ભર્તૃહરીના નાના ભાઇ રાજા વિક્રમને લગભગ 2065 વર્ષ થયાં. જેમની સાથે વિક્રમ સંવત સંકળાયેલું છે. `લક્ષ્મી મંત્ર તંત્ર શાસ્ત્ર’માંથી મળતી વિગત અનુસાર વિષ્ણુ અવતારનાં પત્ની લક્ષ્મીદેવીનું પૂજન-અર્ચન કરવા ધનતેરસ અને દીપાવલીનો તહેવાર શરૂ થયો.
દીપાવલી પ્રકાશનું પર્વ ગણાય છે, જાગૃતિનું પર્વ છે, ધનવૈભવની વંદનાનું પર્વ છે, કંગાળિયતને હાંકી કાઢવાનું પર્વ છે, આધ્યાત્મિક પ્રકાશ પ્રાપ્ત કરવાનું પર્વ છે, સ્વયંપ્રકાશ બની જીવતરને અજવાળવાનું પર્વ છે. દુર્ગુણોનો વિનાશ કરી સગુણ, સેવામય જીવન વ્યતીત કરવાનું પર્વ છે. અંતરમાં ઉજાસ પાથરવાનું પર્વ છે. દીવામાંથી દીવો પ્રગટાવવાનું પર્વ છે.
ધનતેરસ
ધનતેરસ એ દીપાવલીનાં પાંચ પર્વોમાંનું પ્રથમ પર્વ છે. આ દિવસે લક્ષ્મીપૂજનનો મહિમા વિશેષ છે, તો સાથે સાથે દીપદાનનું પણ ઘણું મહત્ત્વ છે. સાથોસાથ ધનતેરસના દિવસે દેવોના વૈદ્ય ધન્વંતરીનો જન્મદિવસ છે. દેવો તથા દાનવોના સમુદ્રમંથનના સમયે સંસારના સર્વ રોગોની ઔષધીઓ કળશમાં ભરીને કુંભ સાથે ભગવાન ધન્વંતરી પ્રગટ થયા હતા. દેવોએ તેમનો સ્વીકાર કર્યો હતો. તેથી સમગ્ર ભારતમાં અને ખાસ કરીને આયુર્વેદના જ્ઞાતાઓ તથા વૈદરાજો ભક્તિ-શ્રદ્ધાપૂર્વક તેમનું પૂજન કરે છે અને પ્રસાદ વિતરણ કરી પ્રજાજનો માટે દીર્ઘ આયુષ્ય અને સારા આરોગ્ય માટે મંગલકામનાઓ વ્યક્ત કરે છે.
ધનતેરસ એટલે લક્ષ્મીપૂજનનો દિવસ. ભારતીય સાંસ્કૃતિક પરંપરામાં લક્ષ્મીજીને દેવી સ્વરૂપે ગણ્યાં છે. આ દેવીનું આ દિવસે ધ્યાન ધરી શુભ મુહૂર્તમાં ઘેર ઘેર પૂજન થાય છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી ઐશ્વર્યદાત્રી તરીકે પ્રતિષ્ઠા પામ્યાં પછી ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વિજયલક્ષ્મી અને આઠમું સ્વરૂપ રાજલક્ષ્મી એમ સર્વ સ્વરૂપે તે પૂજનીય ગણાય છે. ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં પ્રત્યેક પરિવારોમાં શ્રીગણેશ સમન્વિત કુબેર-લક્ષ્મી તથા યોગિનીની પૂજા સાથે ચલણી સિક્કા, સોના-ચાંદીના અલંકારોનું પણ પરંપરાગત રીતે પૂજન-અર્ચન કરવામાં આવે છે. તો એક ઉક્તિ અનુસાર ધનતેરસ એ મૂળમાં તો ધણપૂજા એટલે કે પ્રભુપૂજાનો ઉત્સવ હતો. પહેલાંના જમાનામાં પશુ દ્વારા ખેતી થતી અને પશુસંપત્તિ એ મુખ્ય સંપત્તિ ગણાતી. આથી ધનતેરસે ધણપૂજા પણ થતી. ધનતેરસનો મહિમા સાચા અર્થમાં ત્યારે જ સાર્થક થાય, જ્યારે શુદ્ધ નીતિ, ધર્મ અને સદાચારથી ઉપાર્જિત કરેલાં નાણાંની હૃદયથી ભાવપૂજા કરવામાં આવે.
