ભગવાન મહાવીર પ્રભુના સમયમાં બનેલી આ એક ઘટના છે. ભગવાન મહાવીર પ્રભુના પરમ ઉપાસક શ્રોણિક રાજા હતા. એમને ઘણી રાણીઓ હતી અને એ રાણીઓને દીકરાઓ પણ ઘણા હતા. શ્રોણિક રાજાએ જેમને જે આપવાનું યોગ્ય લાગેલું એ એમને આપી દીધું હતું. એ પછી ઘટના એવી બની કે એનો એક દીકરો કુણિક નામનો હતો. એણે બળવો કરીને શ્રોણિક રાજાને પદભ્રષ્ટ કરીને પોતે રાજા બની ગયો. શ્રોણિક રાજાને બંદીવાન બનાવીને એમને કારાગૃહમાં નાખેલા.
હવે એ સમયે એના બીજા નાના ભાઈઓ હલ્લ ને વિહલ્લ હતા. શ્રોણિક રાજાએ એમને એક હાથી ભેટ આપેલો. એ હાથી વિશિષ્ટ હતો. એના ઉપર બેસીને નગરમાં ફરવા નીકળો તો સ્વાભાવિક જ તમને ગર્વની લાગણી થયા વગર ન રહે, એવો એ હાથી.
એક દિવસ ઘટના એવી બનેલી કે હલ્લ અને વિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને નગરના રાજમાર્ગ ઉપર ફરી રહેલા હતા. કુણિક રાજાને પદ્માવતી નામની પટરાણી હતી. એના ઉદરમાં એક દીકરાએ આવીને પોતાનું સ્થાન નિયત કરેલું હતું. એ સમયની એક માન્યતા એવી હતી કે સગર્ભાવસ્થામાં જે સ્ત્રી હોય એની ઇચ્છા પૂરી કરવા પ્રયત્ન કરવો જોઈએ. આ પદ્માવતીએ હલ્લ-વિહલ્લને હાથી ઉપર બેસીને ફરતા જોયા. તેના પેટમાં તેલ રેડાયું. ગમે તે કરો, પણ આ હાથી મારે જોઈએ જ.
એણે તો રિસાવાનું ચાલુ કરી દીધું. એ સમયે એક કોપભવન રહેતું. રિસાયેલા માણસોને રહેવાનું સ્થાન. એ સ્થાનમાં એ તો પહોંચી ગઈ. કુણિકને સમાચાર પહોંચ્યા. પદ્માવતીને મનાવવાનો એણે પ્રયાસ કર્યો. પદ્માવતીની વાત તો એક જ છે કે મને સેચનક હાથી જોઈએ. મને સેચનક ઉપર બેસીને નગરયાત્રા કરવાનો ભાવ થયો છે, પણ જ્યારે પદ્માવતીનો પ્રકોપ જોયો ત્યારે એને પણ થયું હવે સેચનક વગર નહીં ચાલે. જોકે, આ પહેલાં એણે એકવાર સમાચાર તો પહોંચાડેલા કે રાજ્યમાં જે કોઈ સારી ચીજ હોય એનો માલિક તો રાજા જ હોય અને સેચનક હાથી તારા ઘરમાં શોભે એના કરતાં રાજ્યના પટ્ટહસ્તી તરીકે વધારે શોભે, પણ પછી એ વાત આગળ વધેલી નહીં.
હવે જ્યારે પદ્માવતીની ઇચ્છાની વાત આવી ત્યારે એની ગંભીરતા થોડી વધી ગઈ.
રાજા કુણિકે તરત જ પોતાના એક દૂતની સાથે સમાચાર મોકલ્યા કે રાજ્યની અમાનત રાજ્યને આપી દેવી જોઈએ અન્યથા લડવા માટે તૈયાર રહેવું.
દૂતનું કામ તો કેવું હોય! માલિકનો આદેશ પાલન કરવાનો હોય, યોગ્યાયોગ્યનો વિચાર કરવાનો કોઈ અર્થ ન હોય. એ તો હલ્લ-વિહલ્લ પાસે ગયો. જઇને રાજાની વાત નિવેદન કરી અને જવાબની રાહ જોઈને સામે ઊભો રહ્યો. હવે આ બેય ભાઈઓને જવાબ તો આપવો જ પડે. સમગ્ર રાજ્યનો માલિક એ છે એટલે જો હાથી આપવાનો ન હોય તો હવે અહીં રહેવામાં જોખમ છે અને અપાય કેવી રીતે? આ હાથી તો પિતાજીએ કેટલા બધા સમય પહેલાં મને આપેલો છે. મારે એને આપી દેવાનો! આ તો ક્યાંનો ન્યાય?
એમણે વિચાર કરીને જવાબ આપ્યો. આવતી કાલની સવાર સુધીમાં હું આનો નિર્ણય કરી લઈશ. દૂતને તો રવાના કર્યો, પણ હવે શું કરવું?
