કેનેડામાં બેઠેલા ખાલિસ્તાનીઓની હવે ખેર નહીં. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેનેડાની સંભવિત મુલાકાત માટે જઈ રહ્યા છે ત્યારે ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 26 વોન્ટેડ આતંકવાદીઓના હૃદયના ધબકારા વધી ગયા છે. કેનેડાની મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી પીએમ માર્ક કાર્ની સાથેની તેમની મુલાકાત કરશે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ભારત ફરી એકવાર 26 ભાગેડુઓના પ્રત્યાર્પણની ફાઇલ પર ખૂબ જ જોશથી અવાજ ઉઠાવવા જઈ રહ્યું છે.
ખાલિસ્તાની આતંકવાદીઓનું ભારત વિરૂદ્ધ કાવતરું
ભારતે કેનેડાને ઘણીવાર ચેતવણી આપી છે છતાં પણ ત્યા વસવાટ કરી રહેલા ખાલિસ્તાનીઓમાં કોઈ સુધાર આવ્યો નથી. વારંવાર ચેતવણી આપવા છતાં ખાલિસ્તાની આતંકવાદીઓ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. જેમાં લખબીર સિંહ લંડા, અર્શદીપ સિંહ ગિલ, ગુરજીત સિંહ, ગુરજિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ જેવા નામોનો સમાવેશ થાય છે. જેઓ ગેંગસ્ટર નેટવર્ક અને આતંકવાદી કાવતરામાં સામેલ હોવાનું કહેવાય છે. ભારત આ 26 આતંકવાદીઓના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે પરંતુ અત્યાર સુધી કેનેડાએ આ અંગે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી.
G7 સમિટના બહાને મોટો મુદ્દાનો આવાજ ઉઠશે
G7 સમિટ 15થી 17 જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટાના કનાનાસ્કિસમાં યોજાવાની છે. આ સમય દરમિયાન PM મોદીની કેનેડા મુલાકાત પણ થવાની સંભાવના છે જ્યાં તેઓ PM માર્ક કાર્નીને મળશે. સૂત્રોના અનુસાર, મોદી આ બેઠકમાં 26 ભાગેડુઓના પ્રત્યાર્પણ પર આગ્રહ રાખવાના છે. આ સાથે તેઓ એવી પણ માંગ કરશે કે કેનેડાની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ માટે ન થવો જોઈએ.
નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા
જૂન 2023માં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાએ ભારત પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તત્કાલીન પીએમ જસ્ટિન ટ્રુડોએ આ હત્યા સાથે સીધી રીતે ભારત સરકારને જોડી દીધી હતી. પરંતુ હવે નવા પીએમ માર્ક કાર્ની થોડા નરમ દેખાઈ રહ્યા છે. તેમણે મોદીને ફોન કરીને G7 સમિટમાં આમંત્રણ આપ્યું અને બંને દેશોની કાનૂની એજન્સીઓ વચ્ચે વાતચીત પર સંમતિ વ્યક્ત કરી હતી.
રાજદ્વારી તણાવ હજુ પણ ચાલુ
જોકે, નિજ્જર ઘટના બાદ ઉદ્ભવેલો રાજદ્વારી તણાવ હજુ પણ સંપૂર્ણપણે ઉકેલાયો નથી. કેનેડાએ ભારતના હાઇ કમિશનર સંજય કુમાર વર્મા અને તેમના પાંચ સાથીદારો સામે આરોપો લગાવ્યા હતા જેને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યા હતા. ત્યાર બાદ ભારતે તેના ઘણા રાજદ્વારીઓને પાછા બોલાવ્યા અને 6 કેનેડિયન રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા.
26 ભાગેડુઓ તણાવમાં
મોદીની કેનેડા મુલાકાત અને ત્યાં સીધી પ્રત્યાર્પણની વાતચીતની શક્યતાને કારણે કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની અને ગેંગસ્ટર ભાગેડુઓ ખૂબ જ તણાવમાં છે. તેમને ડર છે કે આ વખતે મામલો ફક્ત કાગળ પર નહીં રહે અને ભારતના દબાણને કારણે કેનેડા કાર્યવાહી કરવા મજબૂર થઈ શકે છે.