કાળીચૌદશ (નરક ચતુર્દશી)
શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આસો માસની વદપક્ષની 14ના દિવસે શ્રીકૃષ્ણનાં ધર્મપત્ની સત્યભામાએ શ્રીકૃષ્ણના જ સહયોગથી નરકાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને સંસારને તેના ભયમાંથી મુક્ત કર્યો હતો. તેથી આ દિવસને `નરક ચતુર્દશી’ પણ કહેવામાં આવે છે. પુરાણોક્તિ છે કે આ દિવસે તેલમાત્રમાં લક્ષ્મીજી અને જળમાત્રમાં ગંગાજીનો વાસ હોય છે. આ દિવસે સંધ્યા સમયે સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરી, કાળા અને સફેદ એમ બંને પ્રકારના તલ અને દર્ભયુક્ત જળથી યમરાજાનું તર્પણ કરવામાં આવે છે. આ પ્રકારની પૂજાથી શારીરિક સૌષ્ઠવ સાથે દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે.
વિશેષમાં આ દિવસે સંધ્યાકાળે તલના તેલના ચૌદ દીવા પ્રગટાવી, તે દીવાને મંદિર, મઠ, બાગબગીચા અથવા ચાર રસ્તાની જગાએ પ્રસ્થાપિત કરવાથી યમરાજા સંતુષ્ટ થાય છે. એવી પણ માન્યતા છે કે સંધ્યા સમયે જ ચાર દીવેટના દીવા સાથે તેલમાં તળેલાં પાંચ નંગ વડાં (શક્ય હોય ત્યાં સુધી અડદના લોટના) ઘરના પ્રત્યેક સભ્યના માથા ઉપરથી ઉતારીને ચાર રસ્તે મૂક્યા પછી તેની ફરતે પાણીની ધા૨ ક૨વાથી ઘરમાંથી કકળાટ દૂર થઇ ભૂત-પ્રેત, આદિ મલિન તત્ત્વો થકી અને આપણા હિતશત્રુઓ થકી થતી હેરાનગતિથી રક્ષણ મળે છે.
આ શુભ દિને હનુમાનજીની પણ આરાધના કરવામાં આવે છે. આ દિવસે સાયંકાળથી મધ્યરાત્રિ સુધી શ્રી હનુમાનજી, શ્રી મહાકાલી, શ્રી કાળભૈરવ અને શ્રી ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરવાનું પણ એટલું જ માહાત્મ્ય છે. કાળીચૌદસની રાત્રિએ સિદ્ધ કરવામાં આવેલ મંત્ર અને સ્તોત્ર શીઘ્ર ફળદાયી બને છે તેવું શાસ્ત્રોક્ત કથન છે. તો વળી વામમાર્ગી સાધકો માટે આ દિવસ સાધના માટેનો શ્રેષ્ઠ દિવસ છે. નવકાર મંત્રની સાધના આ રાત્રિએ વિશેષ સિદ્ધિદાયક ગણાય છે.
ભાઇબીજ – યમ દ્વિતીયા
આ દિવસે યમદેવને તેમનાં બહેન યમુનાજીએ પૂજન-અર્ચનપૂર્વક ભક્તિ ભાવનાથી જમાડીને પ્રસન્ન કર્યા હતા અને યમદેવે પણ પ્રસન્નતાપૂર્વક બહેનના મનોરથોને પૂર્ણ કરી સર્વ પાપાત્માઓનો પણ ઉદ્ધાર કર્યો હતો.
સ્કંદપુરાણમાં કહેવાયું છે કે, આ દિવસે ભાઇએ પોતાને ઘેર જમવું નહીં, પરંતુ બહેનના હાથનું જ ભોજન જમવું અને બહેનને આ દિવસે ભોજનના અંતે અલંકાર, વસ્ત્ર, અન્ન અને અન્ય દાન-દક્ષિણાથી પ્રસન્ન કરી તેના અંતઃકરણની શુભેચ્છાઓ મેળવવી. આમ કરવાથી ભાઈ પણ શત્રુભયથી મુક્ત બની સુઆરોગ્ય, યશ, પ્રતિષ્ઠા અને કીર્તિ-લક્ષ્મીથી સંપન્ન થઈ જીવનમાં શુભ માર્ગે સફળતા પ્રાપ્ત કરે છે.
