- રાજકોટમાં 15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે
- યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, અક્ષર પટેલ, સુભમન ગિલ રાજકોટ પહોંચ્યા
- કેપ્ટન રોહિત શર્મા, આર. અશ્વિન, રજત પાટીદાર અને રાહુલ દ્રવિડ રાજકોટ પહોંચ્યા
આગામી 15 ફેબ્રુઆરીએ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે, રાજકોટમાં રમાનારી ભારત – ઈંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ માટે ખેલાડીઓ રાજકોટ પહોંચી ગયા છે. ભારતીય ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થઈ ગયું છે. ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બંને ટીમ હોટેલ જવા માટે નીકળી હતી.
ભારતીય ટીમ રાજકોટ પહોંચી
ભારત – ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈ ખેલાડીઓ રાજકોટ પહોચ્યાં છે. રાજકોટમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા , યશસ્વી જયસ્વાલ, આર. અશ્વિન, સરફરાઝ ખાન, રજત પાટીદાર, કોચ રાહુલ દ્રવિડ, અક્ષર પટેલ સુભમન ગિલ સહિતના ખેલાડીઓ હોટેલ ખાતે પહોંચ્યા છે.
BCCIએ 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી
મહત્ત્વનું છે કે, BCCIએ 10 ફેબ્રુઆરીના રોજ ઈંગ્લેન્ડ સામેની બાકીની 3 મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયામાં ઘણા યુવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાદ સમજાય છે કે જો સિનિયર ખેલાડીઓ સારું પ્રદર્શન નહીં કરે તો તેમને સીધો દરવાજો બતાવી દેવામાં આવશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન કેએસ ભરતના સ્થાન પર તલવાર લટકી રહી છે. બેટિંગ ઉપરાંત કેએસ ભરત ઈંગ્લેન્ડ સામે રમાયેલી પ્રથમ બે મેચમાં વિકેટ કીપિંગમાં પણ નિષ્ફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં હવે એવું માનવામાં આવી રહ્યું છે કે, ત્રીજી ટેસ્ટમાં કેએસ ભરતને બેન્ચ કરવામાં આવી શકે છે અને તેની જગ્યાએ ધ્રુવ જુરેલને ડેબ્યૂ કરવાની તક મળી શકે છે.
કેએસ ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલ રમશે?
કેએસ ભરત લાંબા સમયથી ભારત માટે સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે. પરંતુ તેનું પ્રદર્શન સતત ઘટી રહ્યું છે. તે ન તો બેટિંગમાં યોગદાન આપી શકે છે અને ન તો વિકેટ કીપિંગમાં વધુ સારું પ્રદર્શન કરી શકે છે. આવી સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ ત્રીજી ટેસ્ટમાં કેએસ ભરતની જગ્યાએ ધ્રુવ જુરેલને તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે ધ્રુવ જુરેલ ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જે બાદ તેને ઈંગ્લેન્ડ સામે બેકઅપ વિકેટકીપર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે KS ભરતના વારંવાર ફ્લોપ થયા બાદ, ત્રીજી ટેસ્ટમાં તેનું સ્થાન કાર્ડ પર હોય તેવું લાગી રહ્યું છે.
કેએસ ભરતનું ખરાબ ફોર્મ હજુ યથાવત
કેએસ ભરતે અત્યાર સુધી ભારત માટે 7 ટેસ્ટની 12 ઇનિંગ્સમાં માત્ર 20.09ની એવરેજથી 221 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેના બેટમાંથી એક પણ અડધી સદી આવી નથી. આ સાથે જ તેણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટ મેચમાં કોઈ મોટી ઈનિંગ્સ રમી નથી. જ્યાં હૈદરાબાદ ટેસ્ટમાં તેણે અનુક્રમે 41 અને 13 રન બનાવ્યા હતા અને વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભરત બંને ઇનિંગ્સમાં અનુક્રમે 17 અને 6 રન જ બનાવી શક્યો હતો. આવી સ્થિતિમાં તેના માટે ત્રીજી ટેસ્ટ મેચ રમવી ઘણી મુશ્કેલ લાગી રહી છે.
ધ્રુવ જુરેલ ત્રીજી ટેસ્ટમાં કેમ રમશે?
જ્યારે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ધ્રુવ જુરેલનું નામ ચોંકાવનારું હતું. જ્યારે તેણે ટીમમાં પ્રવેશ કર્યો ત્યારે એવું માનવામાં આવતું હતું કે તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચથી જ વિકેટ કીપિંગ કરતો જોવા મળશે. પરંતુ ટીમ મેનેજમેન્ટે પ્રથમ બે ટેસ્ટ મેચમાં તેના સ્થાને કેએસ ભરતને તક આપી હતી. પરંતુ કેએસ ભરત સતત રન ન બનાવ્યા બાદ હવે ધ્રુવ જુરેલને ત્રીજી ટેસ્ટમાં તક આપવામાં આવી શકે છે.


