- શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે અંબાજી
- આનંદ ગરબા પરિવાર દ્વારા અખંડ ધૂન યોજાશે
- ભકતોનુ ઉમટશે ઘોડાપુર
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની ઉજવણી 12 ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે શરુ થનાર છે. પરિક્રમા મહોત્સવને લઈ આ વખતે ખૂબ જ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યુ છે. પરિક્રમા મહોત્સવ માટે રાજ્ય અને દેશમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ માટે ST વિભાગે પણ પરિવહનની વ્યવસ્થાનું આયોજન કર્યુ છે.
ભકતોમાં આનંદો
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે.અંબાજી મંદિર થી 3 કીમી દૂર ગબ્બરના પહાડ આસપાસ 51 શક્તિપીઠ નું લોકાર્પણ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં કરવામાં આવ્યું હતુ.વર્ષમાં એકવાર ફેબ્રુઆરી મહિનામા ગબ્બર ખાતે પાટોત્સવ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે પાંચ દિવસનો પરિક્રમાં મહોત્સવ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ઊજવાશે.
ક્રાર્યક્રમની રૂપરેખા
પરિક્રમા મહોત્સવમાં પાંચ દિવસના અલગ અલગ કાર્યક્રમોની શરૂઆત કરાશે.પરિક્રમા મહોત્સવમાં ચામર યાત્રા, મશાલ યાત્રા,જ્યોત યાત્રા સહિત અનેક કાર્યક્રમો ગબ્બર ખાતે યોજાશે.750 જેટલી બસો દ્વારા તમામ ભક્તોને વિના મુલ્યે એસટી સુવિધા દ્વારા 5 દીવસ લાવવામાં આવશે. અંબાજી ખાતે પાંચ દિવસ માઈ ભક્તોને વિનામૂલ્યે ભોજન આપવામાં આવશે અને રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ જૂની કોલેજ અંબાજી ખાતે યોજાનાર છે. અંબાજી ખાતે આવનાર માઈ ભક્તો ગબ્બર પરિક્રમા મહોત્સવમાં જવા માટે અલગ અલગ હંગામી બસ સ્ટેન્ડ પણ ઊભા કરવામાં આવ્યા છે.
ST દ્વારા 750 બસ દોડાવાશે
આ દરમિયાન અંબાજીને જોડતા રુટ પર દૈનિક 750 બસ દોડાવવામાં આવશે. આ માટે પાંચ દિવસ માટે હિંમતનગર, મહેસાણા અને પાલનપુર સહિતના એસટી વિભાગ દ્વારા વિશેષ બસ દોડાવવામાં આવશે. જે ઉત્તર ગુજરાત અને અમદાવાદ, ગાંધીનગરના જોડતા રુટ સહિતની બસ દોડાવવામાં આવશે. જેને લઈ શ્રદ્ધાળુઓ પરિક્રમા મહોત્સવમાં આવવા જવા માટે સરળતા અનુભવશે.ભાદરવી મેળાની જેમ જ એસટી વિભાગ દ્વારા વિશેષ સગવડતા ઉભી કરીને એસટીની બસોના રુટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણા વિસ્તારમાંથી 80 બસો દોડાવવામાં આવનાર છે.


