- અગાઉ 1 યુવાનને પિસ્ટલ સાથે ઝડપ્યા બાદ વધુ 2ને MP થી દબોચ્યા
- નાળામાંથી 7 ટ્રેકટરથી વધુ કચરો ઉલેચ્યો છતાં પિસ્ટલના મળી
- પોલીસને થાપ આપી ફરાર થતા સમયે પિસ્ટલ નાળામાં નાંખી હોવાની કબૂલાત કરતા તપાસ
વિરમગામ રેલવે સ્ટેશન પર ગુજરાત રેલવે પોલીસ ટીમ મુસાફરો પર વોચમાં હતી. દરમ્યાન ગત ડિસેમ્બરમાં જબલપુર સોમનાથ ટ્રેનમાંથી ઉતરેલા મુસાફરોમાં એક યુવાનની હલચલ પર શક જતા પોલીસે તેની પૂછપરછ કરી હતી.પોલીસે તેની તપાસ કરતા જેકેટના ખિસ્સામાંથી એક દેશી બનાવટની પિસ્ટલ મેગઝીન મળી આવી હતી. જેથી તુરંત યુવાનની રૂ.35 હજારની કિંમતની પિસ્ટલ, મોબાઈલ ફોન મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. આ યુવાન સાથે બીજો એક રણજીત વિક્રમલાલ રાઠોડ રહે.તરનોદ જિ. ઉજ્જૈન નામનો સાથીદાર હતો. જે પોલીસને થાપ આપી ભાગી ગયો હતો. ઝડપાયેલા 28 વર્ષીય લાખનસિંહ જુઝારસિંહ સોલંકી મુળ રહે. તરનોદ, જિ. ઉજ્જૈન, મધ્યપ્રદેશ. હાલ રહે ભચાઉ, કચ્છના યુવાનને કોર્ટ સમક્ષ હાજર કરી રિમાન્ડ મેળવ્યા હતા અને તપાસનો દોર શરૂ કર્યો હતો. પિસ્ટલ કચ્છમાં રામેશ્વર ચૌહાણ નામના વ્યક્તિ માટે લાવવામાં આવી હતી. યુવાને પિસ્ટલ તેના સાથીદાર રણજીતે લાવી આપ્યાનું જણાવ્યુ હતુ. રણજીત પાસે પિસ્ટલ હતી.પોલીસે આ ગુનામાં સંડોવાયેલા રામેશ્વરની પણએ સમયે ધરપકડ કર્યાં બાદ તપાસનો ધમધમાટ આગળ ધપાવતા રણજીતનુ લોકેશન મધ્યપ્રદેશના આગર તાલુકાના આવર ગામમાં મળી આવતા તાજેતરમાં પોલીસે પહોંચી રણજીતને દબોચી લીધો હતો અને આ ગુનામાં પિસ્ટલ આપનાર ઉજ્જૈનના પાળિયા ગામના રહેવાસી નિખિલ વિક્રમસિંહ દેવડાની મધ્યપ્રદેશના નાગદા ગામમાંથી ધરપકડ કરી બંનેને વિરમગામ લાવી સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.કોર્ટે તા.7મી સુધીના રિમાન્ડ આપ્યા છે. પોલીસે પૂછપરછ શરૂ કરતાં રણજીતે પોતાની પાસેની પિસ્ટલ ડિસેમ્બરમાં ભાગતા સમયે જ વિરમગામમાં એક નાળામાં ફેંકી દીધાનું સ્થળ બતાવતા પોલીસે ગોળપીઠા ચોખલિયા કુવા સામેના નાળામાં શોધ શરૂ કરી હતી. પરંતુ કાંઈ જ હાથ લાગ્યુ ન હોવાથી વધુ તપાસ હાથ ધરી છે.


