- પદવીદાન સમારંભ માટે એક માસ પહેલાં લેખિતમાં વિનંતી મોકલી હતી
- અમિત શાહની હાજરીને લઈને પદવીદાન સમારંભની તારીખ લંબાય તેવી શક્યતા
- યુનિવર્સિટીના સંચાલકોમાં અમિત શાહના જવાબની આતુરતાથી પ્રતિક્ષા
સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભમાં હાજરી આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મંજૂરી હજુ મળી નથી. તેથી આ વખતે તા. 15 ડિસેમ્બરના રોજ પદવીદાન સમારંભ યોજાશે કે કેમ ? તે હજુ અનિશ્ચિત છે. સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ યુનિવર્સિટીના સ્થાપના દિન દર વર્ષે એટલે કે તા. 15 ડિસેમ્બરના રોજ ઉજવવાનો સિલસિલો ચાલ્યો આવે છે. ભાગ્યે જ કોઈવાર આમાં વિલંબ થયો છે. પણ આ વખતે અમિત શાહની હાજરીને લઈને યુનિવર્સિટીના પદવીદાન સમારંભની તારીખ લંબાય તેવી શક્યતા છે.
આધારભૂત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ અમિત શાહની મંજૂરી માટે યુનિવર્સિટી તરફથી લેખિત જાણ કર્યાને એક માસ ઉપરાંતનો સમય વીતવા આવ્યો છે. છતાં તેમના તરફથી હજુ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી તેથી સંચાલકો મુંજવણમાં મૂકાયા છે. બીજી બાજુ આ વખતે યુનિવર્સિટીના સત્તાધીશો વર્ષો જૂનો સિલસિલો તોડીને પણ અમિત શાહની હાજરીનો આગ્રહ રાખી રહ્યા છે. જોકે, હમણાં સુધી પાંચ રાજ્યોની ચૂંટણી સહિતની અન્ય જવાબદારીના બોજમાં રહેલા અમિત શાહ સરદાર પટેલ યુનિવર્સિટીને તેના પદવીદાન સમારંભમાં હાજરી આપવા માટે તારીખ ફાળવી શક્યા નથી. આના કારણે પદવીદાન સમારંભ બાબતે હજુ અનિશ્ચિતતા પ્રવર્તે છે.
ઉલ્લેખનીય છે કે બે વર્ષ અગાઉ 2021ના વર્ષમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતાના કારણે સરદાર પટેલ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભમાં દસેક દિવસોન વિલંબ થયો હતો. હવે આ વખતે અમિત શાહની હાજરીના આગ્રહના કારણે વિલંબ થવાની શક્યતા છે.
અમિત શાહની હાજરીથી કોને લાભ થશે ? તેની પાછળ પણ રાજકીય રહસ્ય
અમિત શાહની હાજરીથી કોને ફાયદો થાય એમ છે, તે સમજદારો સમજી ગયા છે. પણ અત્યારે તો અન્ય કોઈ લેખાંજોખામાં પડયા વિના યુનિવર્સિટીના સંચાલકો અમિત શાહના જવાબની આતુરતાથી પ્રતિક્ષા કરી રહ્યા છે. આની પાછળ રાજકીય રહસ્ય હોવાનું પણ કહેવાય છે.
15 ડિસેમ્બરના એક અઠવાડિયા અગાઉ મંજૂરી મળે તો પણ તૈયારી કરી દઈશું : ઈન્ચાર્જ કુલપતિ
ગૃહમંત્રી અમિતભાઈ શાહને પદવીદાન સમારંભમાં હાજરી આપવા વિનંતી કરવામાં આવી છે. પદવીદાન સમારંભના એક અઠવાડિયા અગાઉ પણ તેઓ મંજૂરી આપે તો તૈયારી કરી શકાય એમ છે. જો તેઓ 15 ડિસેમ્બર માટે મંજૂરી ન આપે તો એની તારીખમાં થોડો ફેરફાર થશે.


