ભગવાન મહાવીરને સમજવા માટે માત્ર જ્ઞાન મેળવવાની જ જરૂર છે. ભગવાન મહાવીરનું જીવન, દર્શન કે તપ કેવું રહ્યું હોય તે મહત્ત્વનું નથી, પરંતુ મુખ્ય વાત એ છે કે તેમણે માત્ર જ્ઞાનની ઊંચાઈઓનો સ્પર્શ કર્યો જે અવર્ણનીય છે. તેઓ અંતરીક્ષના એવા સન્નાટા સમાન છે જેમાં કોઈ પણ પદાર્થની ઉપસ્થિતિ ન હોઈ શકે. જ્યાં કોઈ ધ્વનિ નથી કે ઊર્જા પણ નથી ત્યાં છે માત્ર શુદ્ધ આત્મતત્ત્વ.
મહાવીરનું જીવન
ભગવાન મહાવીર તીર્થંકરોમાં છેલ્લા એટલે કે ચોવીસમા તીર્થંકર છે. તેમના જન્મસમયનું નામ વર્ધમાન છે. રાજકુમાર વર્ધમાનનાં માતા-પિતા શ્રમણ ધર્મના પાર્શ્વનાથ સંપ્રદાયના હતાં. મહાવીરથી 250 વર્ષ પહેલાં 23મા તીર્થંકર પાર્શ્વનાથ થયા હતા. ભગવાન મહાવીરનો જન્મ ઈ.પૂ. 599માં એટલે કે 2608 વર્ષ પહેલાં વૈશાલી ગણતંત્રના કુંડલપુરના ક્ષત્રિય રાજા સિદ્ધાર્થને ત્યાં થયો હતો. તેમની માતા ત્રિશલા લિચ્છવિ રાજા ચેટકીનાં પુત્રી હતાં. ભગવાન મહાવીરે સિદ્ધાર્થ-ત્રિશલાના ત્રીજા સંતાન સ્વરૂપે ચૈત્ર સુદ તેરસના દિવસે જન્મ લીધો હતો.
શિક્ષણ
વર્ધમાનના મોટા ભાઈનું નામ નંદિવર્ધન તથા બહેનનું નામ સુદર્શના હતું. વર્ધમાનનું બાળપણ રાજમહેલમાં વીત્યું. તેઓ જ્યારે આઠ વર્ષના થયા ત્યારે તેમને ભણવા માટે, શિક્ષણ લેવા માટે, ધનુષ્ય ચલાવવાનું શીખવા માટે શિલ્પ શાળામાં મોકલવામાં આવ્યા હતા.
શ્રામણી દીક્ષા
ભગવાન મહાવીરની ઉંમર જ્યારે 28 વર્ષની હતી ત્યારે તેમનાં માતા-પિતાનો દેહાંત થયો હતો. મોટા ભાઈ નંદિવર્ધનના અનુરોધને કારણે તેઓ બે વર્ષ સુધી ઘરે રોકાયા. ત્યારબાદ ત્રીસ વર્ષની ઉંમરે વર્ધમાને શ્રમણ પરંપરામાં શ્રમણી દીક્ષા લઈ લીધી. તેઓ સમણ બની ગયા. તેઓ મોટાભાગનો સમય ધ્યાનમાં જ મગ્ન રહેતા.
કૈવલ્યજ્ઞાન
ભગવાન મહાવીરે 12 વર્ષ સુધી મૌન તપસ્યા તથા ગહન ધ્યાન ધર્યું. તપસ્યાને અંતે તેમને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયું. કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછી ભગવાન મહાવીરે જનકલ્યાણ માટે શિક્ષા આપવાનું શરૂ કર્યું. તેઓ અર્ધમગધી ભાષામાં પ્રવચન કરવા લાગ્યા, કારણ કે તે વખતે સામાન્ય જનતાની આ જ ભાષા હતી.
બ્રહ્માંડમાં બે જ તત્ત્વ છે. જડ અને ચેતન. ચેતનનું જડના આ બંધનમાંથી મુક્ત થવું એ જ કૈવલ્યજ્ઞાન છે અને પૂર્ણ મુક્ત થઈ જવું તે નિર્માણ છે. આ સિવાય અનેકાંતવાદ એટલે કે વાસ્તવવાદી અને સાપેક્ષતાવાદી બહુતત્ત્વ સિદ્ધાંત અને જ્ઞાનની અપેક્ષાનો સિદ્ધાંત. આ બંને સિદ્ધાંતોમાં ભગવાન મહાવીરનું દર્શન રહેલું છે. દર્શન એટલે કે જે બ્રહ્માંડ અને આત્માના અસ્તિત્વના પ્રારંભ અને તેમની સ્થિતિ તથા પ્રકાર અંગે ખુલાસો કરતો હોય.
મહાવીરના સંઘ
મહાવીર ભગવાને કૈવલ્યજ્ઞાન માર્ગને પુષ્ટ કરવા માટે અનુયાયીઓને ચાર ભાગમાં વિભાજિત કર્યા છે. તે છે મનુ, આર્યિકા, શ્રાવક અને શ્રાવિકા. પ્રથમ બે વર્ગ ગૃહત્યાગી અને છેલ્લા બે ગૃહસ્થો માટે છે. આ જ તેમનો ચતુર્વિધ સંઘ કહેવાયો.
મહાવ્રત
મહાવીરે કૈવલ્યજ્ઞાનના હેતુ માટે ધર્મના અહિંસા, અચૌર્ય, અમૈથુન અને અપરિગ્રહનાં વ્રત જણાવ્યાં છે. જેમાંથી મુનિઓએ સંપૂર્ણ રીતે બધાં જ વ્રતોનું પાલન કરવાનું હોય છે. જોકે, મહાવીર ભગવાનનું ધર્મદર્શન આ વ્રતોથી વધારે વિસ્તૃત અને મહત્ત્વ ધરાવે છે.
મહાવીરનું નિર્વાણ
ભગવાન મહાવીરનું નિર્વાણ વિક્રમકાળથી 470 વર્ષ પહેલાં, શકકાળથી 605 વર્ષ પહેલાં અને ઈ.પૂ. 527માં 72 વર્ષની ઉંમરે કારતક વદ અમાસના દિવસે પાવાપુરી (બિહાર)માં થયું હતું.
તેમના શિષ્ય
મહાવીરના હજારો શિષ્ય હતા. જેમાં રાજા મહારાજા અને અનેક લોકોનો સમાવેશ થાય છે, પરંતુ કેટલાક પ્રમુખ શિષ્ય પણ હતા.
જેઓ હંમેશાં તેમની સાથે રહેતા હતા. મહાવીરના નિર્વાણ પછી જૈન સંઘોનું નેતૃત્વ ક્રમશ: તેમના ત્રણ શિષ્યો ગૌતમ, સુધર્મ અને જમ્બુએ કર્યું.