આસંસારમાં કોઈનું પણ જ્ઞાન અખંડ નથી રહી શકતું. ક્યારેક વધે છે, ક્યારેક ઓછું થઈ જાય છે. કર્મના વિષયમાં પણ આ સિદ્ધાંત એટલો જ સ્વીકારવામાં આવે છે કે આપણાં કર્મ પણ ક્યારેક ખૂબ જ શુભ તરફ જાય છે અને ક્યારેક જાણવા છતાં પણ અશુભ તરફ ગતિ કરે છે. કોઈએ પૂછ્યું છે કે ક્યારેક-ક્યારેક રસ ઓછો કેમ થઈ જાય છે? પહેલાં જે રસ બહુ જ આવતો હતો, એ હવે થોડો ઓછો થતો જાય છે, તો ક્યારેક વધી જાય છે! ભક્તિની યાત્રા તૈલધારાવત્ અખંડ નથી હોતી.
આ ભક્તિની ગતિ જ એવી છે. કીર્તન-ભક્તિમાં આગળ-પાછળ જવું આવશ્યક છે. થાંભલાની માફક લોકો સ્થિર નથી રહી શકતા. `કબહુંક ફિરિ પાછેં પુનિ જાઈ.’ એ ભક્તિની ગતિ છે, પરંતુ પ્રશ્ન એ છે કે રસ કેમ ઓછો થાય છે? આપણે સંસારીએ છીએ એટલે આટલો બધો પ્રેમરસ પિવડાવ્યા પછી પણ ક્યારેક ક્યારેક આપણા જીવનમાં બીજા રસનું પ્રાધાન્ય થઈ જાય છે! ક્યારેક પ્રતિષ્ઠાનો રસ પામવાની ઈચ્છા થાય છે. આપણી રુચિ ક્યારેક-ક્યારેક બીજા કોઈ રસમાં ચાલી જાય છે અને મન આપણને બહુ જ ફોસલાવે છે! મનથી બહુ જ સાવધાન રહેવું. મન ખૂબ જ ચાલાક છે.
શાસ્ત્રોમાં પાંચ કારણ દર્શાવવામાં આવ્યાં છે કે શા માટે આપણું મન ક્યારેક શુભ ગતિનું વિચારે છે? કેમ ક્યારેક વિપરીત ગતિનું વિચારે છે? કેમ આપણી જ્ઞાનધારા અખંડ નથી રહેતી? શા માટે વિષયનો વાયુ આપણા જ્ઞાનદીપને વારંવાર બુઝાવી નાખે છે? શા માટે આ વિષય દેવતા આપણી ઈન્દ્રિયોનાં દ્વાર ખોલી નાખે છે અને વિષય જ્ઞાનનો આપણો બોધ શા માટે બુઝાતો હોય એવું લાગે છે?
મારા દેશના ઋષિઓએ એનાં પાંચ કારણો દર્શાવ્યાં છે. ઘણા બધા શ્રોતાઓની આ અનુભૂતિ છે. ઘણા લોકો કથામાં પાગલ હતા! પરંતુ એવા શ્રોતાઓ પણ મારી પાસે આવીને રડવા લાગે છે કે બાપુ, પહેલાં હતી એવી મસ્તી ચાલી ગઈ, એનું કારણ શું? હું તો એટલું જ કહું છું, હરિભજનના ભોગે કોઈ પ્રવૃત્તિ ન કરો. બધી પ્રવૃત્તિ કરો, પરંતુ હરિભજનનો ભોગ ન લેવાવો જોઈએ. જ્ઞાન અખંડ નથી રહેતું, એનું પહેલું અવરોધક પરિબળ દર્શાવવામાં આવ્યું છે એનું નામ છે લય. લય થવો. ક્યારેક ક્યારેક એવું થવા લાગે છે કે કેટલી કથા સાંભળવી? ક્યાં સુધી સાંભળવી? અથવા તો બીજા કોઈ તમને એમ કહેશે કે ક્યાં સુધી સાંભળશો? ક્યાં સુધી આ વાણીવિલાસમાં ડૂબશો? એવા પ્રશ્નો આવે છે અને પછી માણસ લયમાં ચાલ્યો જાય છે. માણસ જીરો થવા લાગે છે.
રસભંગનું બીજું કારણ છે કર્મગતિ વિપરીત હોય. જ્ઞાન અખંડ ન હોય એનું બીજું કારણ છે વિક્ષેપ. તમે પૂજા કરવા બેસો અને ફોનની ઘંટડી વાગે! પૂજાને ગૌણ ગણીને આપણે ફોન લઈ લઈએ છીએ! આપણે તો સંસારી માણસો, કોઈ જરૂરી ફોન હોય તો શું ખબર? આલોચનાના સ્તર પર નથી કહેતો, પરંતુ એને વિક્ષેપ તો સમજવો જ સમજવો. તમે બિલકુલ પ્રભુના પ્રેમમાં મસ્ત થવાની તૈયારીમાં હશો ત્યારે જ કોઈ એવું આવશે કે એને તમે નકારી પણ નથી શકતા અને દિલથી આવકાર પણ નથી આપી શકતા! અને તમારે તમારી મસ્તીમાંથી બહાર નીકળવું પડશે. એ વિક્ષેપ છે.
