- મંદિરની અંદર ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર મનાઈ
- મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા આદેશ
- અગાઉ ઉત્તરાખંડમાં મંદિરોમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ લાગુ કરાયો હતો
રાજકોટમાં મંદિરના પ્રવેશને લઈને ડ્રેસકોડ જાહેર કરાયો છે. જેમાં શહેરના 100થી વધુ મંદિરોમાં પોસ્ટરો લાગ્યા છે. મંદિરની અંદર ટૂંકા વસ્ત્રો પહેરી પ્રવેશ કરવા પર મનાઈ છે. તેમાં સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે.
શહેરના 100થી વધારે મંદિરોમાં પોસ્ટર લાગ્યા
શહેરના 100થી વધારે મંદિરોમાં પોસ્ટર લાગ્યા છે. જેમાં મંદિરમાં પ્રવેશને લઇને ડ્રેસકોડ રાખવામાં આવ્યો છે. તેમાં મંદિરની અંદર કેપ્રિ, બરમુંડા, સ્લીવલેસ, ફાટેલા જીન્સ, મિની સ્કર્ટ પહેરીને પ્રવેશ નહિ કરવાની સૂચના દર્શાવતા બોર્ડ લાગ્યા છે. સનાતન સ્વરાજ નામની સંસ્થાએ પોસ્ટર લગાવ્યા છે. તાજેતરમાં જ ઉત્તરાખંડમાં મંદિરોમાં પ્રવેશ માટે ડ્રેસ કોડ લાગુ કરાયો હતો. શરીરને 80 ટકા સુધી વસ્ત્રોથી ઢાંક્યા વિના મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. ઉત્તરાખંડના પ્રખ્યાત શિવ મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા માટે મહાનિર્વાણી અખાડાએ આ આદેશ આપ્યો છે.
મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા આદેશ
છેલ્લા કેટલાક વર્ષોથી યુવક-યુવતીઓ વિદેશી પહેરવેશના મોહમાં, ફેશનેબલ દેખાવા ટૂંકા કપડાં પહેરીને મંદિરોમાં જાય છે. આવા સમયે યુવક-યુવતીઓને મંદિરમાં જતા રોકવામાં આવતા વિવાદ સર્જાતો હતો. પરિણામે મંદિરોમાં ભગવાનના દર્શન માટે ડ્રેસ કોડ લાગુ કરવાની ભલામણ સમાજના ચોક્કસ વર્ગમાંથી કરવામાં આવતી હતી. હવે મહાનિર્વાણી અખાડાએ શિવ મંદિરોમાં કડકાઈથી ડ્રેસ કોડ લાગુ કરવા આદેશ આપી દીધો છે.
શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ
આ નિર્ણયને લીધે મહાનિર્વાણી અખાડાના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા કપડાં, અશ્લીલ કહેવાય તેવા વસ્ત્રો પહેરીને જતા યુવક-યુવતીઓ પ્રવેશ નહીં કરી શકે. એ જ રીતે હરીદ્વારના પ્રખ્યાત દક્ષ મંદિર, ઋષિકેશના નીલકંઠ અને દેહરાદૂનના ટપકેશ્વર મંદિરમાં પણ ડ્રેસ કોડ લાગુ કરાયો છે. આ ત્રણેય શિવમંદિરો છે. અખાડાના શ્રીમહંત અને અખાડા પરિષદના અધ્યક્ષ શ્રીમહંત રવિન્દ્ર પૂરીએ જણાવ્યું કે જેમનું શરીર 80 ટકા સુધી ઢંકાયેલું હશે તેમને જ મંદિરમાં પ્રવેશ અપાશે.


