પુણ્ય શું છે? સુફત એટલે પુણ્ય. આપણે એક શબ્દ યોજીએ છીએ, `પુણ્યપુંજ.’ આ `પુણ્યપુંજ’ બહુ સુંદર શબ્દછે; પુણ્યનો સમૂહ અને `માનસ’માં તો શ્રી હનુમાનજી માટે આ શબ્દ બહુ પ્રેમથી ઉપયોગમાં લેવાયો છે.
પુન્ય પુંજ તુમ્હ પવનકુમારા.
સેવહુ જાઈ કૃપા આગારા.
આપણાં શાસ્ત્રોમાં પુણ્ય સાથે જોડાયેલો એટલો જ બીજો એક સુંદર શબ્દ છે `પુણ્યશ્લોક’ મારે તમારી સામે કેટલાક પુણ્યની વાત કરવી છે. અને હું પાપની ચર્ચા નહીં કરું. પુણ્ય છે તો બસ છે. ઓશો કહે છે, અજવાળું છે તો બસ છે, અંધારાની ચર્ચા કરવાની જરૂર નથી.
એક પુણ્યની વ્યાખ્યા તો એવી છે કે પ્રસન્નતા જ પુણ્ય છે, અપ્રસન્નતા પાપ છે. તમે દરેક સ્થિતિમાં પ્રસન્ન રહી શકો છો. એટલે કોઈ પ્રોગ્રામ હોય તો પણ પ્રસન્નતા અને ન હોય તો પણ પ્રસન્નતા. આ અસંગતતા જે છે એ બહુ મુશ્કેલ છે. અને જગદગુરુ કહે છે કે સત્સંગથી જ તમે ધીરે ધીરે અસંગ થવા લાગશો. અને ભજનના પ્રતાપથી કે ગુરુના પ્રતાપથી માણસ નિરંતર આત્મપરીક્ષણ કરે છે અને એના દ્વારા જો એક સ્થિતિ, એક અવસ્થા નિર્મિત થઈ જાય અને માણસ નિરંતર પ્રસન્ન રહેવા લાગે તો એના જેવું પુણ્યપુંજ બીજું કોઈ નથી.
તો મારા મનમાં પહેલી વાત એ છે કે પ્રસન્નતા જ પુણ્ય છે. એનો મતલબ છે કે તમે ક્રિયામાં ન કરો પરંતુ માનસિક રૂપે બીજા વિશે શુભ વિચારો એ પુણ્ય છે. તમારા મનથી કોઈને માટે તમે શુભ વિચારો, બીજાના માટે સારું વિચારો, બીજા વિશે શુભ ચિંતન કરો એ પુણ્ય છે. પાંચ લાખ રૂપિયાનું દાન કરો એ પુણ્ય છે પરંતુ પાંચ લાખનું દાન કરવામાં કેટલીક માત્રામાં પાપ પણ થાય છે. પરંતુ શુદ્ધ વિચાર એ પુણ્ય છે. અને આપણી મુશ્કેલ સ્થિતિ એ છે કે આપણે એક લાખ રૂપિયા કોઈને આપી શકીએ છીએ પરંતુ લાખેણો વિચાર નથી આપી શકતા! માત્ર વિચારો. બસ. કોઈ સારી પ્રગતિ કરતા હોય તો એમના માટે દુઆ કરો. એ પુણ્ય છે. જે ક્ષેત્રમાં જે પણ હોય એનું શુભ વિચારો. મનનો સદભાવ પુણ્ય છે. અને ગોસ્વામીજીએ કળિયુગના વર્ણનમાં લખ્યું છેકે કળિયુગ એક એવો સમય છે, જેમાં તમે માનસિક રૂપે બીજા માટે શુભ વિચારશો તો એનું બહુ મોટું પુણ્ય છે. બધા માટે શુભ વિચારો; પછી કોઈપણ હોય.
કિસ પર પથ્થર ફૈંકૂ `કેસર’
કૌન પરાયા હૈ?
શીશ મહલ મેં હર એક ચહેરા
મુઝ-સા લગતા હૈ.
