- 8 કોર્પોરેશન,157 નપા માટે ખાસ માર્ગદર્શિકા અમલી રહેશે
- ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરો અપાશે સૂચનાઓ
- ગરબાના સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવાશે
નવરાત્રીના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ખેલૈયાઓની સાથે સૌથી વધુ ચિંતા હેલ્થ વિભાગને પણ લાગી રહ્યો છે. જેનું મુખ્ય કારણ વધતાં હાર્ટ એટેકના કેસ છે. યુવાનોમાં હાર્ટએટેકના કેસ વધી રહ્યા છે તેને જોતાં રાજ્ય સરકાર તરફથી નવરાત્રી આયોજકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે અને યુવાનોમાં હાર્ટએટેકના વધતા કેસોને લઈ સરકાર ખાસ માર્ગદર્શિકા જાહેર કરશે. જેમાં મુખ્યત્વે નવરાત્રિના આયોજકોએ મેડિકલ કીટ રાખવી પડશે. તેમજ 8 કોર્પોરેશન, 157 નપા માટે ખાસ માર્ગદર્શિકા અમલી રહેશે.
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારમાં PHC અને CHC સેન્ટરોને સૂચનાઓ આપવામાં આવશે. જેનમાં તમામ ગરબાના આયોજન સ્થળની નજીક 108ના પોઇન્ટ ગોઠવવાથી લઈ, દર્દીઓને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચાડી શકાય તેના અંગે વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે CPRની તાલીમ લીધેલા લોકોને ગરબા સ્થળે રાખવા માટેની પણ વ્યવસ્થા આયોજકોએ કરવાની રહેશે.
જ્યારે બીજી તરફ હોસ્પિટલોમાં પણ સમયસર સારવાર મળી રહે તેના માટે તમામ સ્થાનો પર હોસ્પિટલમાં રાત્રીના 12 વાગ્યા સુધી હાજર રહેવાની સૂચના અપાશે. તેમજ ડૉક્ટરોની ટીમ પણ ઉપલબ્ધ રહે તેની કાળજી રાખવાની રહેશે. જ્યારે ભાજપના ડોકટર સેલના કાર્યકરો પણ ગરબા સ્થળે હાજર રહેશે તેવી પણ જોગાવાઈ કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ, સુરત, રાજકોટમાં હાર્ટએટેકના સતત વધતા બનાવોને લઈ નવરાત્રીના આયોજકો દ્વારા તબીબોની ઈમરજન્સી ટીમ, એમ્બ્યુલન્સ સહિત મેડિકલ સેવા ગરબા ગ્રાઉન્ડ નજીક ઉપસ્થિત રાખવાનો નિર્ણય કર્યો છે. ગરબા રમતી વખતે ક્યાંક થોડીઘણી પણ તકલીફ જણાય તો રમવાનું તુરત જ બંધ કરી મેડિકલ સેવા માટે આગ્રહ રાખવા જણાવાયું છે.