ભારત દેશ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. ભારતમાં જેટલાં પણ પ્રાચીન કે અર્વાચીન મંદિરો આવેલાં છે, તેમાં પૌરાણિક કે ઐતિહાસિક શ્રદ્ધાઓ જોડાયેલી છે. આજે પણ ભારતમાં એવાં કેટલાંય મંદિરો છે, જેની કોતરણી કે તેનું બાંધકામ ખરેખર આશ્ચર્ય પમાડે તેવું છે, કારણ કે સેંકડો વર્ષો પહેલાં કે તેથી પણ જૂના વર્ષોમાં અત્યાધુનિક સાધનો વિના પણ મંદિરોમાં જે પ્રકારે નકશીકામ તેમજ અન્ય બારીકાઇ વર્ક કરવામાં આવેલું છે તે ખરેખર ચોંકાવનારું છે. ભારતના કેટલાંક મંદિરોની પોતાની આગવી ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે અને તે માન્યતાઓને આજ દિન સુધી માનવામાં આવે છે અને તેમાં કોઇ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવતી નથી. આવી જ એક માન્યતા અને જૂની પરંપરા સાથે તમિલનાડુના કાંચીપુરમ્ મંદિરનો આગવો શ્રદ્ધામય ઈતિહાસ જીવંત છે. આ મંદિરનું નામ શ્રી વરદરાજા પેરુમલ મંદિર છે. તેને શ્રી દેવરાજ સ્વામી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મૂળ આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેને અહીં વરદરાજા કે વરદરાજા સ્વામી તરીકે પૂજવામાં આવે છે.
આ મંદિરની વિશેષતા એ છે કે, સમગ્ર વિશ્વમાં આ જ એક એવું મંદિર છે, જેના ઈષ્ટદેવને 40 વર્ષે પૂજવામાં આવે છે, કારણ કે 40 વર્ષમાં એક વાર જ ભગવાન વરદરાજા સ્વામીની મૂર્તિને મંદિર પરિસરમાં સ્થિત પવિત્ર અનંત સરોવરમાંથી બહાર કાઢવામાં આવે છે.
મંદિરની વાસ્તુકલા, શિલ્પ સ્થાપત્ય અને અન્ય વિશેષતા
આ મંદિરની વાસ્તુકલા દ્રવિડ શૈલીથી પ્રેરિત છે. ઈ.સ. 1053માં ચોલ રાજાએ આ મંદિરનું નિર્માણ કર્યું હતું. કુલોત્તુંગ પ્રથમ અને વિક્રમ ચોલે આ મંદિરનો પુનરુદ્ધાર પણ કરાવ્યો હતો. આ મંદિરમાં કુલ 100 સ્તંભ ધરાવતો હોલ છે, જે સૌ કોઇને આકર્ષે તેવો છે. આ મંદિરમાં કરવામાં આવેલું શિલ્પકામ ખૂબ જ બારીકાઇથી કરવામાં આવ્યું છે. મૂળ આ મંદિર કુલ 23 એકરમાં ફેલાયેલું છે. આ મંદિરમાં બે સરોવર ઉપરાંત કેટલાંક નાનાં મંદિરો પણ આવેલાં છે. આ મંદિરોમાં પણ વિશેષ કોતરણીઓ કરવામાં આવી છે. મંદિરમાં રહેલા ગોપુરમમાં પથ્થરો વડે એક સાંકળ બનાવવામાં આવી છે. મંદિરના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ આ સાંકળ જોઇને આશ્ચર્ય પામી જાય છે.
પૌરાણિક માન્યતા
જો આપણે માનવજીવન તરીકે જોવા જઇએ તો મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન આ મૂર્તિનાં દર્શન માત્ર એકવાર કરી શકે છે અથવા તો વધુમાં વધુ બે વાર જ કરી શકે છે! આ મંદિર-મૂર્તિ વિશે પૌરાણિક માન્યતા એવી છે કે, એકવાર માતા સરસ્વતી નારાજ થઇને દેવલોકથી સીધા અહીં આવ્યાં હતાં. માતા સરસ્વતીને મનાવવા ભગવાન બ્રહ્માજી પણ અહીં આવ્યા હતા, પરંતુ તેમને જોઇને માતા સરસ્વતી વેગવતી નદીના રૂપમાં વહેવા લાગ્યાં, તેથી બ્રહ્માજીએ આ સ્થાન પર અશ્વમેઘ યજ્ઞ કરવાનો નિર્ણય લીધો. તો માતા સસ્વતી તેમના આ યજ્ઞને વિધ્વંસ (નાશ) કરવા પ્રંચડ વેગથી વહેવા લાગ્યાં. માતા સરસ્વતીનું આવું રૌદ્ર સ્વરૂપ જોઇને સૌ કોઇ દેવતા આશ્ચર્ય ચકિત થઇ ગયા. આથી માતા સરસ્વતીના ગુસ્સાને શાંત કરવા યજ્ઞની વેદીથી ભગવાન વિષ્ણુ શ્રી વરદરાજા સ્વામીના રૂપમાં પ્રકટ થયા હતા.
આ વિસ્તારમાં અંજીરનું વિશાળ જંગલ હોવાજી અંજીરનાં વૃક્ષોનાં લાકડાંથી દેવોના શિલ્પકાર વિશ્વકર્માજીએ શ્રી વરદરાજાની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. અંજીરને `અથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આગળ જતાં આ જ કારણોસર ભગવાન શ્રી વરદરાજાને `અથિ વરદરાજા’ તરીકે પણ પૂજવામાં આવે છે. વિશ્વકર્માજીએ અથિ વરદરાજાની મૂર્તિનું નિર્માણ કર્યું હતું.
આ મંદિર પર ઘણા આક્રમણકર્તાઓએ હુમલો કર્યો હતો. તેમ છતાં મંદિરને પૂર્ણતઃ ધ્વસ્ત કરી શક્યા ન હતા. આ મંદિરનું નિર્માણ મહાન ચૌલ શાસકો દ્વારા (ઈ.સ. 1053) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાળક્રમે અનેક રાજાઓએ પણ આ મંદિરમાં નાના-મોટા સુધારા કરાવ્યા હતા. આજે પણ આ મંદિરના દર્શનાર્થે ભારતભરમાંથી અને વિદેશોમાંથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે.
વર્ષો સુધી મૂર્તિ પાણીમાં
હોવા છતાં બગડતી નથી
આ મૂર્તિની ખાસ બાબત એ છે કે, તે પાણીમાં હોવા છતાં પણ બગડતી નથી. અલબત્ત, આ મૂર્તિમાં કોઇ પણ પ્રકારનાં કેમિકલ કે કોઇ લેપનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. આ મૂર્તિને જે રીતે બહાર કાઢવામાં આવે છે તે જ રીતે પાણીમાં પાછી મૂકી પણ દેવામાં આવે છે. મંદિર સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, જ્યારે પણ આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું હશે ત્યારે તેમાં કોઇ ખાસ પ્રકારની ધાતુ અથવા કોઇ એવી વસ્તુ ઉમેરવામાં આવી હશે, જેથી તે પાણીમાં પણ નુકસાન પામતી નથી.