ક્ષમતા હોય તો તમારી પાસે જે ક્ષમતા છે એના દ્વારા પરોપકરા કરો એ ત્રીજું પુણ્ય છે. જે વસ્તુની તમારી પાસે ક્ષમતા હોય એના દ્વારા બીજાનું ભલું થાય એ બહુ મોટું પુણ્ય છે. હું સમાજના કિસ્સા સાંભળું છું તો હેરાન થઈ જાઉં છું કે લોકો શોષણ કરવામાં પડ્યા છે! આપણી ક્ષમતા મુજબ આપણે બીજા માટે કંઈક કરીએ. ફુરસદનો જ્યારે પણ સમય મળે ત્યારે પ્રભુનું નામ લેવું એ પુણ્ય છે.
તુલસી લખે છે.
રામ ભગત જગ ચારિ પ્રકાશ.
સુફુતિ ચારિઉં અનધ ઉદાસ.
જેમને નામનો આધાર છે એ પુણ્યપુંજ છે; જેમને કેવળ હરિનામનો આધાર છે. અને વિશ્વાસ રાખજો કે પહોંચી ચૂકેલા માણસોના જીવનમાં આવી ઘટનાઓ યુગોથી, શતાબ્દિઓથી ઘટતી આવી છે. જ્યારે તમને કોઈ સહારો સહાયક ન બને ત્યારે હરિનામ સહાયક બને છે. દ્રૌપદીએ પોતાના સામર્થ્યનો પૂરો ઉપયોગ કર્યો કે ભરસભામાં મને નિર્વસ્ત્ર કરવાની કોશિષ કરવામાં આવી રહી છે એમાંથી બચી જઈશ; પરંતુ બધા પ્રયાસ નિષ્ફળ નીવડ્યા! કેટલા મોટામોટા લોકો બેઠા હતા એ બધા સામે હાથ ફેલાવવામાં આવ્યા. દ્રૌપદીએ સ્વબળનો, સ્વસમજનો અને સ્વપુરુષાર્થનો બહુ પ્રયોગ કર્યો. પરંતુ આખરે દ્વારિકાધિશનું સ્મરણ જ એને કામ આવ્યું. ગજરાજને અંતે દ્વારિકાધિશનું જ સ્મરણ કામ આવ્યું અને અજામિલને પણ અંતે તો હરિનામ જ કામ આવ્યું. અને તુલસીના જમાનાની એ સમયની નૃત્યાંગના વાસંતીને હરિનું નામ જ આખરે કામ આવ્યું. પ્રભુનું નામ સૌથી મોટું પુણ્ય છે. હા, પોતાનું કર્તવ્ય બરાબર નિભાવવું; પોતાની ફરજો પૂરી કરવી. પરંતુ તમારા પરિવારમાં કોઈ વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિભાવતાં નિભાવતાં શાંતિથી બેઠાંબેઠાં હરિનામ લેતા હોય તો સમજવું કે તમારા ઘરમાં પુણ્યનો અવતાર થયો છે. હું પ્રાર્થના કરું મારા સમાજને, તમે ગમે તેટલા બૌદ્ધિક હો, હું પ્રણામ કરું. પરંતુ આ જગતમાં હરિનામની તુલનામાં બીજું કાંઈ નથી.
તો પ્રભુનું નામ પરમપુણ્ય છે. એનાથી વધીને બીજું કોઈ પુણ્ય નથી. દુનિયા કંઈપણ કહે. અને આજે મને અને તમને કહેવાવાળા તો બહુ ઓછા છે; દુનિયાની આટલી વસ્તીમાં આલોચના કરવાવાળા બહુ ઓછા છે. કૃષ્ણ જ્યારે હતા ત્યારે વસ્તી ઓછી હતી અને આલોચના કરવાવાળા વધારે હતા! પાંડવો તો પાંચ જ હતા.કૌરવો સો હતા. અત્યારે તો સારો સમય છે કે પાંડવ સો નીકળે છે અને કૌરવ ગણીને માંડ પાંચ-છ નીકળે છે. આ અવસર છે સુંદર. હરિનામની ફસલ કળિયુગમાં બહુ જલદી પાકી જાય છે. હું ફરી એકવાર ગાંધીબાપુને યાદ કરું. એ કહે છે કે રામનામ અને મારી પ્રાર્થનાએ મને મુશ્કેલ સમયમાં બહુ મદદ કરી છે.
