- સરોવરમાં પણ પોણો ઈંચ જેટલા વરસાદથી એકથી દોઢ ફૂટ જેટલું નવું નીર આવ્યું
- માન સરોવરમાં નવા નીરની આવક ચાલુ : ધમરાસળા ગામે વીજળી પડતા બે પશુનાં મોત
- તાલુકાના લગભગ ગામોમાં વરસેલા વરસાદથી જગતના તાતમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે
સાયલા પંથકમાં અસહ્ય ગરમી અને બફરા વચ્ચે મેઘરાજાએ સતત બીજા દિવસે પણ વહાલ વરસાવતા પોણો ઈંચ વરસાદ નોંધાયો હતો. વહેલી પરોઢે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે આવેલા વરસાદથી સાયલાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
તાલુકાના લગભગ ગામોમાં વરસેલા વરસાદથી જગતના તાતમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. સાયલામાં મેઘરાજાના આગમન સાથે જ રાબેતા મુજબ વીજ પુરવઠો ત્રણ કલાકથી વધુ સમય બંધ રહેતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડયો હતો.
તાલુકામાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કરાડી ગામે ઉપરવાસમાં સારા વરસાદથી ભોગાવો બે કાંઠે વહેતો થતા ખાલીખમ થયેલા નિંભણી ડેમમાં નવા નીરની આવક શરુ થવા પામી હતી. જયારે સાયલાના માન સરોવરમાં પણ પોણો ઈંચ જેટલા વરસાદથી એકથી દોઢ ફૂટ જેટલું નવું નીર આવ્યું હતું. શ્રીકાર વર્ષાથી પાણી જમીનમાં ઉતરતા તળમાં સુધારો થવા પામ્યો છે. ગાજવીજ સાથે ખાબકેલા વરસાદ વચ્ચે ધમરાસળા ગામે ખેતરમાં આકાશી વીજળી પડતા બે ભેંસના મોત થયાના અહેવાલ પણ મળી રહ્યા છે. ત્યારે ચોવીસ કલાકના સમયગાળા દરમિયાન એક ઈંચ જેટલા વરસાદ સાથે સરકારી ચોપડે મોસમનો કુલ 43 મી.મી. નોંધાવા પામ્યો છે.


