સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી કાર્યવાહીના એંધાણ
જંગલેશ્વર પર તંત્રનો આખરી પ્રહાર : બુલડોઝરની તૈયારી શરૂ
આખરી 7 દિવસની ઘંટડી વાગી : કલેક્ટર-મનપા તંત્ર પોલીસના ધાડા સાથે ઊતરી પડી નોટિસો પાઠવી, ૪૦૦૦ ગેરકાયદે મકાનો તોડી પાડવાની ખુલ્લી ચેતવણી
વર્ષોથી 80 હજાર ચોરસ મીટર સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો હટાવવા કલેક્ટર તંત્ર દ્વારા મેગા કવાયત
અગ્ર ગુજરાત, રાજકોટ
અમદાવાદના ચંડોળા તળાવ બાદ હવે રાજકોટમાં પણ સરકારની બુલડોઝર નીતિ સંપૂર્ણ રીતે અમલમાં આવી ગઈ છે અને તેની સીધી આંચ જંગલેશ્વર વિસ્તારમાં અનુભવી શકાય તેવી બની છે. અમદાવાદના ચંડોળા બાદ હવે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છના સૌથી મોટા રહેણાંક વિસ્તારનું ડિમોલેશન હાથ ધરવામાં આવશે તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. શહેરના ભાવનગર રોડ પર આજી નદીના કાંઠે આવેલા જંગલેશ્વર વિસ્તારમાં વર્ષોથી સરકારી જમીન પર બેફામ રીતે જમાવટ કરી બેઠેલા દબાણકારો સામે કલેક્ટર તંત્રએ હવે આરપારનો મૂડ બનાવી લીધો છે. આજે વહેલી સવારથી જ રાજકોટ કલેક્ટર તંત્ર અને પોલીસનો વિશાળ કાફલો જાણે યુદ્ધની તૈયારી સાથે જંગલેશ્વર વિસ્તારમાં ઉતરી પડ્યો હતો અને 80 હજાર ચોરસ મીટર જેટલી કિંમતી સરકારી જમીન પર ખડકાયેલા આશરે ૪૦૦૦ જેટલા કાચા-પાકા ગેરકાયદે મકાનોને લઈને ૨૦૨ મુજબની આખરી સાત દિવસની નોટિસ ફટકારી દેવામાં આવી છે. સ્વેચ્છાએ સાત દિવસમાં આ રહેણાંક વિસ્તાર ખાલી નહીં કરે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ભય, અફરા-તફરી અને ભારે સન્નાટો છવાઈ ગયો હતો.
રાજકોટ શહેરના ટીપી નંબર 6, ફાઈનલ પ્લોટ નંબર 159માં આવેલી આ સરકારી જમીન છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી દબાણકારોની પકડમાં હતી. શહેર વિકસતું ગયું, જમીનની કિંમત આસમાને પહોંચી ગઈ, છતાં સરકારી જમીન પર ગેરકાયદે વસવાટનો ખેલ યથાવત રહ્યો. અંદાજે 70થી 80 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી આ જમીન પર કોઈ કાયદેસર હક, કોઈ નોંધણી કે કોઈ મંજૂરી વિના મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા. તંત્રનું કહેવું છે કે વર્ષો સુધી આંખ આડા કાન કરવામાં આવ્યા, પરંતુ હવે સરકારની સ્પષ્ટ નીતિ છે કે સરકારી જમીન પર દબાણ એક ઇંચ પણ સહન નહીં થાય.
આજે સવારથી જ પૂર્વ વિભાગના મામલતદાર નિલેશ અજમેરા, સર્કલ ઓફિસર સત્યમ સેરશિયા, રાજકોટ મહાનગરપાલિકાની ટીમ, તમામ તલાટીઓ તેમજ અન્ય અધિકારીઓનો મોટો કાફલો જંગલેશ્વર વિસ્તારમાં પહોંચ્યો હતો. દરેક ગલી, દરેક રસ્તા અને દરેક મકાન સુધી તંત્રની ટીમો પહોંચી હતી. લોકોના હાથમાં આખરી નોટિસ પકડાવવામાં આવી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતું કે હવે કોઈ બહાનો, કોઈ દલીલ કે કોઈ સમયમર્યાદા વધારવાની વાત નહીં ચાલે. સાત દિવસની અંદર સ્વેચ્છાએ મકાન ખાલી કરી દો, નહીં તો તંત્ર બુલડોઝર ચલાવીને મકાનો તોડી પાડશે અને સામાન કાઢવાની જવાબદારી પણ દબાણકારોની રહેશે.
