- માતાના મઢ ખાતે બે વખત પતરીવિધી કરાશે
- માતાના મઢ ખાતે થતી પતરી વિધીનું અનેરૂ મહત્વ
- રાજવી પરિવારના બંને પક્ષોએ વિધી માટે તૈયારી શરૂ કરી
કચ્છના રાજવી પરિવાર વચ્ચે કલેહ યથાવત છે. જેમાં પતરી વિધીનો વિવાદ હાઇકોર્ટ પહોંચ્યો છે. તેમાં માતાના મઢ ખાતે બે વખત પતરીવિધી કરાશે. માતાના મઢ ખાતે થતી પતરી વિધીનું અનેરૂ મહત્વ છે. તેમાં રાજવી પરિવારના બંને પક્ષોએ વિધી માટે તૈયારી શરૂ કરી છે. તેમજ માતાના મઢ ખાતે પોલીસ બંદોબસ્તની માગ કરાઇ છે. તથા 21 ઓક્ટોબરે પતરી વિધી કરવામાં આવશે.
જાણો શું હોય છે પતરી વિધિ
આસો માસની નવરાત્રીની આઠમના રોજ રાજપરિવાર તરફથી મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડ ખાતે નહાવા પધારે છે. અને તે બાદ ચાચરા ભવાનીના મંદીરમાં પૂજા કરે છે. ત્યાર બાદ આશાપુરા માતાજીના મંદીરમાં માતાજીનો ભુવો પતરી નામના છોડવાના પાંદડાનો ઝુમખો કરી માતાજીના જમણા ખભા ઉપર રાખે છે. જાગરીયાઓને બોલાવી ડાકો તથા ઝાંઝ વગાડવામાં આવે છે અને મહારાવ પોતાની પછેડીનો ખોળો પાથરી પતરી મેળવવા માતાજીને પ્રાર્થના કરે છે, અને જ્યાં સુધી પતરી મહારાવના ખોળામાં નથી પડતી ત્યાં સુધી સતત ઊભા રહી પ્રાર્થના કરે છે.
રાજબાવા યોગેન્દ્રસિંહ કરમશીએ વિરોધ કર્યો હતો
પતરી વિધિ મુદ્દેનો વિવાદ વર્ષ 2009 માં નવરાત્રીની આઠમના રાબેતા મુજબ પતરી વિધી કરવા ગયેલા પ્રાગમલજી ત્રીજાએ શારિરીક અસ્વસ્થતા અનુભવતા તેમની બાજુમાં હાજર જુવાનસિંહ હમીરજી જાડેજાને પરંપરા મુજબ વિધી કરવાનું કહેલું જે બાદ જુવાનસિંહે ચાચરા ભવાની અને ચામરની પૂજા કરી હતી. તે ઉપરાંત પ્રાગમલજીએ તેમને આશાપુરા માતાજીના મંદિરમાં પતરી ચડાવી અને ખોળો પાથરીને પતરી ઝીલવાનું કહેલું, જેનો ત્યાં ઉભેલા રાજબાવા યોગેન્દ્રસિંહ કરમશીએ વિરોધ કર્યો હતો.
પ્રથમ વખત કોઈ મહિલાએ પતરી વિધિ કરી હતી
ત્યારબાદ પ્રાગમલજી ત્રીજાએ 2010 ની સાલમાં રાજબાવા અથવા પુજારીને આ વિધિ રોકવાનો કોઈ હક્ક અધિકાર નથી, તેવા પ્રકારનું હુકમનામું ફરમાવવા લખપત તાલુકાની દયાપર કોર્ટમાં અરજી કરી હતી. તો કોર્ટે હુકમ આપતા કહ્યું કે ભુવા પુજારી દ્વારા કરાવવામાં આવતી આ વિધીને રોકવાનો કે તોડવાનો કોઈ પણ હક્ક કે અધિકાર રાજબાવા યોગેંદ્રસિંહને પ્રાપ્ત થયો નથી. પતરી વિધિની ઐતિહાસિક ઘટનામાં અગાઉ નવરાત્રી પહેલા રાજપરિવારના મોભી પ્રાગમલજી ત્રીજાના અવસાન થતાં પતરી વિધિ મુદ્દે કચ્છ જિલ્લા કોર્ટમાં ચાલતા કેસમાં ભુજના અધિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ જજ આર.વી. મંડાણીએ હુકમ કર્યો હતો કે આ વિધિ એ રાજપરિવારની વિધિ છે. અને આ ફક્ત રાજવી કુળના વંશાનુક્રમે આવતા નજીકના વ્યક્તિ રાજપરિવારની મુખ્ય વ્યક્તિ સાથે રહીને જ કરી શકે. જે બાદ રાજ પરિવાર તરફથી પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રીતિ દેવીએ પતરી વિધિ કરી હતી. તો ઇતિહાસમાં ક્યારેય ન થયું હોય તેવી આ ઘટનામાં પ્રથમ વખત કોઈ મહિલાએ પતરી વિધિ કરી હતી.