- ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ પણ પૂરઝડપે હંકારાતા ભારે વાહનો
- કુબેરનગરમાં સૂઇ રહેલા મજૂર પર ટ્રેલર ફ્રી વળતા માથું છુંદાઇ જતા મોત
- ગોમતીપુરમાં સગીરે અકસ્માત કરતા વાહનમાલિક સામે ગુનો નોંધાયો
વાહનોની ઝડપને લઈને ગુજરાત હાઇકોર્ટે પણ આરટીઓ અને ટ્રાફ્કિ પોલીસને અનેક વાર ફટકાર લગાવીને ઉધડો લઈ ચુકી છે આમ છતાંય હજુ પરિણામ દેખાતુ નથી. શહેરમાં 24 કલાકમાં ત્રણ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા છે. ત્રણેય બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
ઓઢવમાં 24 વર્ષીય રાહુલ 14 જુલાઇએ કુબેરનગર પરમેશ્વર ટીમ્બર પાસે આવેલ ફુટપાથ પર સૂઇ ગયો હતો. ત્યારે રાત્રીના એક ટ્રેલર પુરઝડપે ચલાવીને તેને ચગદી નાંખ્યો હતો. બીજી ઘટનામાં વટવામાં રહેતા 38 વર્ષીય ગોરધનભાઇ ઠાકોર 22 જુલાઇએ રાત્રીના પગપાળા નોકરી પર જતા હતા ત્યારે રોપડા ચાર રસ્તા પાસે પુરઝડપે આવી રહેલ ટ્રકે અડફેટે લેતા ટ્રકનું ટાયર ગોરધનભાઇના માથા પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. ત્રીજી ઘટનામાં વેજલપુરમાં રહેતા 25 વર્ષીય રાયમલભાઇ રબારી બોપલમાં કાર સાફ્ કરવાનું કામ કરતા હતા. મંગળવારે વહેલી સવારેબાઇક લઇને બોપલ જતા હતા ત્યારે વાયએમસીએ ક્લબ પાસે એસટી બસચાલકે બાઇકને ટક્કર મારતા રાયમલભાઇને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યુ હતુ.
ગોમતીપુરમાં સગીરે અકસ્માત કરતા વાહનમાલિક સામે ગુનો નોંધાયો
ગોમતીપુરમાં રહેતા કેતનકુમાર ભટ્ટ ગત 24 એપ્રિલે પત્ની સાથે જ્યુપીટર લઇને કાળીદાસ ચાર રસ્તાથી પસાર થતા હતા. ત્યારે એક બાઇકચાલકે ટક્કર મારતા દંપતીને ઈજા થઈ હતી. આ અંગે એચ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને બાઇકના નંબરના આધારે તપાસ કરતા બાઇક અબ્દુલ સમીર શેખનું હતુ તેણે બનેવી મોહમદમુબીન શેખને ચલાવવા આપ્યુ હતુ. મોહમદમુબીનને પૂછતા તેણે કહ્યુ કે તેમનો 14 વર્ષીય સગીર પુત્ર કોઇને કહ્યા વગર બાઇક લઇને જતો રહ્યો હતો અને અકસ્માત કર્યો હતો. પોલીસે અબ્દુલની ધરપકડ કરી છે.


