સર્ચ કમિટિમાં ફેરફાર : પ્રતાપસિંહ ચૌહાણ આઉટ, ગુજરાત યુનિ.ના વીસી એમ.એન.પટેલની નિમણુંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદાસ્પદ કુલપતિ ગીરીશ ભીમાણીની હકાલપટ્ટી બાદ કામ ચલાઉ ધોરણે ડો.નિલામ્બરીબેન દવેને કુલપતિનો ચાર્જ સોંપાયો છે. પરંતુ કાયમી કુલપતિની નિયુકિત માટે શિક્ષણ વિભાગની સર્ચ કમિટિ દ્વારા નિયુકિતની પ્રક્રિયા છે. દિવાળીના તહેવારો બાદ સરકાર આ મામલે સળવળી છે.
સર્ચ કમિટિમાં સૌરાષ્ટ્ર યુનિ.માં ઊંડા મૂળ ધરાવતા પ્રતાપસિંહ ચૌહાણને આઉટ કરવામાં આવ્યા છે. તેની જગ્યાએ ગુજરાત યુનિ.ના કુલપતિ એમ.એન.પટેલની નિયુકિત થઇ છે. આ કમિટિ ચોક્કસ નામોનો ભલામણ રિપોર્ટ આપશે ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિ.ના કાયમી કુલપતિની નિયુકિત થશે. જેમાં એક દાવેદાર ખુદ ડો.નિલામ્બરીબેન દવે પણ ગણી શકાય.
સૌરાષ્ટ્ર યુનિ.ના વહિવટને ખાડે લઈ જનારા ડૉ. ગિરીશ ભિમાણીની હકાલપટ્ટી થઈ તે પછી કાયમી કુલપતિની નિમણૂક માટેની સર્ચ કમિટી બેસાડાઈ છે, પણ હજી સુધી નિર્ણય લેવાયો નથી. એક મહિના પછી હવે એ શોધ સમિતિમાં જ ફેરફાર થયો છે અને તેના એક સભ્ય પ્રતાપસિંહ ચૌહાણની જગ્યાએ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વીસી એમ.એન. પટેલને મૂકવામાં આવ્યા છે.
ચૌહાણની નિમણૂક પણ વિવાદાસ્પદ બની હતી, કેમ કે ધોરણો અનુસાર તેમની નિમણૂક થઈ શકે તેમ નહોતી. આખરે તેમને સમિતિમાંથી હટી જવા કહેવું પડ્યું હતું.
ત્રણ સભ્યોની સર્ચ કમિટીમાં હવે એમ.એન. પટેલ જોડાશે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા કુલપતિ આવશે. સત્તાધીશોને અનુકૂળ હોય તેવા માનીતાને અહીં બેસાડવા માટેની અનુકૂળતા પણ આ સાથે થઈ છે એમ માનવામાં આવે છે. પ્રતાપસિંહ ચૌહાણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મેનેજમેન્ટ ફેકલ્ટી તરીકે કામ કરી ચૂક્યા છે અને હાલમાં તેમને ગોધરામાં વીસી તરીકે મૂકવામાં આવેલા છે.
યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોઈ વ્યક્તિને સર્ચ કમિટીમાં રાખી શકાય નહીં તે નિયમ સ્પષ્ટ હોવો છતાં શા માટે ચૌહાણની પસંદગી થઈ હતી તે પણ સવાલ છે.
ત્રણ સભ્યોની સર્ચ કમિટીના ચેરમેન તરીકે પ્રોફેસર સોમનાથ સચદેવ (વીસી, કુરુક્ષેત્ર યુનિ.) છે, જ્યારે સભ્યો તરીકે હવે (બેંગલુરુ યુનિ. ભૂતપૂર્વ વીસી) પ્રોફેસર થિમ્મે ગોવડા અને એમએન પટેલ રહેશે.