ચૈત્રી નવરાત્રિમાં નવે દિવસ દૈવી શક્તિનાં જુદાં-જુદાં નવ રૂપોની આરાધના કરવામાં આવે છે. રૂપ ગમે તે હોય, પરંતુ દૈવી શક્તિ તો એક જ છે. જે જગતજનની છે, પરંતુ માતા શક્તિનાં જુદાં-જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તે અલગ-અલગ નામે પૂજાય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ગણીએ તો આ નવરાત્રિ માર્ચ-એપ્રિલમાં આવતી હોય છે.
નવરાત્રિ આહ્વાન છે, શક્તિની શક્તિઓને જગાડવાનું. જેનાથી આપણા ઉપર દેવીશક્તિની કૃપા ઊતરે અને આપણે બધાં જ સંકટો, રોગો, શત્રુઓ, પ્રાકૃતિક આફતો જેવાં કષ્ટોથી બચી શકીએ. શારીરિક તેજમાં વૃદ્ધિ થાય, મન નિર્મળ થાય તથા આત્મિક, દૈવીકારક, ભૌતિક શક્તિઓનો લાભ મળી શકે.
ચૈત્રી નવરાત્રિમાં મા ભગવતી જગતજનનીનું સ્મરણ કરીને દુષ્ટાત્માઓનો નાશ કરવા માટે દેવીને જગાડવામાં આવે છે. પ્રત્યેક નર-નારીઓ કોઈ ને કોઈ રીતે અને ક્યાંક ને ક્યાંક દેવી ઉપાસના કરે જ છે. ભલે પછી તે વ્રત રાખે, મંત્રજાપ કરે, અનુષ્ઠાન કરે કે પોતાની શ્રદ્ધા-ભક્તિ અનુસાર કર્મ કરતા રહે. જોકે, માના દરબારમાં ચૈત્રી અને આસો માસમાં આવનારી શારદીય નવરાત્રિની ધૂમ રહે છે. સૌથી વધારે આસો માસમાં ઠેર-ઠેર ગરબાની અને દેવીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે.
ચૈત્રી નવરાત્રિમાં ઘરોમાં દેવીની પ્રતિમા અને ઘટ સ્થાપન કરવામાં આવે છે. આ દિવસથી નવ વર્ષની બેલા શરૂ થાય છે. આ નવરાત્રિ અનુષ્ઠાન, હવન વગેરે કરવા માટેનું પર્વ છે. દરેક જણ મા શક્તિ પોતાનાં દુ:ખ અને તમામ કષ્ટ હરી લે તે માટે શ્રદ્ધાપૂર્વક દૈવિક સાધના કરે છે. કોઈ પોતાના શત્રુથી છુટકારો મેળવવા માટે મા બગલામુખીના જાપ-હવન વગેરે કરે છે. કોઈ મહાકાળીની ઉપાસના કરે છે, તો કોઈ નવદુર્ગાની ઉપાસના કરે છે. ગમે તેમ પણ કોઈ ને કોઈ રૂપમાં પૂજા તો દેવીની જ થાય છે.
નવરાત્રિની કથા
પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં દુર્ગમ નામના એક રાક્ષસે કઠોર તપ કરીને બ્રહ્માજીને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી વરદાન મેળવ્યા પછી તેણે ચારેય વેદ અને પુરાણોને લઈને ક્યાંય સંતાડી દીધાં. જેને કારણે સમગ્ર સંસારમાં વૈદિક કર્મ બંધ થઈ ગયાં. જેના લીધે ચારે તરફ ઘોર અંધકાર છવાઈ ગયો. દુષ્કાળ પડ્યો, વૃક્ષ-છોડ તથા નદી-નાળાં સુકાવા લાગ્યાં. ચારે તરફ હાહાકાર મચી ગયો. જીવ-જંતુ મરવા લાગ્યાં. સૃષ્ટિનો વિનાશ થવા લાગ્યો. સૃષ્ટિનો વિનાશ થતો અટકાવવા માટે દેવતાઓએ વ્રત રાખીને નવ દિવસ સુધી માતા જગદંબાની આરાધના કરી. માતા તેમના પર પ્રસન્ન થયાં ત્યારે દેવતાઓએ તેમને સૃષ્ટિને બચાવવાની વિનંતી કરી. પછી માતા ભગવતી અને દુર્ગમ વચ્ચે ઘમસાણ યુદ્ધ થયું. માતા ભગવતીએ દુર્ગમનો વધ કરીને દેવતાઓને નિર્ભય કર્યા અને સૃષ્ટિને પણ બચાવી. ત્યારથી નવદુર્ગા તથા નવરાત્રિની શરૂઆત થઈ.