આપવાનો તો કોઈ પ્રશ્ન જ નથી ઊભો થતો. તો પછી એની સામે પડવામાં પણ કંઇ સાર દેખાતો નથી, કારણ કે એ બળવાન છે. એનું સૈન્ય પણ વિશાળ છે. એની સામે પડવામાં આપણે કંઈ પણ મેળવી શકવાના નથી, તો જો અહીં જ રહેશું તો આ હાથી આપણે રાખી શકવાના નથી. વધારે સારું તો એ છે કે આપણે અત્યારે જ અહીંથી રવાના થઈ જવું જોઈએ. એક દૂત મારફત એણે સમાચાર મોકલી આપ્યા કે સેચનક હાથી પિતાજીએ મને આપેલો છે એ કંઈ કોઈને આપવા માટે નહીં.
હલ્લ અને વિહલ્લ બંને ભાઈઓ વૈશાલી નગરીમાં પહોંચ્યા. ત્યાંના રાજા ચેટક એમના નાના થતા હતા. એમની પાસે આશ્રય માંગ્યો. પોતાની ઘટના અતિથી ઇતિ કહી સંભળાવી. ચેટક રાજાએ કહ્યું, ચિંતા કરશો નહીં, હવે તમે નિર્ભય છો. તમારે ચિંતા કરવાની જરૂર નથી. કુણિક આવશે તો એને જવાબ મળી જશે.
કુણિકને સમાચાર મળ્યા કે હલ્લ-વિહલ્લ તો સેચનક હાથીને લઇને અહીંથી રવાના થઈ ગયા છે. ક્યાં ગયા હશે? પર પુરુષો દ્વારા તપાસ કરાવી. જ્યાં પણ ગયા હોય ત્યાંથી પકડી લાવો. રાજ્યની સંપત્તિ લઇને આમ અન્ય રાજ્યમાં ચાલી જાય એ તો કેમ ચાલે? પર પુરુષોએ સમાચાર આપ્યા હલ્લ-વિહલ્લે વૈશાલીમાં રાજ્યાશ્રય લીધો છે. વૈશાલી નગરી એટલે રાજગૃહીના કટ્ટર શત્રુ. ભલે મારા અંગત સંબંધથી નાના (મમ્મીના પપ્પા) થતા હોય, પણ આ એ રીતે મારા દુશ્મન બન્યા છે. હવે મારે કડક હાથે વૈશાલીની ખબર લેવી પડશે.
પોતાના નાના ચેટક રાજાને સમાચાર મોકલ્યા. મારો દુશ્મન મને મળી જાય તો મારે આપની સાથે કોઇ વેર નથી, પણ જો મારા દુશ્મનને તમારો સાથ હોય તો રણમેદાનમાં હું આપની રાહ જોઈશ. ચેટક રાજાએ એને વળતો જવાબ આપી દીધો. એમને પણ અંદાજ તો હતો જ કે આ ઘટના બનવાની જ છે. ક્ષત્રિય ક્યારેય પોતાના શરણે આવેલાને જાકારો આપે નહીં. હું પણ રણમેદાનમાં જ તને મળીશ.
કુણિક રાજાનો એક મંત્રી ભયંકર ક્રૂર અને દુષ્ટ બુદ્ધિ હતો. આજથી લગભગ પચ્ચીસ સો વર્ષ પહેલાં એણે યુદ્ધ માટે બે યંત્રો વિકસાવેલાં, એક મહાશિલા કંટક અને બીજુ રથમુશલ. આ બે યંત્રોની વિશેષતા એ હતી કે મહાશિલા કંટક નામના યંત્રમાંથી નાનો કાંકરો દુશ્મનના શરીર ઉપર પડે તો પણ એ મોટી શિલાનું કામ કરે અને રથમુશલ નામના યંત્રમાંથી નીકળેલું તણખલું પણ મુશળ એટલે સાંબેલાના જેટલી અસર કરે. ટૂંકમાં, ઓછી મહેનતે દુશ્મનોનો નાશ કરવા માટે આ બેય સાધનો ઉપયોગી હતાં. રાજગૃહી અને વૈશાલી વચ્ચે ભયંકર નહીં, મહાભયંકર યુદ્ધ થયું છે. યુદ્ધની આગેવાની હલ્લ અને વિહલ્લે લીધેલી છે. સેચનક હાથી ઉપર બેસીને રાજગૃહીના સૈન્યનો સારી રીતે સામનો કરે છે. તો સામેવાળા પણ આ બે નવાં યંત્રોની મદદથી વૈશાલીના સૈન્યને તહસનહસ કરવામાં કમી નથી રાખતા. છતાં વૈશાલી નગરી કોઈ જાતની મચક આપતી નથી.
