- જયશંકરે ઇટાલીમાં સર્જિયો મેટારેલા અને અન્ય વરિષ્ઠ નેતાની મુલાકાત કરી
- દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ચર્ચા
- ભારત-ઇટાલી સંબંધો અસ્થિર અને અનિશ્ચિત વિશ્વમાં સ્થિરતાનું પરિબળ
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ઇટાલીમાં રાષ્ટ્રપતિ સર્જિયો મેટારેલા અને અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન વૈશ્વિક પડકારો અંગે ચર્ચા કરવામાં આવી હતી. જયશંકરે સંરક્ષણ, સાયબર સુરક્ષા અને આતંકવાદનો સામનો કરવા જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની ચર્ચા કરી હતી. ઇટાલિયન સમકક્ષ એન્ટોનિયો તાજાનીના આમંત્રણ પર રોમ પહોંચેલા જયશંકરે શુક્રવારે પોર્ટુગલ અને ઇટાલીની 4 દિવસીય મુલાકાત પૂર્ણ કરી હતી. મીટિંગ દરમિયાન ઇટાલીના રાષ્ટ્રપતિએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને ભારત-ઇટાલી અને ભારત-ઇયુ સંબંધોને ગાઢ બનાવવા માટે તેમના મજબૂત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે શનિવારે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું.
ભારત-ઇટાલી સંબંધોની સ્થિરતાનું પરિબળ
જયશંકરે શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, ‘અમારી વ્યૂહાત્મક ભાગીદારીને આગળ લઈ જવા માટે હું તેમના (મૈત્રેલા) માર્ગદર્શનની કદર કરું છું. ભારત-ઇટાલી સંબંધો અસ્થિર અને અનિશ્ચિત વિશ્વમાં સ્થિરતાનું પરિબળ છે.’ વિદેશ મંત્રીએ ઇટાલીના સંરક્ષણ પ્રધાન ગિડો ક્રોસેટો સાથેની તેમની મુલાકાતમાં આતંકવાદ અને દરિયાઇ સમય સામેની લડાઇમાં સંરક્ષણ ઉત્પાદન અને ઔદ્યોગિક સહયોગમાં રાજદ્વારી સહયોગને મજબૂત કરવા ચર્ચા કરી હતી.
જયશંકરની ઇટાલીની મુલાકાતે બંને દેશો વચ્ચેના લાંબા સમયથી ચાલી રહેલા ઐતિહાસિક સંબંધોને વધુ ગાઢ બનાવ્યા છે અને સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ અને પડકારો સહિત વ્યૂહાત્મક ભાગીદારીના વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં વધારો કર્યો છે.
આર્થિક ભાગીદારીનો વ્યાપ વધશે
તેઓ ઇટાલીના એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર એડોલ્ફો ઉર્સોને પણ મળ્યા હતા અને કૃષિ-ટેક્નોલોજી, એન્જિનિયરિંગ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇનોવેશન અને સ્પેસના ક્ષેત્રો પર ભાર મૂકીને દ્વિપક્ષીય વેપાર અને રોકાણ વધારવાની રીતો પર ચર્ચા કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, ‘આજે સવારે એન્ટરપ્રાઇઝ મિનિસ્ટર એડોલ્ફો ઉર્સો સાથે ફળદાયી વાતચીત થઈ હતી. ‘મેડ ઈન ઈટાલી’ અને ‘મેડ ઈન ઈન્ડિયા’ના અનુભવો શેર કર્યા હતા. મને વિશ્વાસ છે કે આજે અમારી વાતચીત આર્થિક ભાગીદારીનો વિસ્તાર કરશે.
વિદેશ પ્રધાન જયશંકરે ઇટાલીમાં તેમના સમકક્ષ તાજાની સાથે વ્યાપક અને ફળદાયી બેઠક યોજી હતી ત્યારબાદ બંને દેશોએ કામદારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોની અવિરત અવરજવર સુનિશ્ચિત કરવા માટે ગતિશીલતા અને સ્થળાંતર ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમણે સેનેટ ફોરેન અફેર્સ અને ડિફેન્સ કમિશનના સંયુક્ત સત્રને પણ સંબોધિત કર્યું હતું જેમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની સ્થિતિ યુક્રેન સંઘર્ષ અને ઈન્ડો-પેસિફિક પરિદ્રશ્ય પર લાંબી વાત કરી હતી. જયશંકરે ભારતની તમામ મોટી આંતરરાષ્ટ્રીય પહેલ માટે ઇટાલીના સમર્થનની પણ પ્રશંસા કરી હતી. હું અમારી પહેલ અને G20 પ્રેસિડન્સી માટે ઇટાલીના સમર્થનની પ્રશંસા કરું છું.


