પરાશર મુનિ લોકકલ્યાણની ભાવનાથી સદૈવ તપ કરતા હતા. તેઓ જો પોતાનું પતન થાય એવું કૃત્ય કરે તો અનેકોનું કલ્યાણ તેઓ કેવી રીતે કરી શકે!
મત્સ્યગંધા નામે એક માછીમારની કન્યા પોતાની હોડી લઈને ત્યાં ઊભી હતી. પરાશર તેની હોડીમાં બેઠા. તે છોકરી હતી તો માછીમારની કન્યા, પરંતુ તે અતિશય સ્વરૂપવાન હતી
વશિષ્ઠ મુનિના પુત્ર શક્તિ અને શક્તિના પુત્ર મહર્ષિ પરાશર હતા. પરાશરના પુત્ર ભગવાનના જ્ઞાનાવતાર એવા વ્યાસજી હતા.
શક્તિ મુનિની પત્નીનું નામ અદૃશ્યન્તિ. તે વશિષ્ઠ મુનિની પુત્રવધૂ થાય. એક વાર મહર્ષિ વશિષ્ઠ ક્યાંક જઈ રહ્યા હતા. તે સમયે તેમણે આશ્રમમાંથી સુમધુર અવાજે વેદોનું ગાન સાંભળ્યું. તે સાંભળી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા અને આવું ગાન કોણ કરે છે તે જોવા તેઓ તે ગાન જ્યાં થઈ રહ્યું હતું તે સ્થળે ગયા. તેમણે ત્યાં પોતાની પુત્રવધૂ અદૃશ્યન્તિને જોઈ. તે ગર્ભવતી હતી અને તેના ગર્ભમાંથી શિશુ વેદોનું સુમધુર સ્વરે ગાન કરી રહ્યો હતો. પોતાના ગર્ભસ્થ પૌત્રને આ રીતે વેદોનું ગાન કરતો સાંભળીને તેઓ પુલકિત થઈ ગયો. પછી પૂરા માસે બાળકનો જન્મ થયો. તેનું નામ પરાશર રાખવામાં આવ્યું.
પરાશર બહુ મોટા જ્ઞાની હતા. તેઓ જન્મથી જ વેદોના જ્ઞાતા હતા. વશિષ્ઠ એટલે લોકોત્તર શક્તિ ધરાવતા મહર્ષિ. તેમનો પુત્ર શક્તિ પણ ઋષિ હતા, પરંતુ તેમનો પૌત્ર તો ગર્ભધારણથી જ વેદોને કંઠસ્થ કરીને ચૂકેલા મહાન જ્ઞાની હતા.
પરાશર મુનિના જીવનમાં એક એવી ઘટના ઘટી છે કે તે ઘટનાને કેટલાંક લોકો પરાશર મુનિના પતન તરીકે ઓળખાવે છે, પરંતુ તે પરાશર મુનિના પતનનો પ્રસંગ નથી. તે ભગવાનના જ્ઞાનાવતાર એવા વ્યાસજીના પ્રાગટ્યનો પ્રસંગ છે. પરાશર મુનિ લોકકલ્યાણની ભાવનાથી સદૈવ તપ કરતા હતા. તેઓ જો પોતાનું પતન થાય એવું કૃત્ય કરે તો અનેકોનું કલ્યાણ તેઓ કેવી રીતે કરી શકે! ભગવાનને ભૂતળ ઉપર વ્યાસ રૂપે પ્રગટ થવું હતું, તેથી તેમણે પરાશર મત્સ્યગંધાનો પ્રસંગ યોજ્યો હતો.
લોકકલ્યાણમાં સદા તત્પર તત્ત્વજ્ઞાની એવા પરાશર મુનિને તપશ્ચર્યા કરવા માટે જવાનું હતું. તેઓ નદીકિનારે આવી ઊભા. મત્સ્યગંધા નામે એક માછીમારની કન્યા પોતાની હોડી લઈને ત્યાં ઊભી હતી. પરાશર તેની હોડીમાં બેઠા. તે છોકરી હતી તો માછીમારની કન્યા, પરંતુ તે અતિશય સ્વરૂપવાન હતી. તેનું યૌવન તેના દેહમાં સમાતું નહોતું. આ સૌંદર્યવાન નવયૌવનાનું નામ સત્યવતી હતું.
પરાશર મુનિ તે યુવાન કન્યા સામે જોઈ રહ્યા. તેની કાજળ આંજેલી આંખોમાંથી તેજના ફુવારા છૂટતા હતા. અત્યંત સ્વરૂપવાન હોવા છતાં તે સંયમશીલ બનીને રહેતી હતી. ઋષિ પરાશર ઉપર તેના સૌંદર્યનો અદ્ભુત પ્રભાવ પડ્યો. તેઓ સ્તબ્ધ બની તેની સામે જોઈ રહ્યા. પોતે તપશ્ચર્યા કરવા જઈ રહ્યા છે તે વાત તેઓ ભૂલી જ ગયા અને સત્યવતીના સૌંદર્યના લુબ્ધ બની ગયા.