જો પોતાની બહેન ન હોય તો મિત્રની બહેનને ત્યાં અથવા જો કોઈ બહેનને પોતાની ધર્મની બહેન માની હોય તો તેને ત્યાં જમવું પણ ઉચિત ગણાય છે. જે સ્ત્રી યમદ્વિતીયા(ભાઈબીજ)ના દિવસે ભાઈને ભોજન કરાવી તેનો સત્કાર કરે છે તેને ક્યારેય વૈધવ્ય આવતું નથી અને એના ભાઇને પણ દીર્ઘ આયુષ્યની પ્રાપ્તિ થાય છે. અજ્ઞાનથી, અજાણતાં, મોહથી, વિદેશમાં વસવાટ હોવાથી, બહેનના અભાવથી કે રોગગ્રસ્તતાના કારણે અથવા અન્ય કોઈ પણ કારણથી જો ભાઇ બહેનને ત્યાં ભોજન ન થઈ શકે તો `યમદ્વિતીયા’ની કથા સાંભળવાથી અથવા તેનું પઠન કરવાથી પણ શાસ્ત્રોક્ત ફળપ્રાપ્તિ અવશ્ય થાય છે.
બહેને પણ આ દિવસે પોતાના વહાલસોયા ભાઈના આયુષ્યની રક્ષા અને અભિવૃદ્ધિ માટે યમરાજની મૂર્તિનું સ્થાપન કરી વિધિવત્ પૂજન કરવું અને માર્કંડેય, બલિ, વેદવ્યાસ, હનુમાન, વિભીષણ, કૃપાચાર્ય અને અશ્વત્થામા તથા પરશુરામ એમ આઠ ચિરંજીવીઓનું સ્મરણ કરી પોતાના ભાઇના દીર્ઘ આયુષ્ય માટે પ્રાર્થના અવશ્ય કરવી. આમ, દીપોત્સવીના પાંચ-પાંચ દિવસનું અનેરું મહત્ત્વ છે, પણ સાથે સાથે શુભ સંકલ્પોનું પણ આ પર્વ છે.
દીપાવલી – દિવાળીનો મહિમા
દીપોત્સવી પર્વનો ત્રીજો દિવસ એટલે કે આસો વદ અમાવાસ્યા એ દીપાવલી કે દિવાળીના નામથી પ્રચલિત છે. બ્રહ્મપુરાણમાં ઉલ્લેખ છે કે દિવાળીની મધ્યરાત્રિએ લક્ષ્મીજી મહારાણીના સ્વરૂપે સદ્ગૃહસ્થોના આવાસોમાં વિચરણ કરે છે. એટલા માટે જ તો પોતાનું ઘર, આંગણું સ્વચ્છ રાખી, સુશોભિત કરી, દીપમાળા પ્રગટાવીને દેવીનું આહ્વાન કરવામાં આવે છે અને આ રીતે શ્રી મહાલક્ષ્મીજીની પ્રસન્નતાને પ્રાપ્ત કરી શકાય છે.
પ્રાચીન કાળથી દીપાવલીના પર્વ દિને ઐશ્વર્યદાયિની શ્રી મહાલક્ષ્મીજી તથા વિદ્યાપ્રદાયિની ભગવતી મા સરસ્વતી અને સર્વશક્તિપ્રદાયિની માતા મહાકાલીના પૂજનની પરંપરા છે. દીપોત્સવી એટલે પ્રકાશ પાથરવાનો તહેવાર. જ્ઞાનરૂપી પ્રકાશનો સ્રોત મા સરસ્વતી છે. સરસ્વતી એટલે મા શારદા. આ દિવસે કરવામાં આવતા ચોપડા પૂજનમાં મા શારદાના પૂજનનું આગવું માહાત્મ્ય છે. જે થકી નૂતન વર્ષમાં વ્યાપાર, વ્યવસાયવૃદ્ધિકારિણી મા લક્ષ્મીજી તથા વિદ્યા અને બુદ્ધિપ્રદાયિની માતા સરસ્વતી અને તન-મન-ધનની શક્તિ આપનારી માતા મહાકાલીની પૂર્ણ કૃપા માટે પૂજન-અર્ચન વિધિ શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે. આ દિવસે લક્ષ્મીજીની ઉપાસના શીઘ્ર ફળ આપે છે. પુરાણોક્ત સિદ્ધિલક્ષ્મી સ્તોત્ર, શ્રી સૂક્ત, મહાલક્ષ્મી સ્તોત્ર, મહાલક્ષ્મી અષ્ટક વગેરેના પાઠ કરવા.
ૐ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હ્રીં શ્રીં ૐ મહાલક્ષમ્યે નમઃ।
ઊપરોક્ત આ મંત્રના યથાશક્તિ જાપ કરવા.
