પ્રથમ તબક્કે આજે બપોરે 12 વાગ્યા સુધી બુકિંગ બંધ રહ્યું : 12 જાન્યુઆરી સુધીમાં ત્રણ તબક્કામાં નવા નિયમો અમલમાં
રેલવે ટિકિટ બુકિંગમાં વર્ષોથી ચાલતા એજન્ટોના દબદબાને ખતમ કરવા માટે ભારતીય રેલવેએ હવે કડક નીતિ અપનાવી છે. ઓનલાઈન રિઝર્વેશન સિસ્ટમનો ગેરઉપયોગ અટકાવવા માટે Indian Railways અને IRCTC દ્વારા આધાર આધારિત ઓથેન્ટિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આધાર સાથે લિન્ક ન હોય તેવા યુઝર્સ હવે ચોક્કસ સમયગાળામાં ટિકિટ બુક કરી શકશે નહીં.
રેલવે દ્વારા જાહેર કરાયેલા આ નિયમો ત્રણ તબક્કામાં લાગૂ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રથમ તબક્કાનો અમલ આજથી શરૂ થઈ ગયો છે. નવા નિયમો મુજબ, આધાર લિન્ક વગરના IRCTC અકાઉન્ટથી ટિકિટ રિઝર્વેશન ખુલે તે પહેલા દિવસે જનરલ ક્વોટામાં બુકિંગ નહીં થઇ શકે.
રેલવેનું સ્પષ્ટ કહેવું છે કે, આ નિર્ણયનો મુખ્ય હેતુ સામાન્ય મુસાફરોને ટિકિટ બુકિંગમાં સમાન તક આપવાનો અને ડમી અકાઉન્ટ બનાવી મોટા પ્રમાણમાં ટિકિટ હડપ કરનાર એજન્ટો પર નિયંત્રણ લાવવાનો છે.
નવા નિયમ મુજબ, 29 ડિસેમ્બર સુધીમાં આધાર સાથે લિંક ન હોય તેવા IRCTC અકાઉન્ટ્સ માટે સવારના 8 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી ટિકિટ બુકિંગ બંધ રહેશે તેવી જાહેરાત બાદ આજે આ નિયમની અમલવારી શરૂ કરી દેવાઈ હતી.આ પ્રતિબંધ માત્ર તે દિવસે લાગૂ થશે જ્યારે રિઝર્વેશન પ્રથમ વખત ખુલતું હોય.
આગામી તબક્કાઓમાં આ સમયગાળો વધુ લંબાવવામાં આવશે, જેથી અંતે આધાર વગરના અકાઉન્ટ્સ માટે લગભગ આખો દિવસ બુકિંગ અશક્ય બની જશે.રેલવે દ્વારા વધુમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે, કમ્પ્યુટરાઈઝ્ડ PRS કાઉન્ટર પરથી થતી ટિકિટ બુકિંગ પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, એટલે ઓફલાઇન બુકિંગ પર આ નિયમનો કોઈ અસર નહીં પડે.
ત્રણ તબક્કામાં લાગૂ થશે નિયમો
પ્રથમ તબક્કો ગઇકાલથી લાગુ કરી દેવાયો છે. સવાર 8 થી બપોર 12 સુધી આધાર વગર બુકિંગ બંધ રહ્યા હતા. આજે પણ તેજ નિયમની અમલવારી કરાઈ હતી.
બીજો તબક્કો (5 જાન્યુઆરી): સવાર 8 થી સાંજ 4 સુધી બુકિંગ પર પ્રતિબંધ
ત્રીજો તબક્કો (12 જાન્યુઆરીથી): સવાર 8 થી રાત 12 સુધી આધાર વગર બુકિંગ બંધ
આધાર લિન્ક કેમ ફરજિયાત?
ડમી અને ફેક IRCTC અકાઉન્ટ પર લગામ,
એજન્ટો દ્વારા બલ્ક બુકિંગ અટકાવવા,
સાચા મુસાફરોને ટિકિટ મળવાની શક્યતા વધારવા તથા સાયબર ગેરરીતિ અને બોટ બુકિંગ રોકવા આધાર લિંક ફરજિયાત કરાયું છે.
મુસાફરો માટે મહત્વની જાણકારી
આધાર ઓર્થેન્ટિકેટેડ IRCTC અકાઉન્ટથી જ જનરલ ક્વોટા બુકિંગ થશે, એડવાન્સ રિઝર્વેશન હવે 59 દિવસ અગાઉ શરૂ થશે, PRS કાઉન્ટર પર ટિકિટ બુકિંગ યથાવત રહેશે, આધાર લિન્ક ન હોય તો તાત્કાલિક અપડેટ કરાવવું જરૂરી છે.


