– નિકાસ બજારમાં માલ વેચવાનું મુશ્કેલ બનતા લેવાયેલો નિર્ણય
Updated: Oct 27th, 2023
નવી દિલ્હી : બાસમતિ ચોખાના લઘુત્તમ નિકાસ ભાવ પ્રતિ ટન ૧૨૦૦ ડોલરથી ઘટાડી ૯૫૦ ડોલર કરવાનો સરકારે કરવાનો નિર્ણય કર્યો છે. ઊંચા ભાવને કારણે નિકાસ પર અસર પડી રહ્યાની ચિંતાને ધ્યાનમાં રાખી આ નિર્ણય આવી પડયો છે.
નિકાસને પ્રોત્સાહન આપતી સંસ્થા અપેડાને લખેલા પત્રમાં કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, બાસમતિ ચોખાની નિકાસ માટે કોન્ટ્રેકટના રજિસ્ટ્રેશન માટેની ભાવ મર્યાદા જે પ્રતિ ટન ૧૨૦૦ ડોલર છે તે ઘટાડી પ્રતિ ટન ૯૫૦ ડોલર કરવા નિર્ણય લેવાયો છે.
૨૭ ઓગસ્ટના સરકારે બાસમતિ ચોખાની નિકાસ પ્રતિ ટન ૧૨૦૦ ડોલરથી નીચેના ભાવે નહીં કરવા દેવાનો સરકારે નિર્ણય કર્યો હતો. બાસમતિના વૈશ્વિક વેપારમાં ભારતના ભાવ ઊંચા હોવાથી સ્પર્ધામાં ટકી રહેવું મુશકેલ હોવાનું નિકાસકારોએ દલીલ કરી હોવાનું અગાઉ અન્ય એક અહેવાલમાં જણાવાયું હતું.
ચોખા એ મુખ્ય ખરીફ પાક છે. વર્તમાન મોસમના વાવેતરની કામગીરી પૂરી થઈ છે. પરંતુ ચોખાનો નવો પાક જાન્યુઆરીથી આવવાનો શરૂ થશે. આમ છતાં વિવિધ સ્તરેથી ઉઠેલી માગણીને ધ્યાનમાં રાખી સરકાર નિકાસ ભાવની સમીક્ષા કરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષનું ચોમાસુ કેટલાક વિસ્તારોમાં અપ્રમાણસર રહેતા સરકારની નજર હાલમાં ચોખાના ઉત્પાદન પર પણ રહેલી છે.
ભારત તથા પાકિસ્તાન બાસમતિના મોટા ઉત્પાદક દેશ છે. ભારતના બાસમતિ ચોખાની નિકાસ મુખ્યત્વે યમન, અમેરિકા, સાઉદી અરેબિયા, યુએઈ વગેરે દેશોમાં થાય છે.
ઊંચા લઘુત્તમ નિકાસ ભાવને કારણે નિકાસકારોએ ખેડૂતો પાસેથી ચોખા ખરીદવાનું અટકાવી દીધું હોવાનું પણ સદર અહેવાલમાં જણાવાયું હતું.