વર્ષકાર મંત્રી પરિસ્થિતિ સમજી ગયો છે. વૈશાલીને જીતવા સેચનક હાથીનો ભોગ લેવો પડશે. જ્યાં સુધી એ હશે ત્યાં સુધી વૈશાલી પડશે નહીં. વર્ષકારે એક ખાઈ બનાવડાવી. એમાં અંગારા ભરી ઉપરથી માટી બિછાવી દીધી. જોનારાને સામાન્ય જમીન જ લાગે. જે કોઈ આવે છે તરત ખાઈમાં પડે. અંગારા એને પતાવી દે. પેલાને બહાર નીકળવા માટે કોઈ રસ્તો મળે નહીં.
એ પછી ધીમે ધીમે પીછેહઠ કરી સામેથી લશ્કર લઈને હલ્લ-વિહલ્લ સેચનક હાથી ઉપર બેસીને આવી રહ્યા છે. જ્યાં હાથી ખાઈ પાસે પહોંચ્યો એને ખ્યાલ આવી ગયો, હવે અહીંથી આગળ વધાય નહીં. જો આગળ જઈશું તો માલિક સાથે આપણે પણ સદન પહોંચી જઈશું.
હલ્લ-વિહલ્લ આ ઘટનાથી અજાણ છે. હાથીને આગળ ચાલવા સમજાવે છે. એ આગળ વધતો નથી. ક્યાંથી વધે એને તો સામે મોત દેખાય છે. આ બેય જણાએ એવાં કડવાં વચનો સંભળાવ્યાં કે જેના કારણે એ ઉશ્કેરાયો. પ્રાણીઓમાં વફાદારીનો ગુણ બહુ મોટો હોય છે. મારા માલિકને મરવા ન દેવાય. ભલે મારું ગમે તે થાય.
હાથી ઉશ્કેરાયો છે. એને ખબર છે આગળ મોતની ખાઈ છે. મારે તો હવે આ ખાઈમાં જ જીવન પૂરું કરવાનું છે, પણ મારા માલિકને તો મારે મરવા ન જ દેવાય એટલે એ પચાસ ડગલાં પાછળ ગયો અને ત્યાંથી એ દોડ્યો પંદર-વીસ ડગલાં. દોડ્યા પછી એની પીઠ ઉપર બેઠેલા હલ્લ-વિહલ્લને નીચે પાડી દીધા અને પોતે સીધો ખાઈમાં ગયો. જેવો ગયો એવો જ અંગારામાં એની કાયા જલવા લાગી. આ જોઈને હલ્લ-વિહલ્લને ખૂબ દુઃખ થયું. એ વિચારે છે મારી લાલસાના કારણે આવું ભયાનક યુદ્ધ ખેલાયું અને જેના કારણે મારો પ્રિય હાથી અગ્નિમાં હોમાયો. કેવાં રાગદ્વેષનાં તોફાન છે!
માણસને જાગવું હોય તો એને નિમિત્ત તો ઘણાં બધાં મળતાં હોય છે, પણ સાચી સમજ તો કેટલાક માણસોને જ મળતી હોય છે. હાથીએ ફંગોળેલા એટલે મૂઢ માર તો વાગેલો, પણ એ બંને તરત જ ઊભા થઇ ગયા. સેચનક હાથીએ કેમ આવું કર્યું એ વિચાર કરે છે અને ઊભા થાય છે. ઊભા થવાની ક્રિયા અને વિચારવાની ક્રિયા સાથે જ થઈ રહી છે. ઊભા થઈને હાથીની દિશામાં નજર કરી. હાથી તો નીચે પડી ગયો છે અને હવે બળવાની ગંધ આવી રહી છે. એમને ખ્યાલ આવ્યો કે હાથી બળી રહ્યો છે.
આપણા ઘણા પ્રયત્નો પછી એ જવા તૈયાર થયો. એનું કારણ હવે સમજાય છે. સામે અંગારા ભરેલી ખાઈ એને દેખાતી હતી, જે આપણે જોઈ શકતા ન હતા. એ જો આગળ ગયો હોત તો આપણે પણ એની સાથે જ બળી મરત, પણ એણે આપણને બચાવ્યા. એ બંને જણા વિચારે છે, આપણા મોહના કારણે આપણો હાથી મરાયો. આમ ને આમ આપણું જીવન પણ ખતમ થવાનું છે. ના, આપણે આપણું ભવિષ્ય સુધારવું છે અને બેય ભાઈઓએ ભગવાન મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી.
આપણે આપણા જીવનનો શું વિચાર કરવાનો? વ્યક્તિ અને વસ્તુનો મોહ આપણા જીવનને બરબાદ કરે છે. જીવનને સુધારવા ત્યાગ અને વૈરાગ્ય જ કામનાં છે.