યતીત કરવો. બીજા દિવસે શુભ સમયમાં ઉત્થાપન કરવું. આ વ્રત-પૂજા દરમિયાન નીચેના મંત્રોમાંથી કોઈ એકનો યથાશક્તિ જાપ કરવો.
– ૐ કૂર્માય નમ: ।
– ૐ હાં ગ્રી કૂર્માસને બાધામ નાશય નાશય।
– ૐ આં હ્રીં ક્રોં કૂર્માસનાય નમ:।
– ૐ હ્રીં કૂર્માય વાસ્તુ પુરુષાય સ્વાહા।