- મહાકાલ ભક્તોની સુવિધા માટે બનાવવામાં આવી ખાસ ટનલ
- શ્રાવણ મહિનામાં મહાકાળના દર્શને 15 લાભ ભક્તો આવવાની અપેક્ષા
- ટનલ બનાવવામાં ફાયર સેફટી અને એરકન્ડિશનની ખાસ વ્યવસ્થા
ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં દર્શનાર્થીઓ માટે બનાવવામાં આવી રહેલી ટનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે 12 જ્યોતિર્લિંગોમાંથી એક એવા દેશના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. એટલું જ નહીં, મહાકાલ લોકની રચના બાદ અહીં ભક્તોની સંખ્યા ઘણી વધી ગઈ છે. તેથી, ખાસ તહેવાર અથવા રજાના પ્રસંગોએ દરરોજ 4 થી 5 લાખ ભક્તો મંદિરની મુલાકાત લેવાનું હવે સામાન્ય બની ગયું છે.
આ નવા વર્ષે 10 લાખથી વધુ ભક્તોએ મહાકાલના દર્શન કર્યા છે. એટલું જ નહિ મહાકાલ મંદિર પ્રબંધન સમિતિના જણાવ્યા અનુસાર, શ્રાવણ મહિનામાં શિવરાત્રિના તહેવાર પર 15 લાખથી વધુ ભક્તો ઉજ્જૈનમાં આવશે તેવી અપેક્ષા છે. આ અંદાજને લઈને મહાકાલ મંદિરમાં મોટી ભીડને ધ્યાનમાં રાખીને ભીડને કાબૂમાં રાખવા માટે ટનલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું.
દર્શન કરવામાં સરળતા રહેશે
મહાકાલ મંદિરની અંદર ભૂગર્ભમાં બનેલી આ ટનલનું કામ 2 વર્ષથી ચાલી રહ્યું હતું. મહાકાલ મંદિરના સહાયક પ્રશાસક મૂળચંદ જુનવાલે કહ્યું કે મંદિરની અંદર બનાવવામાં આવી રહેલી ટનલનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે ટનલમાં માત્ર સફાઈનું કામ બાકી છે, જે હાલ ચાલી રહ્યું છે. મંદિર પ્રબંધન સમિતિ શિવરાત્રી અને શ્રાવણ દરમિયાન લાખો ભક્તો આ ટનલ મારફતે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરશે. તેમજ મહાશિવરાત્રિ પહેલા પણ જો ભક્તોની મોટી ભીડ હોય તો નવનિર્મિત ટનલ દ્વારા દર્શન કરાવી શકાશે.
સલામતીનું રાખવામાં આવ્યું છે ખાસ ધ્યાન
જણાવી દઈએ કે, ટનલની અંદર ફાયર સેફ્ટીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ સાથે ટનલની અંદર લાઇટિંગનું કામ પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર ટનલને એરકન્ડિશન્ડ અને વ્યવસ્થિત બનાવવામાં આવી છે. લોકનિર્માણની સાથે સાથે મહાકાલ મંદિરના બીજા તબક્કાના વિસ્તરણ અને બ્યુટિફિકેશનનું કામ પણ સતત ચાલી રહ્યું છે.