હરિભજન સૌથી મોટું પુણ્ય છે. અને હું એમ નથી કહેતો કે આ જ નામ લો. કોઈપણ નામ તમે લઈ શકો છો. અલ્લાહ-અલ્લાહ કરો, શું ફરક પડે છે? એમાં અણસમજુને ફરક દેખયા છે! હરિ ભજો. પરમાત્માનું નામ લો. જેવી રીતે ઈસ્લામ ધર્મમાં હજ પઢવી, રોજા રાખવા; મોહરમમાં એ કરવું; અને એના જે નિયમ છે એમાં એક વાત એ પણ કરવામાં આવી છે કે માણસ કંઈ ન કરે પરંતુ `અલ્લાહ-અલ્લાહ’ કરતો રહે તો એ પણ બહુ મોટું પુણ્ય છે. બીજા બધાં તો વિધિ-વિધાન છે. કોઈપણ નામ એ પુણ્ય છે. નામનો ઘણો મહિમા છે. નામ જપનારા પુણ્યપુંજ છે. ભાવ-કુભાવ છોડો. પુણ્યની શૃંખલામાં હરિનામ. પરમ પુણ્ય છે પ્રભુનું નામ. જેમણે લીધું છે, લઈ રહ્યા છે, લેશે એ બધાં પામશે.
હું જેને જેને પુણ્ય માનું છું એમાં એક એ પણ છે કોઈ તમને મળે અને તમે અકારણ દિલથી એની સામે મુસ્કુરાઓ એ પુણ્ય છે. કોઈની સામે હૃદયથી મુસ્કુરાવું એ પુણ્ય છે. અને બધા પ્રકારની સુવિધા હોવા છતાં પણ, આપણી પાસે અધિકાર છે, હક્ક છે, લાયકાત છે, એ બધું હોવા છતાં પણ સ્વભાવને સરળ રાખવો એ પુણ્ય છે. જેટલા જેટલા બુદ્ધપુરુષ થયા છે એ બધા સરળ છે; માસૂમ લાગે છે; જટિલ-કિલષ્ટ નથી લાગતા. હું આંખો બંધ કરીને રમણ મહર્ષિને જોઉં તો મને લાગે છે, કેવા સરલ-તરલ ભદ્ર પુરુષ બેઠા છે અરુણાચલની ગુફામાં! હું દક્ષિણેશ્વરમ તરફ મારા ચિત્તને યાત્રા કરાવું તો મને દેખાય છે કેવા સરળ-તરલ બેઠા છે ઠાકુર પરમહંસ! જો કે મહર્ષિ અરવિંદ તો બહુ જ બુદ્ધિમાન વ્યક્તિ, મોટા સાક્ષર છે અરવિંદ પરંતુ સાધનાસંપન્ન અરવિંદ તરફ ચિત્તની યાત્રા કરીએ તો લાગે છેકે કેટલું નિર્દોષ ચિત્ત હશે! ભગવાન ઈસુ, જિસસ કેટલા માસૂમ લાગે છે! અને આ દુનિયાવાળાઓએ માસૂમોને જ માર્યા છે! તો મારી સમજ મુજબ બધું હોવા છતાં સરળ રહેવું એ પુણ્ય છે. મારી સમજ મુજબ એકવીસમી સદીમાં આ પુણ્ય છે.
આપણે આપણા પાપનો સ્વીકાર કરી લઈએ એ પણ એક પુણ્ય છે. બહુ મોટું પુણ્ય છે આપણી ખામીઓનો સ્વીકાર કરી લેવો. અને એની પહેલ આપણે થોડી કરીએ છીએ? આપણા પૂર્વજોએ એ જ તો કર્યું હતું. આ જ તો ભારતીય પરંપરા છે કે `હમારે હરિ અવગુણ ચિત્ત ના ધરો.’ ભક્તિ કરવી હોય તો સક્ષમ હો તો પણ રાંક હો. પરંતુ સક્ષમ હોવા છતાં પણ રાંકપણું હોવું જોઈએ. મને ગંગાસતી યાદ આવે છે.
ભક્તિ કરવી એને રાંક થઈને રહેવુ.