જ્યારે પૃથ્વી પર અધર્મ અને અત્યાચારનો અંધકાર છવાઈ જાય છે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની પુન:સ્થાપના કરવા યુગે યુગે ભગવાન અવતાર લે છે. વરાહ અવતાર ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે. ભગવાન આ અવતારમાં પણ પાપીઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરે છે. વરાહ જયંતીના અવસરે ભક્તો વ્રત, ઉપવાસ, ભજન વગેરે કરે છે. ભગવાન વિષ્ણુના ત્રીજા અવતાર વરાહ ભગવાનની પૂજા મહા સુદ દ્વાદશીને દિવસે કરાય છે, જે વરાહ દ્વાદશીના નામે ઓળખાય છે. વરાહ ભગવાનનું આ વ્રત સુખસંપત્તિ અને કલ્યાણકારક છે.
વરાહ જયંતીની કથા
હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુએ જ્યારે દિતિના ગર્ભથી જોડિયાં બાળકોના રૂપમાં જન્મ લીધો તો તેમના જન્મથી પૃથ્વી ધ્રૂજી ઊઠી. આ બંને દૈત્યો જન્મ બાદ તરત જ મોટા થઈ ગયા. તેમનું શરીર વજ્ર જેવું કઠોર અને વિશાળ થઈ ગયું. બંને બળવાન હતા અને અજેય અને અમરત્વનું વરદાન મેળવવા ઈચ્છતા હતા, તેથી તેમણે બ્રહ્માજીની કઠોર તપસ્યા કરી. તપસ્યાથી બ્રહ્માજી પ્રસન્ન થયા અને બંને ભાઈઓએ અજેય અને અમરત્વનું વરદાન મેળવ્યું. આ વરદાન મેળવીને તો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ વધુ ઉદ્દંડ અને નિરંકુશ બની ગયા અને ત્રણેય લોકને જીતવા નીકળી પડ્યા. તેઓ ઈન્દ્રલોકમાં પહોંચ્યા અને સમગ્ર ઈન્દ્રલોક પર હિરણ્યાક્ષે પોતાનો અધિકાર જમાવ્યો. પછી તે વરુણની રાજધાની વિભાવરી નગરી પહોંચ્યા અને તેમને યુદ્ધ માટે લલકાર્યા. હિરણ્યાક્ષનાં વચન સાંભળીને વરુણ ભગવાન ક્રોધે ભરાયા, પરંતુ ક્રોધ પર સંયમ રાખીને તેમણે કહ્યું કે, `બની શકે કે તમે મહાન યોદ્ધા હો, પણ ભગવાન વિષ્ણુથી મહાન ત્રણેય લોકમાં કોઈ નથી, તેથી તમારી સાથે યુદ્ધ માત્ર વિષ્ણુ ભગવાન જ કરી શકે.’ તેમની આ વાત સાંભળીને હિરણ્યાક્ષ વધુ ક્રોધિત થયો અને વિષ્ણુ ભગવાનની શોધમાં નીકળી પડ્યો. દેવર્ષિ નારદને જાણ હતી કે ભગવાન વિષ્ણુએ પૃથ્વીને રસાતળમાંથી કાઢવા માટે વરાહ અવતાર ધારણ કર્યો છે. નારદજી પાસેથી આ સમાચાર મેળવીને હિરણ્યાક્ષ સમુદ્રની નીચે રસાતળમાં જઈ પહોંચ્યો. તેમણે જોયું કે વરાહ ભગવાન દાંતોથી પૃથ્વીને ઉપાડીને જઈ રહ્યા છે. હિરણ્યાક્ષે વરાહ ભગવાનને અસભ્ય વાણીથી પૃથ્વીને લઈ જતાં રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેને અવગણીને પૃથ્વીને લઈને આગળ વધે છે. હિરણ્યાક્ષ વરાહ ભગવાનનો પીછો નથી છોડતો. જોકે, ભગવાન પૃથ્વીને રસાતળમાંથી કાઢીને સુરક્ષિત સ્થાને સ્થાપિત કરી દે છે. હિરણ્યાક્ષ હાથમાં ગદા લઈને તેના પર પ્રહાર કરે છે. ભગવાન ગદાને દૂર ફેંકી દે છે. હિરણ્યાક્ષ ત્રિશૂલ લઈને મારવાનો પ્રયાસ કરે છે.
વરાહ ભગવાન સુદર્શન દ્વારા તે ત્રિશૂલના ટુકડા કરી દે છે. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે અને અંતે વરાહ ભગવાનના હાથે હિરણ્યાક્ષનું મોત થાય છે. અને તેની સાથે અધર્મ, અસુરતા, અત્યાચારના એક અધ્યાયનો પણ અંત આવે છે.