પત્ની, ભાઈ, પુત્ર એ પણ અદાલતમાં આગોતરા જામીન મૂક્યા
સાગઠીયાની અપ્રમાણસર મિલકત પરિવારના નામે હોય, ભ્રષ્ટાચારમાં સામેલ હોવાની કાર્યવાહીની શંકાએ કરેલી અરજી
રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં સંડોવાયેલા અને હાલ જેલના સળિયા પાછળ રહેલા પૂર્વ ટીપીઓ સાગઠીયાની એસીબી દ્વારા અપ્રમાણસર મિલકતના ગુના મામલે ધરપકડ કરી ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે 10.55 કરોડની વધુ મિલકત મળી આવી હતી. અને આ મિલકત તેમના પત્ની ભાઈ અને પુત્રના નામે પણ વસાવેલ હોવાનું સામે આવતા ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાની શંકાએ એસીબીએ તેઓ વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરતા સાગઠીયાના પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ પોતાના વકીલ મારફત રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.
રાજકોટ શહેર ખાતે બનેલ ટી.આર.પી. ગેમઝોન અગ્નિકાંડ દુર્ઘટનામાં સંડોવાયેલ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર, વર્ગ-1, મનસુખભાઈ ધનાભાઈ સાગઠીયા, વિરૂધ્ધ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલકતની તા.01/04/2012 થી તા.31/05/2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમ્યાન તેઓ દ્વારા વસાવવામાં આવેલ મિલકતોની તપાસ હાથ ઘરવામાં આવેલ હતી. તપાસ દરમિયાન મેળવવામાં આવેલ દસ્તાવેજી પુરાવાઓ તથા બેંક ખાતાઓની વિગતો અને વિવિધ સરકારી કચેરીઓમાંથી મેળવેલ દસ્તાવેજી માહિતી તથા તેમના નાણાંકીય વ્યવહારોની માહિતી એકત્રીત કરવામાં આવેલ હતી. તપાસના અંતે મળેલ તમામ વિગતોનું એ.સી.બી. ના નાણાંકીય સલાહકાર દ્વારા વિશ્લેષણ કરવામાં આવેલ હતું. આક્ષેપીત સાગઠિયાએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના જાહેર સેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી, ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે પોતે ધનવાન થવા માટે, વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી, ભ્રષ્ટાચારથી નાણા મેળવી. તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટીએ ફલિત થયેલ હતું. આક્ષેપીતે પોતાની કાયદેસરની આવક રૂ.2 કરોડ 57 લાખ 17 હજાર 359ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.13 કરોડ 23 લાખ 33 હજાર 323 કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે.
આવકના પ્રમાણમાં સાગઠિયાએ પોતાની કાયદેસરની રૂ.10,55,37,355ની વધુ સંપતિ વસાવેલાનું જણાઈ આવેલ. જે તેઓની આવકના પ્રમાણમાં 410.37 ટકાથી વધુ અપ્રમાણસર મિલકતો છે. જેથી સરકાર તરફે એસીબીના પોલીસ અધિકારીએ ફરિયાદી બની રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ – 1988 (સુધારા- 2018)ની કલમ-13(1)બી, 13(2) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આ પછી એસીબીએ તપાસ કરતા તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયાની 150 રોડ પર આવેલી ટ્વીન સ્ટાર બિલ્ડીંગની ઓફિસમાં ઝડતી કરતા તપાસ દરમિયાન 22 કિલો સોનુ, અઢી કિલો ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.18 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. પરિવારના નામે મિલકતો હોવાથી એસીબીએ તેમની ઉપર પણ સકંજો કસવા તજવીજ કરતા મનસુખ સાગઠિયા પુત્ર કેયુર, પત્ની ભાવનાબેન અને ભાઈ દિલીપભાઈએ આગોતરા જામીન અરજી કરી છે. જેની આગામી મુદ્દત 21 ઓગષ્ટ હોવાનું જાણવા મળ્યું છે.