સત્યવતી સ્ત્રી હતી, તેથી તે પુરુષના મનોભાવોને સમજી શકે છે. તે સમજી ગઈ કે પરાશરના મનમાં તેનું સૌંદર્ય વસી ગયું છે અને તેઓ તે સૌંદર્યનો ઉપભોગ કરવા ઇચ્છે છે. પુરુષની આવી દૃષ્ટિ સ્ત્રી તરત જ ઓળખી જાય છે, પરંતુ સ્ત્રીના એવા ભાવોને સમજવાનું પુરુષ માટે મુશ્કેલ હોય છે, કારણ કે સ્ત્રી પોતાના મનોભાવોને છુપાવવામાં કુશળ હોય છે.
લોકો સત્યવતીને માછીમારની કન્યા તરીકે ઓળખે છે, પરંતુ તેના જન્મનો ઇતિહાસ કંઈક જુદો જ હતો. વાસ્તવમાં તે ચેદિ દેશના રાજાની ચંદ્રિકા નામે અપ્સરાથી થયેલી અને તેમના દ્વારા ત્યજી દેવાયેલી કન્યા હતી. તેમણે સત્યવતીને ત્યજી દીધી અને એક માછીમારે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરીને મોટી કરી હતી, તેથી તે માછીકન્યા કહેવાતી હતી. સત્યવતીએ પરાશરનું પોતાના પ્રત્યેનું આકર્ષણ જોયું. તે પરાશરને ઓળખતી હતી. તેને ખબર હતી કે પરાશર એક મહાન મુનિ હતા, તેથી તેનું પરાશર પ્રત્યેનું આકર્ષણ વધી ગયું. તત્કાલીન સમાજરચનામાં બ્રાહ્મણો માટે સૌને આદરભાવ હતો. સત્યવતીને પરાશર પ્રત્યે આકર્ષણ થયું, પરંતુ તેણે પોતાનો મનોભાવ છુપાવી રાખ્યો. તે ઈચ્છતી હતી કે પરાશર આ બાબતમાં પહેલ કરે અને એવું જ થયું. તેના સૌંદર્યથી મોહ પામેલા પરાશરે પહેલ કરી. તેમણે સત્યવતીનો હાથ પકડ્યો. તેને ખબર હતી કે પરાશરે તેની સાથે અંગસંગની માંગણી કરી. એવું કહેવાય છે કે, સત્યવતીના શરીરમાંથી માછલીની દુર્ગંધ આવતી હતી, તેથી તે મત્સ્યગંધા તરીકે ઓળખાતી હતી. તેણે કહ્યું, `મહારાજ, મને તમારી સાથે સહવાસ માણવામાં વાંધો નથી, પરંતુ મારા દેહમાંથી દુર્ગંધ આવે છે તે દૂર થવી જોઈએ.’ ઋષિએ કહ્યું, `તારી દુર્ગંધને દૂર કરવાની શક્તિ મારામાં છે.’ પછી સત્યવતીએ બીજી વાત કરી. `આપના જેવા મહાપુરુષ સાથે અંગસંગની ઇચ્છા તો મને પણ છે જ, પરંતુ તેનાથી મને કોઈ સંતાન થાય તો પણ મારું કૌમાર્ય અક્ષત રહેવું જોઈએ.’ઋષિએ કહ્યું,`તેમજ થશે.’
પછી સત્યવતીએ ત્રીજી વાત કરી. તેણે કહ્યું, `અંગસંગ એકાંતમાં થવો જોઈએ અને તે અંધકારમાં થાય તો વધુ સારું.’ ઋષિએ પોતાના તપોબળથી તળાવની આજુબાજુ ધુમ્મસનું વાતાવરણ સર્જી દીધું અને ધુમ્મસના ઓથે તેમણે સત્યવર્તી સાથે સમાગમનું સુખ માણ્યું.
આને જો નૈતિક સ્ખલન કહેવાતું હોય તો કુંતીને સૂર્યથી પુત્ર થવા છતાં તેનું કૌમાર્ય અખંડ રહ્યું. તે પ્રસંગને પણ નૈતિક સ્ખલન ગણાવવો જોઈએ કે નહીં? ગમે તેમ પણ તેમના અંગ-સંબંધથી સત્યવતીને પુત્ર થયો. તેમ છતાં તેનું કૌમાર્ય અખંડિત રહ્યું અને તેની દુર્ગંધ દૂર થઈ તથા સુગંધ પ્રસરાવા લાગી. મત્સ્યગંધા અને પરાશરથી થયેલ પુત્રનું નામ વ્યાસજી. વ્યાસજીનો જન્મ નદીના પ્રવાહની વચ્ચે આવેલા વાંસના એક બેટમાં થયો હતો. તેઓ આગળ જતા વેદવ્યાસ કહેવાયા. તેમણે જ પંચમવેદ એવું મહાભારત લખ્યું હતું.


