જે રોડ પરથી દરરોજ ૨૦ હજાર વાહનો પસાર થાય છે, ૧૦ ગામને જોડે છે તેની જ તંત્ર દ્વારા ઉપેક્ષાથી બાળકો, વૃધ્ધો અકસ્માતનો ભોગ બની રહ્યા છે
રાજકોટમાં પહેલા વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં વર્ષોથી ચાલી આવતી સમસ્યા મુજબ પાણી ભરાયા હતા. તો બીજા વરસાદથી ભ્રષ્ટ તંત્રની પોલ ખુલવાનું શરૂ થઇ ગયું હતું. સતત આઠ દિવસ સુધી વરસેલા વરસાદના કારણે રાજકોટના તમામ રસ્તાઓ તૂટીને બિસ્માર જેવા બની ગયા છે. ખાસ કરીને કરોડોના ખર્ચે બનાવાયેલો નવો રિંગ રોડ આખે આખો ભસ્મીભૂત બની ગયો છે. તેનાથી હજારો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે. છતાં નપાણીયા તંત્રના પેટનું પાણી હલતું નથી.
વગડ ચોકડીનો રોડ રસ્તાનો પ્રશ્નો છેલ્લા ૧૦ વર્ષથી ચાલી રહ્યો છે. દર વખતે તંત્ર દ્વારા ખાડાઓ બુરી સંતોષ માનવામાં આવે છે. પરંતુ યાતના સ્થાનિકવાસીઓ ભોગવી રહ્યા છે. આ વરસાદમાં વગડ ચોકડીનો રસ્તો જ ગાયબ થઇ ગયો છે અને તળાવ જેવો માહોલ બની ગયો છે. જેથી રોષે ભરાયેલા વોર્ડ નં.૧૧ના લત્તાવાસીઓએ ચક્કાજામ કરી અનોખો વિરોધ પ્રદર્શિત કર્યો છે. જેમ ભાજપ તેમના ઘરને સાંધવા માટે સદસ્યતા અભિયાન ભજવી રહ્યું છે તેમ વોર્ડ નં.૧૧ના રહેવાસીઓએ ખાડા સદસ્યતા અભિયાન યોજતા ભારે ચકચાર જાગી છે. તંત્ર દ્વારા આ મામલે ત્વરીત કાર્યવાહી થાય અને કાયમી પાણી નિકાલની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી.
તો બીજી તરફ લોકોએ એમ પણ જણાવ્યું હતું કે ધારાસભ્ય ભાનુબેન બાબરીયા આ જ વોર્ડમાંથી ચૂંટણી લડીને જીત્યા છે અને હાલ મંત્રી પદની સીટ પર બેઠા છે. તો તાજેતરમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને આ જ વોર્ડમાંથી લીડ મળી છે. છતાં વોર્ડ નં.૧૧ની વર્ષોથી ઉપેક્ષા થઇ રહી છે. હવે સત્તાધીશો દ્વારા ખાડા અને પાણી મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે અને પ્રશ્નનો નિકાલ કરવામાં નહી આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે.
મ્યુનિ.કમિશનર અગાઉ મુલાકાત લઇ ગયા છતાં સમસ્યા જેમ ની તેમ : લક્ષ્મણભાઇ સાગઠીયા
વોર્ડ નં.૧૧ના રહેવાસી લક્ષ્મણભાઇ સાગઠીયાએ ‘અગ્ર ગુજરાત’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ રસ્તા મામલે છેલ્લા ૧૦ વર્ષથી મનપાને રજુઆતો કરવામાં આવે છે. પાણી નિકાલની વ્યવસ્થા મામલે ઢંઢોળવા છતાં પણ તંત્ર દરકાર દેતું નથી. અનેક વખત રજુઆતો બાદ અધિકારીઓ સ્થળ પર આવી નિરીક્ષણ કરી જતાં રહે છે. પરંતુ સમસ્યાનો ઉકેલ આવતો નથી. અગાઉ મ્યુનિસિપલ કમિશનર પણ આ જગ્યાએ મુલાકાત કરી ગયા છે. છતાં પણ જો સમસ્યા હલ ન થાય તો વોર્ડ નં.૧૧ના રહેવાસીઓએ પણ હવે ચૂંટણીમાં સત્તાધીશોને પારખી લેવાશે. તેવું જણાવ્યું હતું.
બાળકો-વૃધ્ધો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે : તુલસીભાઇ સાકરીયા
વગડ ચોકડીએ ખાડારાજ અને પાણી ભરાવા મામલે રોષે ભરાયેલા વોર્ડ નં.૧૧ના રહેવાસીઓએ ચક્કાજામ કરી આશ્ચર્યજનક કાર્યક્રમ આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યુ હતું. તે વેળાએ હાજર વોર્ડ નં.૧૧ના તુલસીભાઇ સાકરીયાએ જણાવ્યું હતું કે આ રસ્તા પરથી દરરોજ ૨૦ હજાર વાહન ચાલકો આવ-જા કરે છે. ખાસ કરીને ૧૦ ગામોને જોડતો આ રસ્તો હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા પણ સવારથી સાંજ સુધી અવર-જવર કરે છે. ત્યારે છેલ્લા ૧૦ વર્ષથી સર્જાતી આ સમસ્યા દૂર કરવાનું તંત્ર વિચારતું જ નથી. આ ખાડા અને પાણીના કારણે અનેક વખત અકસ્માતો સર્જાયા છે. બાળકો, વૃધ્ધો તેનો ભોગ બન્યા છે. આથી હવે તંત્રએ જાગવાની જરૂર છે અને કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માંગ છે.