દિવાળીની રાત્રિએ ઘરનાં બધાં સ્ત્રી-પુરુષો-બાળકોની આંખમાં ઘરમાં બનાવેલું કાજળ આંજવું. આ દિવસે બિલાડી ઘરમાં આવે તો ભગાડવી નહીં. અમાવસ્યાની અંધકારમય રાત્રિએ માટીના કોડિયામાં દીવાઓની જ્યોતિ પ્રગટાવી મા લક્ષ્મીજીની સાથે સાથે રિદ્ધિ- સિદ્ધિ સહિત ગણેશજીની ઉપાસના સર્વના હૃદયને પ્રકાશિત કરે છે અને સર્વેને સુખ, સંપત્તિ અને સુરક્ષા પ્રાપ્ત થાય તેવી વૈશ્વિક ભાવનાથી મુખ્યત્વે આ તહેવાર મનાવાય છે.
નૂતન (બેસતું) વર્ષ, ગોવર્ધન પૂજા અને અન્નકૂટ
અમાવસ્યાના પૂજન-અર્ચન પછી વિક્રમ સંવતનો પ્રથમ દિવસ એટલે નૂતન વર્ષ કે બેસતું વર્ષ. આ દિવસ એટલે શ્રી ગોવર્ધન પૂજન અને અન્નકૂટના ઉત્સવનો દિવસ. આ સંદર્ભમાં પૌરાણિક કથાઓ પણ પ્રચલિત છે. ભગવાન શ્રીકૃષ્ણ અને વ્રજવાસીઓએ ઇન્દ્રને બદલે ગિરિરાજ ગોવર્ધનનું પૂજન કર્યું. ઇન્દ્રદેવ કોપાયમાન થયા અને ફળસ્વરૂપ જળપ્રલય થયો. ભગવાન શ્રીકૃષ્ણે પોતાની ટચલી આંગળીથી ગોવર્ધન પર્વત ઉઠાવ્યો અને તમામ વ્રજવાસીઓ તથા ગાયોને ગોવર્ધન હેઠળ આશ્રય આપી બચાવી લીધાં. આ દિવસને બલિ-પ્રતિપદા પણ કહેવામાં આવે છે. ત્રણ પગલાંમાં પૃથ્વી માગી લઇને ભગવાને વામનરૂપે બલિરાજાને પાતાળમાં મોકલી આપ્યો અને પૃથ્વી ઉપર સુરાજ્યની સ્થાપના કરી. ભગવાને તે સમયે વરદાન આપ્યું કે હે દાનવી૨! દર વર્ષે આ દિવસે તમારું પૂજન થશે અને તદાનુસાર સંધ્યા સમયે દૈત્યરાજ બલિનું પૂજન ક૨વામાં આવે છે.
બીજી પ્રચલિત કથા `કાલિકાપુરાણ’ની છે. મા જગદંબાએ કાલિકા સ્વરૂપ ધારણ કર્યું અને ધરતી ધણધણી ઊઠી. મહાકાળ શિવજી પણ કાલિકાનો ક્રોધ શાંત કરવા નીચે નમ્યા અને લજ્જાભાવે મહાકાલીની જીભ બહાર નીકળી ગઇ. તે સંહારક રૂપમાંથી મુક્ત થયાં ત્યારે ચારે તરફ હર્ષોલ્લાસ છવાયો. આમ આસુરી શક્તિ પર દૈવી શક્તિનો વિજય વધાવવા અયોધ્યાવાસીઓએ દીપમાળા પ્રગટાવી ઉત્સવ મનાવ્યો હતો. વિશેષમાં અન્નકૂટનો અનેરો અવસર પણ આ સાથે જ જોડાયેલ જોવા મળે છે. વિવિધ વૈવિધ્યસભર વાનગીઓ બનાવી ભાવપૂર્વક પ્રભુચરણે ધરવાનો અવસર એટલે અન્નકૂટનો અવસ૨. સરસ ભોજનના થાળ પ્રભુચરણે ધરી ઇષ્ટદેવની કૃપા થકી નૂતન વર્ષમાં ધન અને ધાન્યથી સૌ સંપન્ન રહે તેવી મનોકામના આ ક્ષણે પરમાત્મા પ્રત્યે વ્યક્ત કરવામાં આવે છે.
નૂતન વર્ષના મંગલ પ્રારંભે જનસમુદાય વહેલી સવારે ઊઠીને નિત્યકર્મથી પરવારી પોતાનાં ઇષ્ટ દેવી-દેવતાની આરાધના, પૂજન-અર્ચન વગેરે કરી, પરમાત્માના શુભ આશીર્વાદ મેળવ્યા પછી પોતાનાં માતા-પિતા, વડીલવર્ગ, ગુરુજન, સગાંસંબંધીઓ, સ્નેહીઓ, શુભેચ્છકો અને મિત્રોને મળીને આશીર્વાદ અને શુભેચ્છાઓ યાચે છે.