આ આખી કામગીરી દરમિયાન જંગલેશ્વર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. કોઈ વિરોધ, કોઈ પથ્થરમારો કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ ફ્રીહેન્ડ આપવામાં આવ્યો હતો. પીઆઈ સરવૈયા, એસપી જાદવ સહિત 60થી 70 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હેલ્મેટ, લાઠી અને અન્ય સાધનો સાથે પોલીસ જવાનો ગલીગલીમાં તૈનાત રહ્યા હતા. લોકો ઘરના દરવાજા બંધ કરી અંદર બેસી ગયા હતા. બજારો બંધ રહ્યા હતા, રસ્તાઓ સૂના પડ્યા હતા અને આખો વિસ્તાર ભયના માહોલમાં ગરકાવ થઈ ગયો હતો.
કલેક્ટર તંત્ર દ્વારા આ કાર્યવાહી અચાનક કરવામાં આવી નથી. ગત 18 ડિસેમ્બરે જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ઉભેલા દબાણો દૂર કરવા માટે નોટિસો ચીપકાવવાનું શરૂ કરાયું હતું. તે સમયે જ સ્થાનિક સ્તરે ભારે હોબાળો થયો હતો. ટોળાઓ એકઠા થયા હતા, તંત્ર સામે સૂત્રોચ્ચાર થયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું. પરંતુ પોલીસની કડક હાજરીને કારણે મામલો કાબૂમાં આવી ગયો હતો. ત્યારબાદ 29 ડિસેમ્બરના રોજ તમામ દબાણકારોને આધાર-પુરાવા સાથે હિયરિંગ માટે બોલાવવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ત્રણ અલગ અલગ સમયગાળા દરમિયાન હિયરિંગ રાખવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યજનક રીતે માત્ર લગભગ 50 ટકા લોકો જ હાજર રહ્યા હતા. બાકીના લોકોએ તો ન હિયરિંગમાં હાજરી આપી, ન કોઈ દસ્તાવેજ રજૂ કર્યો. હિયરિંગ પૂર્ણ થયા બાદ રાજકોટ કલેક્ટર ડો. ઓમપ્રકાશ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં આદેશ અપાયા કે હવે મામલો લટકાવવાનો નથી. સરકારી જમીન પર દબાણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જ પડશે. આ નિર્ણય બાદ તંત્રે આખરી તબક્કાની કામગીરી શરૂ કરી દીધી છે. આજની નોટિસ માત્ર ચેતવણી નથી, પરંતુ સાત દિવસ બાદ સીધી કાર્યવાહીનું એલાન છે.
આખરી નોટિસ મળ્યા બાદ જંગલેશ્વર વિસ્તારમાં અફવા, ચર્ચા અને ચિંતા એકસાથે ફાટી નીકળી છે. વર્ષોથી જ્યાં વસવાટ કરતા આવ્યા, જ્યાં રોજગાર, જીવન અને સંબંધો બંધાયેલા છે, તે બધું હવે સાત દિવસમાં છૂટી જશે તેવી ભીતિ લોકોના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે. કેટલાક લોકો સરકાર સામે ન્યાયની માગ કરી રહ્યા છે, કેટલાક કોર્ટમાં જવાની તૈયારીમાં હોવાનું કહી રહ્યા છે, તો કેટલાક ખુલ્લેઆમ વિરોધની વાતો કરી રહ્યા છે. બીજી તરફ, તંત્રનું કહેવું છે કે કાયદો પોતાનું કામ કરશે અને કોઈ દબાણ, લાગણી કે રાજકીય દખલ સ્વીકારવામાં આવશે નહીં.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જો સાત દિવસની અંદર એક પણ મકાન ખાલી નહીં થાય, તો સરકારના બુલડોઝર જંગલેશ્વર વિસ્તારમાં ઉતારવામાં આવશે અને તમામ ૪૦૦૦ જેટલા ગેરકાયદે મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવશે. આ કાર્યવાહી રાજકોટના ઈતિહાસની સૌથી મોટી મેગા ડિમોલિશન ડ્રાઇવ બની શકે છે. ચંડોળા તળાવ જેવી જ કાર્યવાહી કરીને સરકાર સમગ્ર રાજ્યમાં સંદેશ આપવા માગે છે કે સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો હવે કોઈ સંજોગોમાં ચાલશે નહીં. કલેક્ટર તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ જમીન સરકારી છે, તેનો ઉપયોગ જાહેર હિત માટે થવાનો છે અને તેને મુક્ત કરાવવું અનિવાર્ય છે. વર્ષોથી આંખ આડા કાન કરીને ઉભા રહેલા દબાણો હવે સરકાર માટે અસહ્ય બની ગયા છે. હવે નિર્ણય લેવાઈ ગયો છે અને તેને અમલમાં મૂકીને જ તંત્ર શાંત બેસશે.
