વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25નો ખિતાબ દક્ષિણ આફ્રિકાએ તેના નામે કર્યો છે. ત્યારે હવે આવતી કાલથી એટલે કે 17 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 શરૂ થવા જઈ રહી છે. આ ચેમ્પિયનશિપ પહેલા એક યુવા ખેલાડી માટે તેના આવનારા ક્રિકેટ ભવિષ્ય બાબતે ખુબજ સારા સમાચાર આવ્યા છે.
6 વર્ષ બાદ ખેલાડીને સ્થાન મળ્યું
IPL 2025ના ભવ્ય સમાપન અને દક્ષિણ આફ્રિકાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીત્યા બાદ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી સીઝન શરૂ થવા જઈ રહી છે. ટીમ ઈન્ડિયા પણ 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમવા જઈ રહી છે. આ પહેલા, શ્રીલંકાની ટીમ ઘર આંગણે બાંગ્લાદેશ સામે ટેસ્ટ શ્રેણી રમશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 17 જૂન, 2025થી બાંગ્લાદેશ સામે શરૂ થનારી પ્રથમ ટેસ્ટ મેચ માટે તેની 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં એક એવા ખેલાડીની પણ પસંદગી કરવામાં આવી છે, જેણે છેલ્લા 6 વર્ષમાં કોઈ ટેસ્ટ મેચ રમી નથી.
વર્ષો પછી ટેસ્ટ રમવાની મોટી તક
ક્રિકેટ જગતમાં એવા ઢગલા બંધ દાખલા છે, જેમાં ઘણા ખેલાડીઓ વર્ષો સુધી ટીમ મેનેજમેન્ટની નજરથી દૂર રહીને ટીમની બહાર બેઠા હોય, પરંતુ મેદાન પર પરત ફરવાનો મોકો મળતા પોતાની પ્રતિભાને દેખાડવામાં સફળ રહ્યા હોય. આ વખતે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ ટીમ પસંદગી માટે ઘણા મોટા નિર્ણયો લીધા છે. આ ટીમમાં છ નવા ચહેરાઓ તેમજ અનુભવી સ્પિનર અકિલા ધનંજયનો સમાવેશ થાય છે, જે ખેલાડી લગભગ છ વર્ષ પછી ટેસ્ટ રમતા જોઈ શકાય છે. આ વખતે ટીમમાં ચર્ચાનો સૌથી મોટો વિષય અનુભવી સ્પિનર અકિલા ધનંજયની વાપસી છે.
અકિલા ધનંજયની ટેસ્ટ કારકિર્દી
અકિલા ધનંજયે શ્રીલંકા માટે વર્ષ 2018માં પોતાની પહેલી ટેસ્ટ મેચ રમી હતી. અકિલા ધનંજય છેલ્લે વર્ષ 2019માં ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ રમ્યો હતો. આ દરમિયાન, અકિલા ધનંજયે શ્રીલંકા માટે કુલ 6 ટેસ્ટ મેચ રમી હતી અને 24.81ની સરેરાશથી 33 વિકેટ લીધી હતી. તેણે 4 વખત એક ઇનિંગમાં 5 વિકેટ લેવાનો એક શાનદાર રેકોર્ડ પણ તેના નામે કર્યો છે. હાલ ક્રિકેટ રસિકો અકિલા ધનંજયની મજબૂત વાપસી પર નજર રાખી રહ્યા છે. જોકે હવે જોવાનું એ રહેશે કે તેને પ્લેઈંગ 11માં તક મળશે કે નહીં.