નવદુર્ગાનાં નવ સ્વરૂપ
દેવીનું રૂપ ગમે તે હોય, મૂળે તો તેઓ એક જ છે, પરંતુ માતા શક્તિએ જુદાં જુદાં રૂપ લઈને કરેલાં કાર્યોને કારણે તેઓ અલગ-અલગ નામે પૂજાય છે.
1. શૈલપુત્રી : માર્કંડેય પુરાણમાં જણાવ્યા અનુસાર ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે માતા દુર્ગાના પહેલા સ્વરૂપ એવાં શૈલપુત્રીની પૂજા-આરાધના કરવામાં આવે છે. પૂર્વજન્મમાં તેઓ પ્રજાપતિ દક્ષને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. ત્યારે તેમનું નામ સતી હતું. પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મવાને કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું હતું. તેમનું વાહન વૃષભ (બળદ) છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. માતા શૈલપુત્રીનું પૂજન કરવાથી મૂલાધાર ચક્ર જાગ્રત થાય છે.
2. બ્રહ્મચારિણી : નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ સંપૂર્ણ જ્યોતિર્મય અને પ્રભાવશાળી છે. તેમના જમણા હાથમાં માળા તથા ડાબા હાથમાં કમંડળ છે. તેઓ પૂર્વજન્મમાં પર્વતરાજ હિમાલયને ત્યાં પુત્રીરૂપે જન્મ્યાં હતાં. દેવર્ષિ નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શંકરને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ દુષ્કર તપસ્યાને કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણીના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવાથી સ્વાધિષ્ઠાન ચક્ર જાગ્રત થાય છે.
3. ચંદ્રઘંટા : મા દુર્ગાના ત્રીજા સ્વરૂપનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે માતાજીના આ સ્વરૂપનું પૂજન ખૂબ જ કલ્યાણકારી છે. તેમના માથા પર ઘટના આકારનો અર્ધચંદ્રકાર છે, તેથી તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમનું સ્વરૂપ સુવર્ણ સમાન અને દસ હાથ છે. દસ હાથમાં બાણ, ખડગ, ગદા સહિત અનેક અસ્ત્ર સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે. તેમની મુદ્રા યુદ્ધ માટે તત્પર હોય તેવી છે. તેમની આરાધના કરવાથી મણિપુર ચક્ર પ્રવિષ્ટ થાય છે.
4. કુષ્માન્ડા : માતા દુર્ગાનું ચોથું સ્વરૂપ કુષ્માન્ડાનું છે. તેમનું પૂજન નવરાત્રિના ચોથા દિવસે કરવામાં આવે છે. બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે તેમને કુષ્માન્ડા તરીકે ઓળખવામાં આવે છે. તેમને આઠ ભુજાઓ છે, તેથી અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમના સાત હાથમાં કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃત ભરેલો કળશ, ચક્ર તથા ગદા છે. જ્યારે તેમના આઠમા હાથમાં અષ્ટ સિદ્ધિ અને નવ નિધિઓ આપનારી જપમાળા છે. માતા કુષ્માન્ડાની આરાધના કરવાથી અનાહત ચક્ર જાગૃત થાય છે.
