- ધનસુરાના કંજરીકંપા જતો માર્ગ ઉબડખાબડ બનતા જોખમી સ્થિતિ
- કપચી ઉખડી જતાં માર્ગ પર બાઈક ચલાવવું મુશ્કેલ રજૂઆતો કરતા પરિણામ શૂન્ય
- સમગ્ર માર્ગ ઉપરની કપચી નીકળી જતાં બાઈક ચાલકો વારંવાર સ્લીપ થાય
ધનસુરાના કંજરીકંપા જતો માર્ગ તૂટી જતાં વાહન ચાલકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ માર્ગ પર ટુવ્હીલર ચલાવવું પણ ખૂબ જ હાલાકીભર્યું છે.સમગ્ર માર્ગ ઉપરની કપચી નીકળી જતાં બાઈક ચાલકો વારંવાર સ્લીપ થાય છે. તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ માર્ગની મરામત કરે તેમ કંજરીકંપાના રહીશો માંગ કરી રહ્યા છે. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો નાછુટકે કંપાના રહીશો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશેની વિગતો મળી હતી.
ધનસુરા નગરમાં આવેલ ચાર રસ્તા ઉપર વારંવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઉભા થાય છે. જેને લઈ માલપુરથી અમદાવાદ તરફ જતા નાના વાહનો કંજરીકંપા થઈ ધનસુરાને બાયપાસ કરી પસાર થાય છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ ઉપર કપચી ઉખડી જતાં વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મોડાસા-કપડવંજ અને મોડાસા – અમદાવાદને જોડતો આ માર્ગ બિસ્માર બનતાં કંપાના રહીશો પણ પરેશાની ભોગવી રહ્યા છે. બાયડ તરફથી વડાગામ જવા માટે પણ આ માર્ગનો ઉપયોગ વાહન ચાલકો કરી રહ્યા છે. મોડાસા-કપડવંજ અને મોડાસા-અમદાવાદને જોડતો વાયા હીરાપુર ગામ થઈ જતા માર્ગ ઉપર પણ કોન્ટ્રાક્ટર દ્વારા મગનપુરા નજીક આવેલ જલારામ મંદિરથી હાઈવે સુધીનો મંજુર થયેલા માર્ગનું કામ પણ અધુરૂ છોડી દેતાં આ વિસ્તારના ગ્રામ્યજનો હેરાનગતિ ભોગવી રહ્યા છે. તો સત્વરે આ બંને માર્ગની મરામત તેમજ નવિનીકરણ કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી થાય તેમ ગ્રામ્ય વિસ્તારની પ્રજા ઈચ્છી રહી છે. કંજરીકંપાના લાલાભાઈ પટેલે માર્ગ અને મકાન વિભાગમાં પણ રજૂઆત કરી હોવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી.
વડાગામ તરફનો માર્ગ કોન્ટ્રાક્ટરે અધૂરો છોડી દીધો
મગનપુરાકંપા, હિરાખાડીકંપા, મોટીવાવ, રાજપુરકંપા, હિરાપુરગામ થઈ કરોલીના પાટિયા સુધીનો માર્ગ બિસ્માર બની જતાં ગ્રામજનોએ ગત વિધાનસભાની ચૂંટણી ટાણે ચક્કાજામ કરી નવીન રોડ બનાવવાની માંગ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો અને રોડ નહીં તો વોટ નહીંના નારા લગાવ્યા હતા. જે માર્ગનું તંત્ર દ્વારા નવિનીકરણ કરવામાં આવ્યું છે.પરંતુ આ માર્ગ ઉપર જલારામ મંદિરથી વડાગામ સુધીના માર્ગનું કામ કોન્ટ્રાક્ટરે અધુરૂ મુકી દેતાં પાંચ ગામના ગ્રામજનો રોષે ભરાયા છે.