આજની આખરી નોટિસ સાથે જંગલેશ્વર વિસ્તાર જાણે સમય સામે દોડતો થઈ ગયો છે. દરેક પરિવાર, દરેક ઘર અને દરેક વ્યક્તિ હવે આગામી સાત દિવસમાં શું કરવું તેની ગણતરી કરી રહ્યો છે. કોઈ ઘર બચશે કે નહીં, કોઈ છૂટ મળશે કે નહીં, કે પછી બધું બુલડોઝરના નીચે આવી જશે. આ પ્રશ્નો વચ્ચે જંગલેશ્વર વિસ્તાર કાંપી રહ્યો છે. હવે બધાની નજર આગામી સાત દિવસ પર છે, કારણ કે સાત દિવસ બાદ જંગલેશ્વર પર સરકારના બુલડોઝર ઉતરે તો નવાઈ નહીં.
જંગલેશ્વરમાં વસવાટ કરતી વિવિધ જ્ઞાતિઓ
જંગલેશ્વરમાં મુસ્લિમ સમુદાય, અનુસૂચિત જાતિ, આહિર, કોળી, ભરવાડ, રાવળદેવ, પટેલ, બ્રાહ્મણ સહિત અન્ય સમુદાયના ૪૦૦૦થી વધુ મકાનો આવેલા છે. જેમાં આશરે 3૭૦૦૦થી વધુ પરિવારો વસવાટ કરી રહ્યાં છે. આ ડિમોલીશન થવાથી 3૭૦૦૦ પરિવારને તેની અસર થવાની છે. વૈકલ્પિક વ્યવસ્થા વગર જ ડિમોલીશનની નોટીસ ફટકારી દેતા વસવાટ કરતાં સમુદાયોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્ષોથી જે આશરામાં રહીને પરિવારનું ગુજરાન ચલાવ્યું છે તે આશરો છીનવાઇ જવાના ડરથી આજથી જ મોટાભાગના ઘરમાં ચુલાઓ પણ ઠરવા લાગ્યા છે. ચાર-પાંચ પેઢીઓથી વસવાટ કરતાં પરિવારોમાં મકાન ધરાશાઇ થવાનો ડર બેસી ગયો છે અને આશરો છીનવાશે તો કયાં જઇને રહીશું તેવા સવાલો તંત્ર સામે ઉઠી રહ્યાં છે.
કોર્ટના ચૂકાદા પર અસરગ્રસ્તોની નજર
રાજકોટ કલેકટર તંત્ર દ્વારા જંગલેશ્વરના સ્થાનિકોને નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિકો દ્વારા હાઇકોર્ટમાં ત્રણ પીટીશન દાખલ કરવામાં આવી હતી. આ પીટીશન બાબતે હજુ સુધી કોઇ નિર્ણય આવ્યો નથી કે બોર્ડની તારીખ પણ આપવામાં આવી નથી. ત્યારે કલેકટર તંત્ર દ્વારા આજે ૨૦૨ મુજબ આખરી નોટીસ આપવામાં આવી છે. આ નોટીસ સાથે જ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી પીટીશન સાથે જોડવામાં આવશે. સ્થાનિકોને આખરી નોટીસ મળતાં હવે છેલ્લી ઉમીદ તેઓને કોર્ટ પાસેથી છે. આગામી દિવસોમાં હાઇકોર્ટમાં આ પીટીશન બોર્ડ પર લેવામાં આવે અને સ્થાનિકોના હિતમાં કોર્ટ દ્વારા નિર્ણય લેવામાં આવે તેવી આશા અસરગ્રસ્તો રાખી રહ્યાં છે.
વૈકલ્પિક વ્યવસ્થાની જોગવાઇ ન હોવાથી કચવાટ
તંત્ર દ્વારા ડિમોલેશનની નોટીસ ફટકારવામાં આવી છે. જેની સામે સ્થાનિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની પણ માંગ કરી હતી. પરંતુ તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં વૈકલ્પિક વ્યવસ્થાની કોઇ જોગવાઇ નથી તેવુ જણાવતાં સ્થાનિકોમાં ભારે કચવાટ ફેલાયો છે. વૈકલ્પિક વ્યવસ્થા નહી હોવાના કારણે તેમજ પોતાનો આશરો છીનવાતો હોય હવે કયાં રહેવું તેવો પણ એક પ્રશ્ન સામે આવ્યો છે.