5. સ્કંદમાતા : માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતાનું પૂજન નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે. સ્કંદ કુમાર કાર્તિકેયની માતા હોવાના કારણે માતા દુર્ગાનું પાંચમું સ્વરૂપ સ્કંદમાતા તરીકે ઓળખાય છે. માતાજીના ખોળામાં સ્કંદજી બાળસ્વરૂપે બેઠા હોય છે. તેમની ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજાથી ભગવાન સ્કંદને પકડેલા છે અને ડાબી બાજુની નીચલી ભુજા જે ઉપરની તરફ ઊઠેલી છે, તેમાં તેમણે કમળનું પુષ્પ પકડેલું છે. તેમનું વાહન સિંહ છે. તેઓ હંમેશાં કમળ પર બિરાજે છે. નવરાત્રિના પાંચમા દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં હોય છે.
6. કાત્યાયની : નવરાત્રિના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની આરાધનાનું વિશેષ મહત્ત્વ છે. પ્રસિદ્ધ ઋષિ કાત્યાયને માતાજીની કઠોર તપસ્યા કરીને માતાજીને પ્રસન્ન કર્યાં હતાં. થોડા સમય પછી જ્યારે મહિષાસુર રાક્ષસનો અત્યાચાર વધી ગયો ત્યારે તેનો વિનાશ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે પોતાનાં તેજ અને અંશ વડે દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને તેમની પૂજા કરી, તેથી તેઓ કાત્યાયની તરીકે ઓળખાયાં. તેમનો વર્ણ સુવર્ણ સમાન ચમકદાર છે. તેમને ચાર ભુજાઓ છે. જેમાં જમણી બાજુની ઉપરની ભુજા અભય મુદ્રામાં અને નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી તરફની ઉપરની ભુજામાં તલવાર અને નીચેની ભુજામાં કમળનું પુષ્પ ધારણ કર્યું છે. તેમનું વાહન સિંહ છે. આ દિવસે સાધકનું મન આજ્ઞાચક્રમાં સ્થિત હોય છે.
7. કાલરાત્રિ : નવરાત્રિના સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે, જ્યારે નીચેનો હાથ અભય મુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતુ હોય, પરંતુ તે હંમેશાં શુભ ફળદાયક છે. ભગવતી કાલરાત્રિનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે.
8. મહાગૌરી : માતા દુર્ગાની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે. તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર (સફેદ) છે. તેમના જમણા હાથની ઉપરની ભુજા અભય મુદ્રામાં છે, જ્યારે નીચેની ભુજામાં ત્રિશૂળ છે. ડાબા હાથની ઉપરની ભુજામાં ડમરું અને નીચેની ભુજા વરની શાંત મુદ્રામાં છે. પર્વતરૂપમાં તેમણે ભગવાન ભોળાનાથને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી. જેના કારણે તેમના શરીરનો વર્ણ કાળો થઈ ગયો હતો, પરંતુ શિવજીના આશીર્વાદથી તેમનો વર્ણ ગૌર થઈ ગયો અને તેમનું નામ ગૌરી પડી ગયું. મહાગૌરીની પૂજા-આરાધનાથી સોમચક્ર જાગ્રત થાય છે.
9. સિદ્ધિદાત્રી : માતા દુર્ગાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રી છે. માર્કેંડેય પુરાણ અનુસાર અણિમા, મહિમા, ગરિમા, લધિયા, પ્રાપ્તિ, પ્રકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ પ્રકારની સિદ્ધિઓ હોય છે. માતા સિદ્ધિદાત્રીને આઠ ભુજાઓ છે. તેમનું વાહન સિંહ છે. તેઓ કમળના પુષ્પ પર બિરાજે છે. તેમના જમણા હાથની નીચેની ભુજામાં ચક્ર અને ઉપરની ભુજામાં ગદા તથા ડાબી તરફની નીચેની ભુજામાં શંખ અને ઉપરના હાથમાં કમળપુષ્પ છે. નવરાત્રિના નવમા દિવસે તેમની પૂજાને શુભ માનવામાં આવે છે. ભગવતી સિદ્ધિદાત્રીનું ધ્યાન કરવાથી નિર્વાણચક્ર જાગ્રત થઈ જાય છે.