રસ ઓછો થતો હોય, તમારી પાસે આવીને કોઈ વિક્ષેપ કરતું હોય, તો પહેલો ટેસ્ટ કરો કે એ સત્ય છે? બીજાે ટેસ્ટ એ કે એ સારું છે કે ખરાબ છે? અને ત્રીજો મહત્ત્વનો ટેસ્ટ કે આપણા માટે એની ઉપયોગિતા છે? સાધકને જો રસને તૈલધારાવત્ રાખવો હોય, જ્ઞાનના દીપને એમ જ અખંડ જલતો રાખવો હોય અને કર્મની ગતિને સમ્યક્ રાખવી હોય, તો વિક્ષેપ આવે ત્યારે ટ્રિપલ ફિલ્ટર ટેસ્ટ કરો. તો વારંવાર વિક્ષેપ આવવો એ આપણી ગતિ માટે બાધક છે. વિનોબાજીનું એક સૂત્ર છે, સહચિંતન થવું જોઈએ, પરંતુ સહચિંતન એવું થવું જોઈએ, જે નિત નૂતન હોય. આજનો યુવાન રોજ નવું ઈચ્છે છે અને પરમાત્મા રોજ નવા છે. ભક્તિ રોજ નવી છે. સહચિંતન કરો.
ત્રીજું જે અવરોધક બળ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે એનું નામ છે કષાય. અમુક પ્રકારની વિકૃતિઓ આવવા લાગે છે. તમે શ્રવણ કરો તો કદાચ ઊંઘ આવી જાય, પરંતુ નૃત્ય જુઓ તો ઊંઘ નથી આવતી. અલબત્ત, એમાં અપવાદ હોઈ શકે છે! અને એનાથી પણ વધારે ખતરો છે સ્મરણમાં. કેટલાક લોકો કહે છે, બાપુ, `હનુમાન ચાલીસા’નો પાઠ કરવા બેસીએ છીએ, સ્મરણ કરીએ છીએ ત્યાં જ ઊંઘ આવી જાય છે! એમાં ખતરો છે. એ બધી વિકૃતિઓ છે. આપણા સૌની આ દશા છે. લોભનો વિચાર આવ્યો, ક્રોધ આવી ગયો, એ બધા કષાય છે. ચોથું વિઘ્ન છે પ્રતિપથ. આ બધા શાસ્ત્રીય શબ્દો છે. શ્રાવણ મહિનો છે, તો ઘરમાં બેસીને મૌન રાખું કે હરિદ્વાર જાઉં? એ જે ડામાડોળ સ્થિતિ છે એને પ્રતિપથ કહે છે. તીર્થમાં જઈને જપ કરું? અનુષ્ઠાન કરું? પછી પણ એક બીજો પ્રશ્ન ઊઠશે કે અયોધ્યા જાઉં કે ઋષિકેશ જાઉં? નાથદ્વારા જાઉં કે જગન્નાથ જાઉં? દ્વારકા જાઉં કે કેદરનાથ જાઉં? એ જે ડામાડોળતા છે એને પ્રતિપથ કહેવામાં આવે છે. એ આપણી ધારાને વારંવાર ચડાવ-ઉતારમાં નાખે છે. પાંચમું અને છેલ્લું અવરોધક તત્ત્વ છે સ્વાદાનુભૂતિ. ત્યાં લખ્યું છે, સ્વાદાનુભૂતિ આપણા રસને તોડે છે. સ્વાદ પ્રત્યે રુચિ એ આપણું વિઘ્ન છે. બીજું, સારાં દૃશ્યો જોવાં એ પણ વિક્ષેપ છે અને ત્રીજું, સારાં આભૂષણો-વસ્ત્રાલંકારોમાં સ્વાદ એ પણ રસ ઓછો કરનારું, વિક્ષેપ નાખનારું તત્ત્વ છે. હવે અહીં હું આ ત્રણેયમાં સહમત નથી થઈ શકતો.
આજે આપણી સામે જે ભોજન આવ્યું છે, એને ઠાકોરજીને અર્પણ કરીને પૂરો સ્વાદ લો, પરંતુ એવું કાલે પણ મળે એવી કામના છોડી દો. આજે પરમાત્માએ મોકો આપ્યો છે તો ઘરમાં આભૂષણ છે, અલંકાર છે, સારાં વસ્ત્રો છે. વેશમાં સાત્ત્વિકતા હોવી જોઈએ. ધર્મગુરુનો વેશ પણ સાત્ત્વિક અને સાદગીપૂર્ણ હોવો જોઈએ. રાજનેતાઓનો વેશ પણ સાત્ત્વિક અને સાદગીભર હોવો જોઈએ.
તો આભૂષણ પહેરવાં પરંતુ તુલસી કહે છે, ઠાકુરને નિવેદિત કરીને પહેરવાં. અલંકાર દીક્ષિત થઈ જશે. શાસ્ત્ર કહે છે કે સારાં દૃશ્યો જોઈને એનો સ્વાદ ન લેવો. તો શું સારાં દૃશ્યો જોવા નહીં? સારાં નાટક હોય, જે પ્રેરણાદાયી નાટક હોય તો એવાં નાટક જોવાની મનાઈ હું ન કરી શકું. હું યુવાનોને મનાઈ નથી કરતો કે તમે ફિલ્મ ન જુઓ. સ્વાદ જરૂર લો, પરંતુ બુદ્ધિ બગડે એવું કામ ન કરો. જેનાથી ચરિત્ર વિકૃત થાય એવાં ચલચિત્ર ન જોવાં, પરંતુ જેનાથી રામ જેવા થવાની પ્રેરણા મળતી હોય તો એવાં ચલચિત્રો જોવાં એ કંઈ ખરાબ નથી.