- શ્રીલંકા વિરુદ્ધ ભારતીય ટીમની શાનદાર જીત
- ભારતીય ટીમ વર્લ્ડકપ ખિતાબની પ્રબળ દાવેદાર બની
- 12 વર્ષ બાદ ભારતીય ટીમ ફરી જીતી શકે ખિતાબ
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારતે પોતાની પ્રથમ 7 મેચમાં એકતરફી જીત મેળવી છે. શ્રીલંકા સામે ભારતે 302 રનથી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ વર્લ્ડકપ 2023નો ખિતાબ માટે પ્રબળ દાવેદાર બની છે, ત્યારે ફરી એક વખત ભારત વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.
ભારતીય ટીમ વર્લ્ડકપમાં હોટ ફેવરીટ
વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમ ચેમ્પિયન બનવા માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે અને અત્યાર સુધી રમાયેલી મેચમાં પણ ટીમે ક્રિકેટ ફેન્સને નિરાશ ન કરતા તમામ સાત મેચ જીતીને સેમીફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતની ટીમ છેલ્લે 2011માં મહેન્દ્ર સિંહ ધોનીના નૈતૃત્વમાં વનડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બની હતી અને હવે ભારત 12 વર્ષ બાદ ફરી એક વખત એક પણ મેચ હાર્યા વિના વર્લ્ડ ચેમ્પિયન બની શકે છે.
ભારતીય ખેલાડીઓ પર નથી પ્રેશર
ભારતીય ટીમ વર્લ્ડકપ 2023માં સાત મેચ રમી છે. આ તમામ મેચમાં ટીમની જીત થઈ છે. જેનું મુખ્ય કારણ ભારતની શ્રેષ્ઠ બેટિંગ છે. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની મેચ બાદ કરતા તમામ મેચમાં કોઈપણ જાતના પ્રેશર વિના રમતા જોવા મળી છે. ભારતીય ટીમે પાકિસ્તાન, નેધરલેન્ડ, શ્રીલંકા અને અફ્ઘાનિસ્તાન જેવી ટીમો સામે સરળતાથી જીત મેળવી છે. જે ભારતીય ટીમ માટે સારો સંકેત છે.
રોહિત શર્મા કરી રહ્યો છે શાનદાર નૈતૃત્વ
વર્લ્ડકપમાં રોહિત શર્મા એવી રીતે જ ટીમનું નૈતૃત્વ કરી રહ્યો છે જે રીતે ધોની પોતાના કરિયર દરમિયાન કરતો હતો. કેટલાક લોકોએ વર્લ્ડકપમાં રોહિતને ધોની જેવો પણ ગણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, રોહિત શર્મા ભારત માટે અત્યાર સુધીમાં 100 મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં ભારતીય ટીમે 75 મેચ જીતી છે એટલે કે રોહિત શર્માની જીતની ટકાવારી 75% છે. રોહિત કેપ્ટનશીપ સાથે રન પણ બનાવી રહ્યો છે. રોહિતે વર્લ્ડકપની 7 મેચમાં 402 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને ફિફ્ટી પણ સામેલ છે.
ભારતીય ટીમના બોલર્સ શાનદાર ફોર્મમાં
ભારતીય ટીમ પાસે વર્લ્ડકપ 2023માં શાનદાર બેટિંગ-બોલિંગનું યૂનિટ છે. બેટિંગમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, સુર્યકુમાર યાદવ, કે.એલ રાહુલ અને જાડેજા જેવા ખેલાડીઓ છે, તો બોલિંગમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ, જસપ્રીત બુમરાહ અને કુલદિપ યાદવ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. શમીએ વર્લ્ડકપની 3 મેચમાં 14 વિકેટ પોતાના નામે કરી છે, તો બુમરાહે 7 મેચમાં 15 અને મોહમ્મદ સિરાઝે 9 વિકેટ લીધી છે.
દરેક મેચમાં અલગ ખેલાડી બને છે મેચ વિનર
વર્લ્ડકપ 2023માં એક ખાસ બાબત જોવા મળી છે. અત્યાર સુધીમાં રમાયેલી 7 મેચમાં અલગ-અલગ ખેલાડીઓએ મેચ વિનરની ભૂમિકા નિભાવી છે. આઉટ ઓફ ફોર્મ શ્રેયસ અય્યરે શ્રીલંકા સામે જોરદાર બેટિંગ કરી હતી. આ ઉપરાંત જાડેજાની સારી ફિલ્ડિંગ શ્રેષ્ઠ પાસું તો છે જ પણ તેણે ન્યૂઝીલેન્ડ સામે અને શ્રીલંકા સામે તોફાની બેટિંગ કરી હતી, તો સુર્યકુમાર યાદવ, શમી જેવા ખેલાડીઓ પણ મેચ વિનરની ભૂમિકા ભજવી રહ્યા છે.