શબરીના વંશજ ડાંગની બહેનોએ બોર પર રામનામ લખીને બનાવી છે બોરમાળા, જે અયોધ્યા મોકલવામાં આવશે
૩૧૧ ગામનાં ૩૬ જેટલાં શક્તિ કેન્દ્રોમાં બહેનોને એકઠી થઈને ૧૦૦ કિલો બોરની બનાવી માળાઓ
ભગવાન શ્રી રામના વનવાસ દરમિયાન તેઓ માટે મીઠા બોર શોધી-શોધીને એકઠા કરનાર માતા શબરી જ્યાં રહેતાં હતાં એ ડાંગના ગામોની બહેનોએ શ્રી રામ લલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ના અવસર ને યાદગાર બનાવવા માટે ભગવાનની યાદમાં બોરની માળા બનાવીને ભગવાનને અર્પણ કરશે.ડાંગની ગ્રામીણ મહિલાઓનો રામજી પ્રત્યેનો તેમનો ભક્તિભાવ બોરના હારરૂપે અયોધ્યા પહોંચ્યો છે. પ્રાણ પ્રતિષ્ઠા બાદ ડાંગની મહિલા પ્રતિનિધિઓ રામલલ્લાને આ ૩૧૧ બોરહાર અર્પણ કરશે.
શબરીમાતા જ્યાં રહેતાં હતાં એ ડાંગની પવિત્ર ભૂમિ દંડકારણ્યમાં રહેતા ભીલ, વારલી, કુનબી તથા આદિમ જૂથની બહેનોએ બોરનો હાર બનાવીને રામચંદ્ર ભગવાન પ્રત્યે તેમની આસ્થા અને ભક્તિને સમર્પિત કરી છે. ડાંગ, મહારાષ્ટ્ર અને સુરતથી બોર શોધીને ૧૦૦ કિલો બોરમાંથી ૩૩,૫૮૮ નંગ બોરને લઈને બોરની ૩૧૧ બોરમાળા બનાવી છે.
આયોધ્યામાં રામમંદિરમાં પ્રભુ શ્રીરામ પ્રત્યેની ભક્તિ સમર્પિત કરતાં દરેક લોકો કંઈ ને કંઈ કરી રહ્યા છે ત્યારે ડાંગની મહિલાઓને લાગે કે અમે અયોધ્યા નથી પહોંચવાનાં તો ભગવાન સુધી અમારો ભક્તિભાવ પહોંચે. શબરીના બોર રામજીએ ખાધા હતા એ બોર પર રામનામના જાપ સાથે ગામોની મહિલાઓએ ભક્તિ કરવાની સાથે ૧૦૮ બોરને દોરામાં પરોવીને બોરના હાર તૈયાર કર્યા છે. ડાંગનાં ૩૧૧ ગામનાં ૩૬ જેટલાં શક્તિ કેન્દ્રોમાં બહેનોને એકઠી કરીને આ કામ શરૂ થયું હતું.લગભગ ૧૦૦ કિલો બોર એકઠા કર્યા હતા અને બોરમાં છેદ પાડવા માટે ડ્રીલ મશીન તેમ જ સોય-દોરાનો ઉપયોગ કરીને ૧૦૮ બોરના એક એવા બોરના હાર તૈયાર કર્યા છે. અયોધ્યામાં રામમંદિરમાં રામલલ્લાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા થયા પછી મહિલા પ્રતિનિધિઓની આગેવાનીમાં અયોધ્યામાં રામમંદિરમાં આ બોરમાળા પ્રભુને અર્પણ કરશે.